Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સંખ્યા ૧.૭૫ કરોડઃ ભારતીય મૂળના લોકો વિશ્વમાં સૌથી વધુ પ્રવાસી જન સંખ્યાવાળા સમુદાય બન્યા

ભારત પછી મેકિસકો, ચીન, રશીયાના લોકો પરદેશમાં રહે છે

વોશિંગ્ટન, તા.૨૯: ભારતીય મૂળના લોકો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રવાસી જનસંખ્યા(માઇગ્રન્ટ પોપ્યુલેશન)વાળા સમુદાય બની ગયા છે. હાલ વિશ્વભરમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા ૧.૭૫ કરોડ છે.આ સાથે જ તેમણે વિદેશોમાં કમાણી કરીને ભારતમાં ૭૮.૬ બિલિયન અમેરિકી ડોલર જેટલી મોટી રકમ ભારતમાં મોકલી છે. ભારતીય રુપિયામાં આ રકમ લગભગ પાંચ લાખ ૬૨ હજાર કરોડ રુપિયાથી વધુ થાય છે.

આ રકમ વિશ્વના કોઈ પણ દેશથી ખૂબ જ વધારે છે. આ તમામ માહિતી યૂએન માઈગ્રેશન રિપોર્ટમાં રજૂ કરવામાં આવી છે.પ્રવાસીઓ માટે તૈયાર કરાયેલા ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશને પોતાની ગ્લોબલ માઇગ્રેશન રિપોર્ટ ૨૦૨૦માં કહ્યું છે કે વિશ્વભરમાં પ્રવાસીઓની સંખ્યા ૨૦૧૯માં વધીને ૨૭ કરોડ થવાનું અનુમાન છે.આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, વિશ્વના મોટાભાગના પ્રવાસીઓની પસંદગીની જગ્યા અમેરિકા છે. જયાં હાલ ૫.૧ કરોડ પ્રવાસીઓ રહે છે.

તાજેતરમાં પ્રગટ કરાયેલા ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશને જણાવ્યું છે કે, આ આંકડો સમગ્ર વિશ્વની જનસંખ્યાનો એક નાનકડો હિસ્સો છે. એમાં બે વર્ષ પહેલા પ્રગટ કરાયેલા રિપોર્ટની તુલનામાં માત્ર ૦.૧ ટકા જેટલી વૃદ્ઘિ થઈ છે.આંતરરાષ્ટ્રીય સંસ્થાની ગ્લોબલ માઈગ્રેશન રિપોર્ટ ૨૦૨૦માં એમ પણ કહેવાયું છે કે, આ આંકડો વિશ્વભરની વસ્તીનો ફકત ૩.૫ ટકા હિસ્સો જ છે. જેનો અર્થ એ થયો કે વિશ્વની ૯૬.૫ ટકા વસ્તી હજુ પણ એ દેશોમાં રહે છે, જયાં તેમનો જન્મ થયો છે.

આફ્રિકા, એશિયા અને યુરોપમાં વિશ્વના સૌથી વધુ પ્રવાસી પોતાના જન્મના દેશની આસપાસ જ રહી રહ્યા છે. જોકે, લેટિન અમેરિકી અને કેરબિયા કે નોર્થ અમેરિકાના પ્રવાસીઓ સાથે આવું નથી.આ રિપોર્ટમાં કહેવાયું છે કે ટોપ-૧૦ મૂળ દેશોના પ્રવાસી તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા એક તૃતીયાંશ છે. ૨૦૧૯માં, વિદેશમાં રહેતા ૧.૭૫ કરોડ લોકો સાથે પ્રવાસીઓની સંખ્યાના મામલામાં ભારત અગ્ર ક્રમે છે. ત્યારબાદ બીજા ક્રમે મેકિસકો ૧.૧૮ કરોડ, ત્રીજા ક્રમે ચીન ૧.૦૭ કરોડ, ચોથા ક્રમે રશિયા ૧.૦૫ કરોડ, પાંચમા ક્રમે સીરિયા ૮૨ લાખ, છઠ્ઠા ક્રમે બાંગ્લાદેશ ૭૮ લાખ, સાતમા સ્થાને પાકિસ્તાન ૬૩ લાખ, આઠમા ક્રમે યુક્રેન ૫૯ લાખ, નવમા ક્રમે ફિલિપાઈન્સ ૫૪ લાખ અને દસમા ક્રમે અફદ્યાનિસ્તાનના ૫૧ લાખ લોકો પ્રવાસી તરીકે અન્ય દેશોમાં રહે છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે, પ્રવાસીઓની સંખ્યા મામલે જ પેટર્ન હજુ આગામી વર્ષો સુધી યથાવત્ રહે તેવી પુરતી શકયતા જોવાઈ રહી છે.અહીંયા નોંધવું રહ્યું કે, વિકાસશીલ અને ગરીબ દેશોના લોકો મોટા ભાગે અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન જેવા દેશોમાં જવાનું વધારે પસંદ કરે છે.

આ રિપોર્ટમાં પર્યાવરણીય અને મોસમી દુર્દ્યટનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. એમાં કહેવાયું છે કે, ફિલિપાઈન્સમાં આવેલા દરિયાઈ તોફાન મંગખુતના કારણે ૨૦૧૮ના અંતમાં ૩૮ લાખ લોકો વિસ્થાપિત થયા હતા. જે હાલ વિશ્વભરમાં વિસ્થાપિત થનાર લોકોની સૌથી મોટી સંખ્યા છે.(૨૩.૨)

(10:09 am IST)