Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

જામનગરમાં વેકિસનેશનના ચોથા તબક્કાનો પ્રારંભ

જામનગર તા. ૩ : જિલ્લામાં કોવિડ પ્રતિરોધક રસીકરણ અભિયાનના ચોથા તબકકાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૧લી મેથી રાજયના ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજય સરકાર વિનામૂલ્યે વેકિસન આપવાનો પ્રારંભ થઇ ચૂકયો છે.જેમાં જામનગર જિલ્લાના નાગરિકોમાં વેકિસન લેવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર શહેરના વોર્ડ નં ૬ના  રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ સમયે રાજયમંત્રીશ્રીએ રસી લેનાર નાગરિકોને બિરદાવ્યા હતા.  

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેકિસનેશન શરૂ થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. રાજયમાં જયાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આજથી, ગુજરાતના સ્થાપના દિવસે સવારે ૯ વાગ્યાથી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજય સરકાર વિનામૂલ્યે વેકિસન આપવાનો પ્રારંભ થઇ ચૂકયો છે.

 આજથી શરૂ થયેલ ૧૮થી ૪૪ વયજૂથના વેકિસનેશનનો ચોથા તબક્કામાં જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને SMS મળશે, અને SMSમાં દર્શાવેલા સેન્ટર પર જઈને તેમણે વેકિસન લેવાની રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી.

આ રસીકરણ અભિયાનમાં ડેપ્યુટી મેયર  તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા,  શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઇ ગોસરાણી, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટર જશુબા ઝાલા, પૂર્વ કોર્પોરેટર કમલાસિંહ રાજપૂત, અનિરૂધ્ધસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.

(12:55 pm IST)