Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કની ૬૧ મી સભા સંપન્ન : અગાઉની રૂ. ૨૨.૪૧ કરોડની એકત્રીત ખોટ નાબૂદ કરી રૂ. ૬.૭૭ કરોડનો ચોખ્ખો નફો કર્યો : ૫ ટકા ડિવિડન્ડ અપાશે : ખેડૂતલક્ષી નવી સાત યોજનાઓ લોન્ચ

જૂનાગઢ તા.૨૧: જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કની ૬૧મી વાર્ષિક સાધારણ સભા આજે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે યોજવામાં આવી હતી. જિલ્લા સહકારી બેન્કના ચેરમેન ડોલરભાઇ કોટેચાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સભામાં નેશનલ કો-ઓપરેટીવ યુનીયન ઓફ ઇન્ડીયાના ચેરમેન દિલીપભાઇ સંદ્યાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, બેન્કના ડિરેકટરો સહકારીક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સાધારણ સભામાં જાહેર કરાયેલ હિસાબો મુજબ વર્ષ ૨૦૧૯-૨૦ના અંતે બેન્ક દ્વારા અગાઉના વર્ષોની એકત્રીત ખોટ રૂ.૨૨.૪૧ કરોડ ભુંસી રૂ.૬.૧૭ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે અને બેન્ક દ્વારા ૪૧ વર્ષ બાદ પ્રથમવાર પાંચ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

જૂનાગઢ ઉપરાંત પોરબંદર અને ગીર સોમનાથ ત્રણ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી બેન્કની ડિઝીટલ માધ્યમથી યોજાએલ સભામાં ભેંસાણ, જૂનાગઢ, વંથલી, પોરબંદર, કેશોદ, ઉના તેમજ વેરાવળ ખાતે સભાસદો ઓનલાઇન જોડાયા હતા.

આ તકે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું કે, આપણું કામ સહકારનું છે, ખેડૂતો માટેનું છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ત્રણેય કાયદામાં ખેડૂતોના હિતને પ્રાધાન્ય અપાયું છે. ખેડૂતોને તેમનો માલ વેચવાની આઝાદી મળશે. કોન્ટ્રાકટ ફાર્મીગ આજે પણ થાય છે. તેને કાયદાકીયરૂપ આપી ખેડૂતોને હિતકારી નિર્ણય કરાયો છે.

ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંદ્યાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ગામડાઓ અને ખેડૂત હિતકારી નિર્ણયોની પુષ્ઠભુમિ આપી કહ્યું કે, ૧૮ ટકા વ્યાજે ખેડૂતોને ધીરાણ મળતુ જે આજે જીરો ટકા થયું છે. નવા કાયદાઓથી ગુમરાહ થવાની જરૂર નથી. ખેડૂતોના હીતને પ્રધાન્ય આપવું એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સર્વોચ્ચ પ્રાથમીકતા છે.

જિલ્લા સહકારી બેન્કના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ ખેડૂત સભાસદો માટે નવી સાત યોજનાઓ જાહેર કરી હતી. જેમાં કિસાન ક્રેડીટ કાર્ડ પર ધિરાણ મેળવતા ખેડૂતોને એક લાખની પર્સનલ એકસીડન્ટ પોલીસીને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વધારાની સુરક્ષા આપી એક લાખ ઉપરાંત ૨ લાખ એમ ૩ લાખનું વીમા કવચ મળશે. આ યોજના ૧/૧/૨૦૨૧થી અમલી થશે.

બીજી યોજનામાં બેન્કમાંથી મંડળી મારફત અને બેન્કમાંથી સીધુ કે.સી.સી ધિરાણ મેળવતા નિયમતી ખેડૂતો માટે રૂ.૨ લાખ સુધી કૃષિ તત્કાલ ધિરાણ યોજના દાખલ કરાશે. જેનો અમલ ૧/૪/૨૦૨૧ થી કરાશે. ત્રીજી યોજનામાં બેન્કમાંથી મંડળી મારફત અને સીધુ કે.સી.સી ધિરાણ મેળવતા નિયમીત ખેડૂતોને પોતાના સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે શિક્ષણ ધિરાણ યોજના અને ચોથી યોજનામાં સોના-ચાંદી ઉપર ધિરાણ ૧/૪/૨૦૨૧ થી અમલી કરાશે. પાંચમી યોજનામાં ટુ વ્હીલ અને ફોર વ્હીલ માટે ધિરાણ અપાશે.

છઠ્ઠી યોજનામાં જિલ્લા બેન્ક ખેડૂત આવાસ યોજના શરૂ કરાશે. જેમાં કેન્દ્ર સરકારની નેશનલ હાઉસીંગ બેન્ક તરફથી આપવામાં આવતી રૂ.૨.૬૭ લાખની વ્યાજ સહાય યોજનાનો પણ લાભ મળશે. તેની મંજુરી મળશે તેવી વ્યવસ્થા કરાશે. સાતમી યોજનામાં બેન્ક સાથે સંયોજીત સેવા સહકારી મંડળીઓને કેન્દ્ર સરકારની ૩ ટકા વ્યાજ સહાય સાથે નાબાર્ડ અને ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ.બેન્ક લી., અમદાવાદ મારફત આ બેન્ક દ્વારા એગ્રીકલ્ચર ઇન્ફાસ્ટ્રકચર ફંડ હેઠળ પેકસને એમ.એસ.સી માધ્યમ મુદત ધિરાણ યોજના અમલમાં છે. જેમાં માત્ર ૧૦ ટકા મંડળીનું રોકાણ છે અને ૯૦ ટકા લોન ૩ ટકા વ્યાજ સહાય વાળી લોન મળી શકે છે. આ યોજનામાં ગોડાઉન, પેટ્રોલ પંપ, એગ્રો સેન્ટર, એગ્રો પ્રોસેસીંગ સેન્ટર, કૃષિ પરિવહન માર્કેટીંગ સુવિધા, કન્ઝયુમર સ્ટોર, દુધ સંગ્રહ, ચિલીંગ સેન્ટર, વે-બ્રિજ, એલ.પી.જી ગેસ એજન્સી વિગેરે વિવિધ પ્રવૃતિ માટે મંડળીઓને અર્થક્ષમ અને નફાકારકતા વધારવા માટેની યોજનાઓ બેન્ક દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.

આ તમામ યોજનાઓ ખેડૂત સભાસદો માટે છે. સાધારણ સભામાં જિલ્લા બેન્કના પૂર્વ ચેરમેન જશાભાઇ બારડ અને જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન રામશીભાઇ ભેટારીયાએ પ્રસંગીક ઉદ્દબોધન કર્યું હતું. આ પ્રસંગે બેન્કના મેનેજીગ ડિરેકટર દિનેશભાઇ ખટારીયા,જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ ડિરેકટર સર્વશ્રી જેઠાભાઇ પાનેરા, લક્ષ્મણભાઇ યાદવ, એલ.ટી.રાજાણી, ચંદ્રિકાબેન ચુડાસમા, ગોવિંદભાઇ પરમાર, વીરાભાઇ જલુ સહિત તમામ ડિરેકટરશ્રીઓ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સધારણ સભાનું સંચાલન મેનેજર કિશોરભાઇ ભટ્ટ અને આભારવિધી બેન્કના વાઇસ ચેરમેન મનુભાઇ ખુંટીએ કરી હતી. આ પ્રસંગે દિલિપભાઇ સંદ્યાણીીનું વિવિધ સંસ્થાઓ સહકારીક્ષેત્રના આગેવાનો ધ્વારા સન્માન કરાયુ હતુ.

(12:43 pm IST)