Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નાની રાવલ ગામની નર્મદા નદીમાં સુરતના પિતા-પુત્રી સહિત ૩ સભ્યોના ડુબી જવાથી મોત

વડોદરા : નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં નાની રાવલ ગામમાં નર્મદા નદીમાં સુરતનાં પિતા પુત્રી સહિત ત્રણ સભ્યોનાં મોત નિપજ્યાં છે. ન્હાવા પડેલા પિતા પુત્રીઓનાં મોતનાં પગલે પરિવારમાં માતમ છવાયો છે. આજે એકાદશી હોવાથી સુરતનો પરિવાર રાવલ ખાતે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો હતો.

દર્શન અને પુજા કર્યા બાદ કાર મુકીને આ લોકો નજીકમાં નદી હોવાનાં કારણે ન્હાવા પડ્યાં હતા. જો કે નર્મદા નદીનું પાણી ઉંડુ હોવાના કારણે ત્રણેય આગળ જતા ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ડુબી જવાના કારણે ત્રણેયનાં કરૂણ મોત નિપજ્યાં હતા. જેમાં પિતા પુત્રી સહિત ત્રણનો સમાવેશ થયો હતો.

ઘટનાની જાણ થતા જ ગરુડેશ્વર પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પીએસઆઇ વસાવાએ અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહોને ગરુડેશ્વર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ મુદ્દે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ આદરી છે.

મૃતકોનાં નામ...

- મગનભાઇ ભીખાભાઇ નાગલિયા (ઉ.વ 45)

- આરજુબેન મગનભાઇ નાગલીયા (ઉ.વ 15)

- અનિલભાઇ કેશુભાઇ અજુવાડિયા (ઉ.વ 44)

(4:46 pm IST)