નવી દિલ્હી, તા.૩૦: આગામી ૧ એપ્રિલથી દેશની ૧૦ જાહેર ક્ષેત્રોની બેંકોનું મર્જર કરીને ૪ મોટી બેંકો બનાવવામાં આવશે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંકનું મર્જર પંજાબ નેશનલ બેંકમાં થશે. આ મર્જર પછી રચાયેલી બેંક દેશની બીજી સૌથી મોટી બેંક હશે. સિન્ડિકેટ બેંકનું મર્જર કેનેરા બેંક સાથે થઈ જશે. આ મર્જર પછી તે દેશની ચોથી મોટી બેંક બનશે.
તો આ જ રીતે આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું મર્જર યુનિયન બેંક ઓફ ઇન્ડિયા બની જશે. જે દેશની પાંચમી સૌથી મોટી સરકારી બેંક હશે. તો ઇન્ડિયન બેંકને અલ્હાબાદ બેંકમાં મર્જ કરીને દેશની સાતમી સૌથી મોટી બેંક બનાવાશે. તેવામાં જો આ બેંકોમાં તમારું ખાતું હોય તો તેના પર શું અસર પડશે તે અહીં જાણો.
બેંકોના મર્જરની સીધી અસર બચત ખાતાં, ચાલુ ખાતાં અને અન્ય પ્રકારના ખાતાઓ પર પડશે. મર્જર પ્રક્રિયા પૂર્ણ થયા પછી આ બેંકોના અકાઉન્ટ ધારકોએ બેંકમાં જવું પડશે અને તેમની અત્યારની પાસબુક બદલાવીને નવી પાસબુક લેવી પડશે. મર્જર સાથે સંકળાયેલી તમામ બેંકોને સરકારે મર્જર પ્રક્રિયા દરમિયાન બેંકિંગ સેવાઓમાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
જો મર્જ થયેલ બેંકોના અકાઉન્ટ નંબરમાં સમાન અંકો રહ્યા તો અકાઉન્ટ નંબર બદલાશે નહીં. પરંતુ જો અકાઉન્ટ નંબરના અંકોની સંખ્યામાં કોઈ તફાવત હશે તો તે ચોક્કસપણે બદલાશે.
મર્જર પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેમાં સામેલ બેંકોમાંથી કોઈ એક બેંકની બ્રાંચ જો એક જ વિસ્તારમાં એક કરતા વધુ જોવા મળે તો કેટલીક બ્રાંચ બંધ થઈ શકે છે. અથવા આસપાસ બ્રાંચ હોય તો તેને પણ મર્જ કરવામાં આવશે.
મર્જર પ્રક્રિયા પછી તેમાં સામેલ ૧૦ બેંકોમાંથી ૬ બેંકોના નામ બદલાશે અને જૂની બેંકના નામની ચેકબુક પણ કેન્સલ કરવામાં આવશે. તેની જગ્યાએ નવી ચેકબુક બહાર પાડવામાં આવશે. જો કે, આ માટે છ મહિનાનો સમય આપવામાં આવશે.
મર્જ થનારી બેંકોની વિવિધ બ્રાંચના IFSC નંબર પર તરત તો અસર નહીં થાય. પરંતુ મર્જર પ્રક્રિયા પૂર્ણ થયા પછી તે ચોક્કસપણે બદલાશે અને સંપૂર્ણપણે બદલાશે.
જૂનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડનું શું થશે?
આ પ્રક્રિયાથી મર્જરમાં સામેલ વિવિધ બેંકોના ગ્રાહકોને આપવામાં આવેલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સને અસર નહીં થાય અને તેઓ પહેલાની જેમ જ કામ કરવાનું ચાલુ રાખશે. જો કે, એકીકૃત બેંકો ઇચ્છે તો નવાં બ્રાંડિંગ હેઠળ ગ્રાહકોને નવાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકે છે.
બેંકોના મર્જરની અસર વિવિધ ડિપોઝિટ સ્કીમના વ્યાજ દર પડશે. મર્જર પહેલાના ગ્રાહકોની FD-RD વ્યાજના દરોને અસર નહીં થાય પરંતુ મર્જર પછી બનેલી બેંકોના વ્યાજ દર નવા ગ્રાહકો માટે એકસમાન હશે.
પહેલેથી જ ચાલતી વિવિધ પ્રકારની લોનનાં જૂના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, જેમ કે હોમ લોન, વાહન લોન, એજયુકેશન લોન, પર્સનલ લોન અને ગોલ્ડ લોન.
મર્જરથી અસરગ્રસ્ત બેંકના ગ્રાહકોએ તેમના નવાં અકાઉન્ટ નંબર, IFSCની ડિટેલ્સ, અપડેટ કરવાની રહેશે, જેમાં ઇન્કમ ટેકસ, ઇન્શ્યોરન્સ કંપની, મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત દરેક જગ્યાએ અપડેટ કરાવવાના રહેશે. SIP અને EMIમાં પણ વિગતો અપડેટ કરાવવાની રહેશે.