Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સુરેન્દ્રનગર હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત : એકનું મોત : પાંચને ઇજા : ટ્રક પલટી મારી ગયો : બન્ને કારનો કચ્ચરઘાણ

અકસમાત સર્જાતા બે કલાક ચક્કાજામ : અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, એક કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો

વઢવાણ,તા.૧૦ : રાજય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં લોકડાઉનના પગલે દ્યટાડો નોંધાયો હતો, પરંતુ જયારથી લોકડાઉનમાં રાહત મળી છે ત્યારથી અકસ્માતની ઘટનાઓમાં ફરી સતત વધારો થતો જાય છે. આવી જ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં  સામે આવી છે. અહીં એક ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એકનું મોત અને પાંચ લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર ગામ પાસે બે કાર અને એક ટ્રેલર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે.

 સાંજના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, એવા સમયમાં  હાઈવે પર એક કાર ચાલક ફૂલ સ્પીડે ટ્રેલરનો ઓવરટેક લેવા ગયો તે સમયે ટ્રેલર સાથે અથડાઈ ગયો, આજ સમયે બીજો કારચાલક પણ પોતાના સ્ટેરિંગ પર કાબુ ગુમાવી બેઠો અને તે પણ ધડાકાભેર અથડાઈ પડ્યો.

આ અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, જયારે ટ્રેઈલર હાઈવે પર જ પલટી મારી ગયું. મેઈન હાઈવે પર ટ્રેલર આડુ પડી જતા, અને અકસમાત સર્જાતા હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો, કલાકો સુધી હાઈવે બંધ રહે તેવી સ્થિતિ સર્જાઈ. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, એક કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો.

ઘટનાની જાણ પોલીસને થતા હાલમાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી  મુતકને પીએમ માટે તો ઘાયલ લોકોને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. સાથે અકસ્માતમાં મરનાર કોણ છે, તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.

 અકસ્માત સર્જાતા આ હાઇવે બે કલાક સુધી બ્લોક રહેવા પામ્યો હતો. ત્યારે તાત્કાલિક ધાંગધ્રા પોલીસ ઘટના સ્થળે દોડી આવીને રસ્તામાંથી અકસ્માત થયેલ વાહનોને દૂર કરી ફરી હાઇવે ખુલ્લો કરવામાં આવ્યો હતો ત્યારે આ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજયું છે અન્ય પાંચને ગંભીર ઈજાઓ પહોંચી છે.

(11:13 am IST)