Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

કોરોના મહામારીમાં પ્રજાની હાડમારીઃ કોરોના પોઝીટીવ આવ્‍યા બાદ હોસ્‍પિટલમાં દાખલ, ઇન્‍જેકશન, સારવાર, અંતિમવિધી બધામાં કાળા બજારથી પ્રજા હેરાન

અમદાવાદઃ ના બીવી ના બચ્ચા, ના બાપ, બડા ના ભૈયા, ધ હોલ થિંગ ઈઝ ધેટ સબસે બડા રૂપૈયા...કોરોના કાળમાં દવાઓ, ઓક્સિજન અને સારવાર માટે એક તરફ દર્દીથી કણસતા દર્દીઓ અને તેમના સ્વજનો પારાવાર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યાં છે ત્યાં બીજી તરફ કાળાબજારીઓ અને પૈસા પડાવતા તબીબોને કારણે ગુજરાત સહિત દેશભરમાં સ્થિતિ હાલ કંઈક આ ગીતની પંક્તિઓ જેવી જ થઈ ગઈ છે.

કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે.જેની ભારતમાં પણ ખુબ મોટી અસર જોવા મળી. હોસ્પિટલો હાઉસફૂલ, સ્મશાનમાં વેઈટિંગ,ઓક્સિજનની અછત, વેન્ટીલેટરનો અભાવે લોકો અને દેશની કમર તોડી નાખી.લોકો મહામારી સામે બચવા લાચાર બની ગયા છે.પરંતુ આવા કપરા કાળમાં પણ કેટલાક કાળાબજારીઓ પોતાનો ધીકતો ધંધો પુરજોશમાં ચાલુ રાખ્યો.અને લોકોના ખીસ્સા ખાલી પણ કર્યા.

હોસ્પિટલના બીછાને પહોંચવાથી લઈને મોતની ચિતા સુધી બધે જે કાળે બજારીઓ પોતાની કમાલ દેખાડી રહ્યા છે.લોકો લાચાર છે, લૂંટાય છે.પરંતુ નિર્દય બનેલા ભ્રષ્ટાચારીઓને બસ પોતાનો ફાયદો જ દેખાઈ રહ્યો છે.લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી કાળાબજારીયો પોતાના ખીસ્સા ભરી રહ્યા છે.ત્યારે આવો બતાવીએ કે કેવી રીતે લોકડાઉન જેવી સ્થિતિમાં પણ કેવી રીતે કાળબજારી અનલોક છે. પ્રજાને હાલાકી ન પડે તેના માટે સરકાર સતત કાર્યરત છે. પરંતુ તેમ છતા અમુક સ્થળે કાળાબજાર કરનારા શખ્સો તકનો લાભ ઉઠાવી લે છે.જેથી સરકાર આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા ચાંપતી નજર રાખી રહી છે.અને લોકો પણ આ કાળબજારીઓની ચાલમાં ન ફસાય.જો કોઈ આવા શખ્સ તમને દેખાય તો આ માનવતાના હત્યારાઓને પોલીસના હવાલે કરજો. જેથી અન્ય કોઈને લૂંટાવવાનો વારો ન આવે .

કોરોના કાળમાં 'રાવણરાજ'

વર્ષ 1995માં આવેલી મિથુન ચક્રવર્તીની ફિલ્મ રાવણરાજમાં તે સમયે દર્શાવાયું હતુંકે, ગરીબ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે. અને ત્યાર પછી પરત જીવિત પાછા ફરતા નથી. હોસ્પિટલમાં જ તેમનું મૃત્યુ થઈ જાય છે અને ત્યાંથી જ પૈસાના લાલચુ ડોક્ટરો આવા ગરીબ દર્દીઓના શરીરના ઓર્ગન કાઢી લે છે અને પછી તેનો વેપાર કરે છે. ફિલ્મમાં આવી કાહાની દર્શાવાઈ હતી. હાલ મહામારીને કારણે દર્દીનું પોસ્ટમોર્ટમ થતું નથી અને મોટોભાગના કિસ્સામાં દર્દીના સ્વજનોને પણ મોતનું સાચું કારણ જાણવા મળતું નથી. અને હોસ્પિટલમાં સારવાર દરમિયાનનો મૃત્યુઆંક સતત વધતો જાય છે. મૃત્યુઆંકના સરકારી આંકડા અને સ્મશાનનોની વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ હકીકત વર્ણવે છે. જેને કારણે આ પરિસ્થિત અનેક સવાલો ઉભા થાય છે. કે ખરેખર આ નરસંહાર માટે જવાબદાર કોણ છે?

