Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા સમરસ કોવિડ સેન્ટરમાં તાત્કાલિક ઓકસીજન ટેન્ક નંખાવાઇ

રાજકોટ તા. ૧ : રાજકોટ શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ખાળવા અને દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજય સરકારે યુદ્ઘના ધોરણે કામગીરી આરંભી છે. જેના ભાગરૂપે રાજકોટની સમરસ હોસ્પિટલ ખાતે દર્દીઓને સત્વરે ઓકિસજન સહિતની તમામ સારવાર મળી રહે તે માટે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૨૦ હજાર લિટર ક્ષમતાવાળી ઓકિસજન ટેન્ક સમરસ હોસ્ટેલ ખાતે ઉભી કરવામાં આવી રહી છે.

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ તથા સમાજ અગ્રણી રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે, સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું છે તેનો સમાજના હિતાર્થે ઉપયોગ કરવામાં અમે પાછી પાની નહીં કરીએ. સાથે મળીને કોરોનાની મહામારીમાંથી મહામુલી માનવજાતને બચાવવા માસ્ક પહેરીએ, સોશ્યલ ડિસ્ટંસિંગ જાળવીએ, સમયસર હાથ ધોઈએ, સ્વસ્થ રહીએ અને અન્યને સુરક્ષીત રાખીએ.

ફાલ્કન પરિવારના જગદિશભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજા રોટલો અને ઓટલો આપવામાં હમેશા આગળ રહી છે. આવી મહામારીના સમયમાં માનવધર્મને બચાવવા માટે ખંભે-ખંભા મીલાવીને માનવજાતને બચાવીએ અને આગળ વધીએ. સમરસ હોસ્ટેલમાં ૨૦,૦૦૦ લીટરની ક્ષમતાવાળા ઓકિસજન પ્લાન્ટની સ્થાપનાથી ૮૦૦ લોકોની હોસ્પિટલમાં દૈનિક ૨૦૦ લોકોને જીવનદાન આપી શકાશે.

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશન અને ફાલ્કન પરિવારનો જિલ્લા વહીવટી તંત્રએ આભાર માન્યો હતો.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે કે હાલમાં સમરસ હોસ્ટેલ ખાતે ૧૦૦૦ લીટરની ક્ષમતાવાળા ૮ ઓકિસજન ટેન્ક કાર્યરત છે. હજાર લિટરની આઠ ટેન્કોને અત્રેથી મુકત કરીને અન્ય સેન્ટર પર કાર્યરત કરવામાં આવશે. મહત્તમ દર્દીઓને સારવાર આપતી વખતે ઓકિસજનની અછત ના સર્જાય તેવા શુભાશય સાથે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના સહકારથી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦,૦૦૦ લીટરની ક્ષમતાવાળો ઓકિસજન પ્લાન્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે, તેમ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું.

(3:52 pm IST)