Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાજ્યના 45 બોર્ડ નિગમના ચેરમેનની નિમણૂંક કરવા પીએમ મોદીએ આપી મુખ્યમંત્રીને સૂચના

કોંગ્રેસમાંથી આવેલ અને ચૂંટણી હારેલા નેતાને સમાવવા કવાયત: મોદીએ છ સભ્યોની કમિટી બનાવી : 25 જેટલા બોર્ડ નિગમમાં ધારાસભ્યોને મળશે સ્થાન

અમદાવાદઃ વડાપ્રધાન  મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીને રાજ્યનાં 45 બોર્ડ નિગમના ચેરમેનની નિમણૂંક કરવા કહ્યું છે. ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનો અસંતોષ દૂર કરવા અને વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને સક્રિય કરવા માટે પીએમ  મોદીએ રાજ્યનાં 45 બોર્ડ નિગમના ચેરમેનની નિમણૂંક કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે 45માંથી 25 બોર્ડ-નિગમોમાં ચેરમેન તરીકે ધારાસભ્યોને નિમવામાં આવશે. આ નિમણૂકો આ મહિનાના અંતમાં એટલે કે ઓગસ્ટ મહિનામાં જ કરી દેવાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ચૂંટણી હારેલા નેતાઓને પણ બોર્ડ-નિગમોમાં સ્થાન મળશે. આ ઉપરાંત સંગઠનમાં મહત્વના હોદ્દા પર હોય તેમને પણ સ્થાન મળશે. રાજ્ય સરકાર દ્વારા બોર્ડ-નિગમોમાં ચેરમેન વરણી બાદ સંગઠનનું માળખું જાહેર કરાશે.

પીએમ મોદીએ આ માટે છ સભ્યોની કમિટી બનાવી છે કે જે ક્યા બોર્ડ-નિગમમાં કોને નિમવા તે અંગે નિર્ણય લેશે. આ કમિટીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલનો સમાવેશ કરાયો છે.  

(11:36 am IST)