દવા અને ઈન્જેક્શન બાદ ઓક્સિજનની કાળાબજારીથી સ્માશાનમાં ભીડ

કોરોનાના દર્દીઓ વધતાં ઓક્સિજનની માગ વધી.જેથી કાળા બજારી કરનારાઓએ ઓક્સિજનનું પણ બ્લેકમાં વેચાણ શરૂ કર્યું. કાનપુરના ગોવિંદ નગરમાં ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરનાર એજન્સી સંચાલકનો પર્દાફાશ થયો હતો.જે બજાર ભાવ કરતાં 4થી 5 ગણા ભાવે ઓક્સિજનના સિલિન્ડર વેચતો હતો. એજ કારણ છેકે, જરૂરી દવા અને ઓક્સિજનના અભાવને કારણે દર્દીઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે. દવા અને ઈન્જેક્શન બાદ ઓક્સિજનની કાળાબજારીથી હાલ સ્માશાનમાં ભીડ લાગી છે. આ દ્રશ્યો રદયને કંપાવનારા છે.

ગોલ માલ હૈ ભાઈ સબ ગોલ માલ હૈ

કોરોનાના કહેર વચ્ચે પણ દાખલ થવા માટે, ઈન્જેક્શન લેવા માટે, અંતિમ ક્રિયા કરવા માટે, દર્દી સાથે વાત કરવા, ઓક્સિજન લેવા માટે પણ રૂપિયા આપીને કામ કરાવવા પડતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.લોકોને મુશ્કેલી ન પડે તેના માટે સરકારે પુરતા પગલા ભર્યા છે.પરંતુ તેમાં પણ તકનો લાભ લઈને કાળાબજારીઓ લૂંટ મચાવી.

એક બેડ માટે 9 હજાર રૂપિયા આપવા પડેઃ રાજકોટમાં કોરોનાના હાહાકાર વચ્ચે કાળા બજારનો પર્દાફાશ થયો છે.એક વાયરલ થયેલ વીડિયોમાં રાજકોટ સિવિલમાં એડમીટ થવા માટે એક શખ્સ 9 હજાર રૂપિયા માગી રહ્યો છે.એક દર્દીને દાખલ કરવો હોય તો 9 હજાર રૂપિયા આપવા પડે.જો કે આ વીડિયો વાયરલ થયા બાદ કાળા બજારી કરનારને પોલીસે જડપી પાડ્યો હતો.

સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે રૂપિયા ઉઘરાવ્યા

કોરોનાએ કાળો કહેર વર્તાવતા અનેક સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાબું વેઈટિંગ જોવા મળ્યું.ત્યારે કેટલા કાળાબજારીઓ મજબુરીનો લાભ લઈને અંતિમ સંસ્કાર માટે પણ રૂપિયા ખંખેર્યા.અમદાવાદના બાપુનગરના ચામુંડા સ્મશાનમાં અંતિમ વિધિ માટે વારો વહેલો લેવો હોય તો 1500 રૂપિયા લેવાનો વીડિયો સામે આવ્યો હતો.તો સુરતના અશ્વની કુમાર સ્મશાનમાં ભ્રષ્ટાર થતો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.જેમાં 1થી 2 હજાર રૂપિયા લઈ વહેલા અંતિમ સંસ્કાર કરાવવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

