Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રામનવમી પર્વની ભવ્યરીતે ઉજવણી : ઘરમાં પુજા કરાઇ

મંદિરોમાં ભગવાન રામને શણગારાયા : અમદાવાદ શહેરમાં સોશિયલ ડિસ્ટેન્સ સાથે ભગવાનની આરતી : શ્રદ્ધાળુઓએ કુંડાળામાં ઉભા રહીને કરેલ દર્શન

 અમદાવાદ,તા. ૨ :  આજે ભગવાન શ્રીરામચંદ્ર ભગવાનજીના જન્મદિવસની એટલે કે, રામનવમીના પવિત્ર પર્વની અમદાવાદ શહેર સહિત રાજયભરના રામજીમંદિરોમાં ભારે ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જો કે, આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર પ્રવર્તતો હોઇ મંદિરોમાં લોકોની પાંખી હાજરી વચ્ચે પણ એટલી જ શ્રધ્ધા અને ભકિતભાવ વચ્ચે ભગવાન શ્રીરામની નવમીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના કેટલાક રામમંદિરોમાં તો સોશ્યલ ડિસ્ટન્સીંગના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં ભકતો મંદિર પરિસરમાં દોરવામાં આવેલા કુંડાળામાં એકબીજાથી અમુક મીટરના અંતરે ઉભા રહી ભગવાન શ્રીરામની આરતી અને ઉજવણીમાં ભાગ લીધો હતો.

           આજે શ્રી રામનવમીની સાથે સાથે ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતિ, ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ-નોમ અને સાંઇબાબાના જન્મદિનનો પણ અનોખો સંયોગ બન્યો હતો, જેને લઇ શહેર સહિત રાજયભરમાં તેને આનુષંગિક વિવિધ પ્રકારના ભકિતસભર અને ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા. શ્રી રામનવમીને લઇ આજે શહેર રાજયભરના રામજી મંદિરોમાં, તેમના પરમભકત હનુમાનજી મંદિરોમાં વિશેષ પ્રભુ શ્રીરામના જન્મોત્સવ, હિંડોળા, સાજ-શણગાર, પૂજા-પાઠ, રામધૂન, રામાયણ પાઠ, સુંદરકાંડના પાઠ સહિતના અનેકવિધ ભકિતસભર કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રિલીફરોડ પર આવેલ હાજા પટેલની પોળમાં આવેલા ૬૦૦ વર્ષ પ્રાચીન શ્રી કાળા રામજી મંદિરમાં આજે શ્રી રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન થયુ હતું. તો, શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિરમાં આજે રામનવમી નિમિતે  આવિન રઘુવંશી અને ત્રિવિન રઘુવંશી દ્વારા ખાસ હનુમાનચાલીસા અને સુંદરકાંડના મહાપાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું.

          ગાંધીનગર જિલ્લાના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિરે વિશેષ શ્રી રામ યજ્ઞનું આયોજન કરાયુ હતું. શહેરના જગન્નાથજી મંદિર ખાતે પણ આજે શ્રી રામજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જો કે, આ તમામ મંદિરોમાં આજે શ્રધ્ધાળુ ભકતો અને દર્શનાર્થીઓની બહુ ઓછી હાજરી જોવા મળતી હતી. બીજીબાજુ, આજે ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ અને માતાજીની નોમ હોવાથી સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી, બહુચરાજી, ચોટીલા, પાવગઢ સહિતના માતાજીના સ્થાનકોમાં પણ ભકતોની પાંખી હાજરી વચ્ચે માતાજીની ભવ્ય આરતી-પૂજા કરવામાં આવી હતી.

            અમદાવાદ શહેરના ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળ ખાતેના પ્રાચીન અંબાજી મંદિર, ભુલાભાઇ પાર્ક પાસેના બહુચરાજી મંદિર સહિતના માતાજીના મંદિરોમાં પણ નોમની ભકિતભાવ સાથે પૂજા અર્ચના કરાઇ હતી. રામનવમીના પવિત્ર પર્વને લઇ રામજી મંદિરોમાં ખાસ કરીને શહેરના જગન્નાથજી મંદિર, હાજા પટેલની પોળના શ્રી કાળા રામજી મંદિર, પ્રેમદરવાજાના સુપ્રસિધ્ધ સરયુમંદિર(રામજી મંદિર), મેમનગર ગામમાં શ્રીરામજી મંદિર, થલતેજ સાંઇબાબા મંદિર ખાતેના રામજી મંદિર, થલતેજ કૈલાસ ટેકરી, દર્પણ છ રસ્તા પાસે આવેલ રામજી મંદિર, ભાડજ રાધાકૃષ્ણ મંદિર, ઇસ્કોન મંદિર, કેમ્પ હનુમાનજી મંદિર સહિતના મંદિરોમાં આજે ભગવાનના વિશેષ અને બહુ સુંદર, આકર્ષક અને મનોરમ્ય સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે શ્રીરામચંદ્રજીના બાળસ્વરૂપને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. શ્રધ્ધાળુ ભકતો માટે રામજી મંદિરોમાં શ્રીરામજીના બાળસ્વરૂપને પારણાંમાં ઝુલાવવાની અને પ્રસાદીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

(9:41 pm IST)