Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સોમવારે વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે સુંદરકાંડ પાઠ-ધૂન-સંકિર્તન-ભજન

જયશ્રી ભોલેબાબા ગ્રુપ-અલ્કેશભાઈ સોની તથા ગ્રુપ રંગત જમાવશે

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા. ૬ :. વાંકાનેર શહેરની ધરતી ઉપર જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી ઐતિહાસિક પ.પૂ. શ્રી મુનીબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન શ્રી ફળેશ્વર મહાદેવદાદા - શ્રી રામ, લક્ષ્મણ, જાનકી તેમજ પૂ. સંત શ્રી જલારામબાપા તેમજ આ જગ્યાના બ્રહ્મવીન મહંત પ.પૂ. સદ્ગુરૂદેવ શ્રી રામકિશોરદાસજી બાપુની તપોભૂમિમાં તેમજ ત્યાર બાદ જેમણે આ જગ્યાનો વિકાસ કરેલ એવા શ્રી પટેલબાપુની ચેતનામાં પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી, શ્રી જ્યોતિસ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની અસીમ કૃપાથી શ્રી ફળેશ્વર મંદિરમાં આગામી તા. ૮ને સોમવારે રાત્રીના ૮.૪૫ વાગ્યાથી ભવ્યતાથી ભવ્ય 'સંગીતમય સુંદરકાંડના પાઠ' શ્રી હનુમાન ચાલીસા, ભજનનો કાર્યક્રમ રાખેલ છે. જેમા રાજકોટના જયશ્રી ભોલેબાબા ગ્રુપના અલ્કેશભાઈ સોની, હર્ષ સોની (જોડીયાવાળા) અનેરા સંગીતની શૈલી સાથે સુંદરકાંડમાં વિધવિધ ઢાળોની ચોપાઈનું ગાન કરશે. સાથે સહુ ભાઈઓ-બહેનો પણ સામુહિકમાં પાઠ કરશે.દિપ પ્રાગટય શ્રી ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, પૂજારી રાકેશ મહારાજ તેમજ શ્રી ફળેશ્વર મંદિરના સંચાલક વિશાલભાઈ પટેલ કરશે. ત્યાર બાદ કાર્યક્રમનો શુભ પ્રારંભ થશે.

શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિએ નિમંત્રણ પાઠવ્યુ છે.

(11:32 am IST)