Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બાપા સીતારામ ગૌશાળામાં ગાયોના મોત પાછળ તંત્રની બેદરકારી?કોંગ્રેસે તપાસ માંગી

કોંગ્રેસનાં ઉપનેતા મનસુખ કાલરીયા, પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને રણજીત મુંધવાની મુલાકાત : ગઇરાત્રે ટપોટપ ૩૦ થી વધુ ગાયોના મોત બાદ આજે વધુ ર નો ભોગ લેવાયોઃ કોર્પોરેશન ગૌ-શાળાને ગાયદીઠ મહીને રૂ. ૧પ૦૦ નિભાવ ખર્ચ આવે છે પરંતુ સંચાલકો કહે છે ગ્રાન્ટ નથી મળતીઃ ગાયોનાં નામે થતી ગેરરીતી અંગે ભાજપનાં નેતાઓ મૌન કેમ? : કોંગી આગેવાનોનો સણસણતો સવાલ

બાપા સીતારામ ગૌ-શાળામાં ગાયોનાં મોત પાછળ કોણ જવાબદાર છે ? તેની હકિકત તપાસવા માટે આજે સવારે કોંગ્રેસનાં ઉપનેતા મનસુખ કાલરીયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રણજીત મુંધવા, અશોકસિંહ વાઘેલાએ ગૌ-શાળાની મુલાકાત લઇ હકિકતો જાણી હતી તે વખતની તસ્વીર (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૨૯: ગઇસાંજે શહેરનાં રૈયાધાર વિસ્તારમાં આવેલી બાપા સીતારામ ગૌશાળા કે જયાં મ્યુ. કોર્પોરેશને શહેરમાંથી પકડેલી રખડતી ભટકતી ગાયોને મ્યુ. કોર્પોરેશન દ્વારા મુકવામાં આવે છે. ત્યાં એક પછી એક ૩૦ થી વધુ ગાયોનાં ટપોટપ મોત થતાં કોંગી અગ્રણી રણજીત મુંધવાએ ગઇરાત્રે આ બાબતે પોલીસ ફરીયાદની તજવીજ હાથ ધર્યા બાદ આજે સવારે કોંગ્રેસનાં ઉપનેતા મનસુખ કાલરીયા તથા પ્રદેશ મહીલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને રણજીત મુંધવાએ બાપા સીતારામ ગૌશાળાની સ્થળ મુલાકાત લઇ ગાયોનાં મોત પાછળ તંત્રવાહકની બેદરકારી હોવાની શકયતાં દર્શાવી અને આ પ્રકરણમાં તપાસ કરવા મ્યુ. કમિશ્નર સમક્ષ માંગ ઉઠાવી હતી.

આ અંગે મનસુખભાઇ, ગાયત્રીબા તથા રણજીત મુંધવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગૌશાળાની સ્થળ મુલાકાત દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

જેમાં મ્યુ.કોર્પોરેશને શહેરમાંથ પકડેલી રખડતી ભટકતી ગાયોને બાપા સીતારામ ગૌશાળામાં નિભાવ માટે મોકલવામાં આવતી હોવાનું અને આ માટે તંત્ર દ્વારા ૧ ઢોર દિઠ મહીને રૂ. ૧પ૦૦નો નિભાવ ખર્ચ ગૌશાળાના  સંચાલકોને અપાતો હોવાનું જાણવા મળેલ પરંતુ ગૌશાળાનાં સંચાલકોએ આવી કોઇ ગ્રાન્ટ મળતી જ નથી તેવો સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો. આમ બાબતમાં ગેરરીતીની ગંધ આવી રહી છે.

આ ઉપરાંત ગૌશાળામાં અશકત બીમાર, ગાયોની કાળજી નહી લેવાતી હોવાનું જોવા મળેલ.

કોંગી નેતાઓએ વધુમાં જણાવેલ કે ગઇ કાલથી આજ સુધીમાં અંદાજે પ૦ ઢોરનાં મોત થયા છે. તેનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ પણ નથી આવ્યો.

ત્યારે ગૌશાળાના નામે મત માંગનારા ભાજપનાં શાસકો ગાયોના મોત અંગે હજુ સુધી મૌન કેમ છે? તેવો સણસણતો સવાલ કોંગી અગ્રણીઓએ ઉઠાવી અને ગાયોનાં મોત પાછળ ગેરરીતી અને બેદરકારી હોવાનો આક્ષેપ કરી આ બાબતે તપાસ કરાવી જવાબદારો સામે પગલા લેવડાવવા માંગ ઉઠાવી હતી.

ઉપરોકત સ્થળ મુલાકાતમાં અશોકસિંહ વાઘેલા, ભાવેશ પટેલ, જયેશ ધોળકીયા સહીતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

ફોરેન્સીક લેબમાં રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી : વેટરનરી ડો. બી.આર. જાકાસણિયા

ગૌશાળામાં ગાયોનું મોત ઝેરી અસરથી થયાનું તંત્રનું તારણ

રાજકોટઃ શહેરમાં રસ્તે રઝળતી ગાયોને પકડીને મ્યુ.કોર્પોરેશન દ્વારા જયાં મોકલાય છે તે રૈયા વિસ્તારમાં આવેલી બાપાસીતારામ ગૌશાળામાં ગઇકાલે બપોર બાદ એક પછી એક પછી એક ર૦ થી વધુ ગાયના મોત થયા હતા. મહાનગરપાલિકાના વેટરનરી ડો. જાકસણિયા સહિતનાં કર્મચારીઓ આ અંગે માહિતી મળતા તે સ્થળ પર પહોચ્યા હતા તેમના કહેવા મુજબ ફુડ પોઇઝનિંગના કારણે મોત થયા છે. પીએમ રીપોર્ટ આવ્યુ છ.ે હવે ફોરેન્સીક લેબ સેમ્પલ લેવામાં આવશે.

શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી જપ્ત કરેલી ગાયો મહાનગરપાલિકાની ટીમ અલગ અલગ ગૌશાળામાં મોકલી આપે ેછે આ ગૌશાળાના સંચાલકો દાતાઓના સહારે ગાયને ઘાસચારો આપે છે. બાપા સિતારામ ગૌશાળામાં ગઇકાલે સવારે પ-૩૦ કલાકે અજાણ્યા દાતાએ બોલેરો ગાડીમાં લીલો ઘાસચારો મોકલ્યો હતો જે સવારે ૭ વાગ્યે ગાયોને આપવામાં આવ્યો હતો બપોરે ર વાગ્યા બાદ ગાયની હાલત ખરાબ થવા લાગી હતી અને ર-૩૦ કલાક બાદ એક પછી એક ર૦ થી વધુ ગાયના મોત થયા હતા.

મહાનગરપાલિકાએ વેટરનરી ડોકટર બી.આર.જાકાસણીયાએ જણાવ્યું હતું કે, સરકારી ડોકટરો પાસેથી  પીએમ. રીપોર્ટ કરાવવામાં આવ્યા હતા રીપોર્ટમાં ફુડ પોઇઝનીંગના કારણે મોત થયાનું આવ્યું છ ેહવે આગળની તપાસ માટે સેમ્પલ ફોરેન્સીક લેબમાં લેવામાં આવશે ત્યારબાદ રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

(3:28 pm IST)