Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

આઇપીએલની ટીમો યુએઇમાં 6 દિવસની જગ્‍યાએ 3 દિવસનો ક્‍વોરન્‍ટાઇન પિરીયડ ઇચ્‍છે છેઃ ટીમ અને કૌટુંબિક ડિનર માટે બોર્ડની મંજૂરી માંગી

નવી દિલ્હી: આઈપીએલની ટીમો યુએઈમાં છ દિવસની જગ્યાએ ત્રણ દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ ઈચ્છે છે અને પૂર્વ સૂચના સાથે ટીમ અને કૌટુંબિક ડિનરના આયોજન માટે તેમણે બોર્ડની મંજૂરી પણ માંગી છે. બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે આ સાથે જ ટીમોએ હોટલમાં બહારથી સંપર્ક રહિત ભોજનની ડિલિવરીની મંજૂરીની પણ ભલામણ કરી છે. જેના પર આજે સાંજે ટીમ માલિકો અને આઈપીએલ અધિકારીઓની બેઠકમાં વાત રજુ કરાશે.

બીસીસીઆઈના હાલના એસઓપી મુજબ ખેલાડીઓ અને સહોયોગી સ્ટાફની યુએઈમાં ક્વોરન્ટાઈન દરમિયાન પહેલા, બીજા અને છઠ્ઠા દિવસે તપાસ કરાશે. ત્યારબાદ જ તેમને અભ્યાસની મંજૂરી અપાશે. ત્યારબાદ પણ 53 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં દરેક પાંચમા દિવસે તપાસ થશે. અધિકારીએ જણાવ્યું કે 'મોટાભાગના ખેલાડીઓએ છ મહિનાથી ક્રિકેટ રમ્યું નથી અને તેઓ વધુમાં વધુ અભ્યાસ કરવા માંગે છે.'

તેમણે કહ્યું કે ચિકિત્સા વિશેષજ્ઞોની સલાહના આધારે શું આપણે ક્વોરન્ટાઈન 6 દિવસની જગ્યાએ 3 દિવસનો કરી શકીએ છીએ. શું ખેલાડીઓને 'બાયો બબલ'માં અભ્યાસમાં મંજૂરી આપી શકાય? બીસીસીઆઈએ ટીમોને 20 ઓગસ્ટ બાદ જ યુએઈ રવાના થવા માટે કહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત કેટલીક ટીમો જલદી જવા માંગતી હતી.

તેમાં એમ પણ કહેવાયું છે કે 'શું ટીમોને 20મીની જગ્યાએ 15મી ઓગસ્ટ બાદ જવાની મંજૂરી આપી શકાય છે જેથી કરીને તેમને અભ્યાસ અને તૈયારી માટે પૂરતો સમય મળી રહે.' બીસીસીઆઈ એસઓપી મુજબ ખેલાડીઓ અને ટીમ માલિકોના પરિવાર આઈપીએલ દરમિયાન જૈવ સુરક્ષિત માહોલમાં રહેશે. ટીમો ઈચ્છે છે કે બીસીસીઆઈ તેની સમીક્ષા કરે.

તેમણે કહ્યું કે હાલના એસઓપી મુજબ જ્યાં સુધી તેઓ બબલનો ભાગ ન બને ત્યાં સુધી તેઓ ટીમો સાથે સંપર્ક કરી શકતા નથી ટીમ માલિક 3 મહિના સુધી બબલમાં નહીં રહી શકે. આથી ચિકિત્સા સલાહના આધારે માલિકો અને પરિવાર સાથે વિશેષ પ્રોટોકોલ બનાવવામાં આવી શકે છે.

યુએઈમાં ક્વોરન્ટાઈન દરમિયાન ખેલાડીઓને ટીમના અન્ય સભ્યો સાથે પણ વાતચીતની મંજૂરી નહી હોય. તેઓ 3 કોવિડ ટેસ્ટ થયા બાદ જ આમ કરી શકશે. ટીમોએ એ પણ જાણવા માંગ્યું કે શું ખેલાડીઓ પોતાની ટીમો પ્રત્યે પ્રોફેશનલ જવાબદારી નિભાવી શકશે, જેના માટે તેમણે શૂટિંગ અને લોકોને મળવું પડી શકે છે.

(5:20 pm IST)