Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ખેડૂત આંદોલન વિરૂદ્ધ વારંવાર બોલનાર કંગના રનૌતના પુતળાનું મહારાષ્‍ટ્રના યવતમાલમાં ખેડૂત પરિવારના મહિલાઓ દ્વારા દહન

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી કંગના રનૌત છેલ્લા કેટલા દિવસથી ખેડૂત આંદોલન વિરુદ્ધ ખુલીને બોલી રહી છે. સેલિબ્રિટીઝ હોય કે સામાન્ય વ્યક્તિ કંગના ખેડૂત આંદોલનને સમર્થન આપી રહેલા લોકો પર ખુલીને પ્રહાર કરી રહી છે અને આ આંદોલનના સમર્થન કરનારા પણ કંગના વિરુદ્ધ પોતાની નારાજગી જાહેર કરી ચુક્યા છે.

મહારાષ્ટ્રના યવતમાલમાં ખેડૂતોના પરિવારની મહિલાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કંગના રનૌતનું પુતળું દહન કર્યું. રિપોર્ટ મુજબ આ મહિલાઓએ ભારે સંખ્યામાં ભેગી થઇ કેન્દ્ર દ્વારા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી છે. ખેડૂત આંગોલનને ખાલિસ્તાની અને આંતકી ગતિવિધિ ગણાવતી કંગનાનો વિરોધ કરતા આ મહિલાઓએ તેનો બહિષ્કાર કર્યો.

મહિલાઓ દ્વારા કંગના રનૌતના પુતળાનું દહન કરવામાં આવ્યુ. વિરોધ કરી રહેલી મહિલાઓએ જણાવ્યું કે તેઓ કંગનાની ફિલ્મોનો બહિષ્કાર કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે કંગના જ્યા સુધી ખેડૂતો વિરુદ્ધ કરેલી ટિપ્પણી પરત નહીં લે અને દેશના ખેડૂતોની માફી નહીં માંગે, ત્યાં સુધી તેની કોઇ પણ ફિલ્મ નહીં જુએ.

કંગના-દિલજીત વચ્ચે ટ્વીટર વોર

ઉલ્લેખનીય છે કે કંગના રનૌત અને દિલજીત દોસાંઝ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ ખુલ્લેઆમ ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યો છે અને કંગના તેનો વિરોધ કરી રહી છે. આ જ કારણ છે કે ટ્વિટર પર બંને એકબીજા સાથે ટકરાતા હોય છે. રિહાન્નાના ટ્વિટ બાદ પણ તાજેતરમાં જ બંનેએ ટ્વિટર યુદ્ધ જોવા મળ્યું હતું.

(5:19 pm IST)