Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ડોન છોટા રાજન તિહાડ જેલમાં કોરોનાથી સંક્રમિત

કોરોનાથી અંડરવર્લ્ડ ડોન પણ ન બચી શક્યો : છોટા રાજનની હાલત અત્યારે સ્ટેબલ છે અને એટલે તેને જેલમાં જ બનેલી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે

નવી દિલ્હી, તા.૨૪ : અન્ડર વર્લ્ડ ડોન છોટા રાજન પણ જેલમાં કોરોનાથી સંક્રમિત થયો હોવાના અહેવાલો મળ્યા છે.તેની તાત્કાલિક સારવાર શરુ કરવામાં આવી છે.જેલમાં જ તેની સારવાર થ રહી છે.

તિહાડ જેલના સૂત્રોના કહેવા પ્રમાણે છોટા રાજનની હાલત અત્યારે સ્ટેબલ છે અને એટલે તેને જેલમાં જ બનેલી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.રાજનની સુરક્ષામાં મુકાયેલા જવાનોને પણ હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.રાજનને તિહાડ જેલના વિશેષ વોર્ડમાં રાખવામાં આવ્યો છે.

આ પહેલા બિહારના પૂર્વ બાહુબલી સાંસદ શહાબુદ્દીનને પણ થોડા સમય પહેલા કોરોના થયો હતો.જોકે તેની તબિયત વધારે બગડતા તેને જેલની બહારની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

છોટા રાજન હાઈ સિક્યુરિટી જેલમાં છે.તેની પાસે કોઈ બહારના વ્યક્તિને પૂરતી તપાસ કર્યા વગર જવા દેવાતી નથી.જેલના પણ ગણતરીના કર્મચારીઓને જ તેની સાથે મુલાકાત કરવાની પરવાનગી આપી છે.છોટા રાજનને મળનારા વ્યક્તિએ પણ સમયાંતરે કોરોના ટેસ્ટ કરાવવાનો હોય છે.આમ છતા છોટા રાજન કોરોના પોઝિટિવ થતા જેલમાં દોડધામ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, તિહાડ જેલમાં પણ કોરોનાનુ સંક્રમણ ફેલાયેલુ છે અને અત્યાર સુધીમાં સેંકડો દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયેલા છે.

(9:08 pm IST)