પડતર કિંમત કરતા બમણા ભાવ

કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક સૌથી મોટો હથિયાર છે.તો જે સંક્રમિત થયા હોય તેના માટે રેમડેસિવિર સહિતના ઈન્જેક્શન છે.પરંતુ સતત વધતાં સંક્રમણથી ઈન્જેક્શનની માગ પણ વધી છે. જેથી તેના ભાવ પણ વધ્યા છે.જો કે ઓછા ભાવે લોકોને ઈન્જેક્શન આપવા સરકારે સતત પ્રયત્નો કર્યા છે.પરંતુ તેમ છતા અનેક જગ્યાએ ઈન્જેક્શનની કાળા બજારી સામે આવી.જેમાં એક ઈન્જેક્શનના પડતર કિંમત કરતા 3થી 4 ગણા રૂપિયા પણ વસુલાયા.તો 2 રૂપિયાની પડતર કિંમતના માસ્ક પણ 20થી 50 રૂપિયા સુધી માર્કેટમાં વેચાયા છે.

રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી

કોરોનાના દર્દીની સારવાર માટે જે ઈન્જેક્શન રેમડેસિવિર ખુબ જ આવશ્યક માનવામાં આવે છે તેની કાળાબજારીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યાં છે. કોર્ટે સરકારને ફટકાર લગાવ્યાં બાદ સરકારે પણ હવે આ અંગે કડકાઈથી કામ લેવાની શરૂઆત કરી છે. જેને પગલે હવે એક બાદ એક આવી દવાઓના કાળાબજારીઓના ચહેરા સામે આવી રહ્યાં છે.

કોરોનાના કહેરથી હાહાકાર

કોરોનાના કહેરથી ગુજરાત સહિત દેશભરમાં હાલ હાહાકાર મચ્યો છે. થોડા સમય પહેલાં સ્થિતિ મહદઅંશે સામાન્ય થઈ ગઈ હતી. જોકે, ચૂંટણીઓ અને રાજકીય મેળાવળા, પ્રચાર-પ્રસારની રેલીઓને કારણે સ્થિતિ વણસી હોવાનું હવે સૌ કોઈ કહી રહ્યું છે.

કાળાબજારનો કમાલ, સેમ્પલ વગર જ આવે નેગેટિવ રિપોર્ટ

કોરોના છે કે નહીં તે જાણવા લોકો રૂપિયા ખર્ચી રિપોર્ટ કરાવતા હોય છે.પરંતુ રાજકોટમાં કાળબજારીઓ તો વગર સેમ્પલે નેગેટિવિ રિપોર્ટ આપતા હોવાનો પર્દાફાશ થયો હતો.જેમાં ગાંધીગ્રામ વિસ્તારમાં મહાદેવ કલેક્શન સેન્ટર ચલાવતા પરાગ જોશી 1500 રૂપિયા લઈ નેગેટિવ રિપોર્ટ આપતો હોવોના ખુલાસો થયો હતો.જો કે વીડિયો સામે આવ્યા બાદ પરાગ જોશી સહિત તેના સાગરીત સામે કડક કાર્યવાહી થઈ હતી.

રેમડેસિવિર, ટોસિલિઝુમેબની ઘટથી ઈટોલીઝુમાબની કાળાબજારી

અમદાવાદના શાહીબાગમાં ફાર્મસથી ચલાવતો હાર્દિક ઠાકોર નામો શખ્સ ઈટોલીઝુમાબ ઈન્જેક્શનની કાળા બજાર કરતો ઝડપાયો હતો. જે 31 હજારના એક ઈન્જેક્શન પર 24 હજાર વધાર વધુ વસુલી 55 હજારમાં વેચતો હતો.

કોરોનાએ કમર તોડી નાખી: કોરોના કાળમાં એક તરફ ધંધા-રોજગાર પર માડી અસર પડી.તો બીજી તરફ વધતાં ભાવે લોકોની કમર તોડી નાંખી.કોરોના સામે રક્ષણ આપતી દવા, ઓક્સિજન માપવાનું મશીન, નાસ મશીન, ઈમ્યુનિટી વધારતા ફળો સહિતની વસ્તુની માગ વધતાં તેના ભાવ પણ વધ્યા.જેથી કોરોનાથી બચવા ઉંચા ભાવે પણ લોકોએ આ તમામ વસ્તુઓ ખરીદવી પડી.

(5:15 pm IST)