Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

રાષ્ટ્રપિતા ગાંધીના પૂતળા સાથે ક્રૂરતાપૂર્વકનું વર્તન નિંદનીય છે

ભાજપ સખત શબ્દોમાં વખોડી કાઢે છે : ભરત પંડ્યાઃ કોંગ્રેસે હંમેશા ગાંધીજીના નામનો ઉપયોગ કર્યો પરંતુ ક્યારે પણ ગાંધીજીના વિચારનો અમલ કર્યો હતો : ભરત પંડ્યા

અમદાવાદ,તા.૪: પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગાંધીજીના પૂતળા સાથે કૃરતાપૂર્વક વ્યવહાર કરવાના જે દૃશ્યો સોશીયલ મિડીયામાં આવ્યાં છે. તે અતિ અતિ નિંદનીય  છે. તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. ગાંધીજીનું આ પ્રકારનું અપમાન ભાજપ, ગુજરાત, દેશ કયારેય સહન કરશે નહીં. સત્ય, પ્રેમ, અહીંસાના ગાંધીજીના વિચારો એ શાશ્વત છે. દુનિયાએ સ્વીકાર્યાં છે. ત્યારે આ પ્રકારની માનસિક વિકૃતિ પ્રદર્શિત કરીને ધૃષ્ટતા કરનાર લોકોને સજા મળવી જોઈએ. મળતી માહિતી મુજબ યુ.પી.સરકારે તે લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસના ધરણાં સામે પ્રત્યાઘાત આપતાં પંડયાએ જણાવ્યું હતું કે, ગાંધીજી અને ગાંધી વિચારની વાત કોંગ્રેસને શોભતી નથી. કોંગ્રેસે હંમેશા ગાંધીજીના નામનો ઉપયોગ કર્યો છે. પરંતુ કયારેય ગાંધી વિચારનો અમલ કર્યો નથી. ગાંધીજીના સત્ય, પ્રેમ, અહીંસા, સ્વચ્છતા, ગૌવંશ હત્યા પ્રતિબંધ અને કોંગ્રેસને વિખેરી નાખવાનાં વિચારોનો અમલ કોંગ્રેસે કર્યો નથી. ગાંધીજીએ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ મુકવાના સખ્ત હિમાયતી હતાં. જયારે કોંગ્રેસના નેતાઓએ કેરલમાં જાહેરમાં મિડીયા સમક્ષ ગાય-વાછરડા કાપીને તેના માંસની મિજબાની કરી હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસ કેમ ચૂપ હતી ? પૂ.સંતોએ કેરલના કોંગ્રેસીઓ સામે ગુજરાતમાં ધરણાં કર્યાં ત્યારે કોંગ્રેસના લોકોએ પૂ.સંતો પર હુમલા કર્યાં હતાં. કોંગ્રેસ મહેરબાની કરીને ગાંધીજીના નામે ભાજપ પર આક્ષેપ કરવાનું બંધ કરવું જોઈએ. પંડયા વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે દર બીજી ઓકટોમ્બરના રોજ જાતે ખાદીની ખરીદી કરીને લોકોને ખાદી ખરીદવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં. ગાંધીનગરમાં બનેલ મહાત્મા મંદિર અને દાંડી કૂટીરમાં બાપુના જીવન પ્રદર્શની વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

(9:33 pm IST)