Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દૂર્ઘટનાનો તપાસ અહેવાલ મુખ્યમંત્રી રૂપાણીને સોંપતા બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ

સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઈન્કવાયરી માટે રાજ્ય સરકારનો નિર્ણય

અમદાવાદ :ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,  અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તા.૬ઠ્ઠી ઓગસ્ટના મધરાતે લાગેલી આગની ઘટનાને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અત્યંત ગંભીરતાથી લીધી છે.

  તેમણે આ ઘટનામાં મૃત્યુ પામેલા કમનસીબ આઠ વ્યક્તિઓ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરીને ઉંડુ દુઃખ વ્યક્ત કરતા મૃતકોના વારસદારોને રૂપિયા ચાર લાખની સહાયની પણ જાહેરાત કરી હતી અને આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ રૂપિયા ૫૦ હજારની સહાય જાહેર કરી હતી.
મુખ્યમંત્રીએ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની આ સમગ્ર ઘટનાક્રમની તપાસ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની નિયુક્તિ કરી હતી.
           મુખ્યમંત્રીએ આ બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓને તેમની તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રાજ્ય સરકારને આપવાની સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી.
આ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ દ્વારા અમદાવાદ મહાપાલિકા, FSL, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ફાયર બ્રિગેડ તેમજ પોલીસની સમગ્રતયા કામગીરીના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા.
          આજે આ બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શ્રી મુકેશ પુરીએ તેમનો તપાસ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો છે.
 આ અહેવાલ જણાવાયું છે કે પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બનેલી છે. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે જે અંદાજે ત્રણ મિનિટમાં ICUમાં પ્રસરી ગઈ છે.
           મુખ્યમંત્રીએ આઠ લોકોના દર્દનાક મૃત્યુની આ આખીયે ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તેમને વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓએ સોંપેલા તપાસ અહેવાલ બાદ કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈપણ કસૂરવાર છટકી ન જાય તે હેતુસર સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ થાય તે માટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપવાનો નિર્ણય કર્યો છે.
આ ઘટના અંગે પોલીસ દ્વારા પણ ઝડપથી FIRની કાર્યવાહી કરવામાં આવે તેવા સ્પષ્ટ આદેશો પણ  આજ રોજરાજ્ય સરકારે આપ્યા છે તેમ પ્રદિપસિંહ જાડેજાએ અંતમાં જણાવ્યું હતુ.

(10:44 pm IST)