Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

તીર્થભૂમિ સારંગપુરમાં ફુલદોલ નિમિત્તે વહે છે સેવા - સમર્પણની ભાગીરથી

ભાવનગર તા. ૧૮ : તીર્થભૂમી સારંગપુર સ્થિત BAPS સારંગપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત ફુલદોલ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મહોત્સવના મુખ્ય આકર્ષણરૂપ કલાત્મક મંચને તૈયાર કરવા સેંકડો સંતો-ભકતો રાત-દિવસ અથાગ પુરુષાર્થ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના સમયથી પરંપરાગત રીતે ઉજવાતો આ ઉત્સવ પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ઉજવાશે.

હજારો હરિભકતો આ ઉત્સવ સમૈયાનો લાભ લેશે ત્યારે તેમની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દૂરસુદૂરથી પધારેલા હજારો સ્વયંસેવકો સમર્પણના ભાવ સાથે સેવાકાર્યમાં જોડાયા છે. આ ઉત્સવ દરમિયાન ૩૦ જેટલા સેવાવિભાગોની રચના કરવામાં આવી છે જેમા સારંગપુર સંત તાલીમ કેન્દ્રના સુશિક્ષિત સંતોના માર્ગદર્શન હેઠણ સર્વે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે. અહીંયાં સ્વાયંસેવકોને પોતાનામાં જે આવડત, કૌશલ્યો હોય તે મુજબ અલગ-અલગ વિભાગોમાં સેવામાં જોડાય છે. છેલ્લા એક મહિનાથી સારંગપુરની આજુબાજુનાં વિસ્તારમાંથી હરિભકતો રોજ સેવા કરવા પધારે છે. આ સ્વયંસેવકો પોતાના નોકરી-ધંધામાંથી સમય કાઢીને, કોઈ પણ અપેક્ષા વિના, ટાઢ-તડકો, રાત-દિવસ જોયા વગર કેવળ નિઃસ્વાર્થભાવે સેવા કરે છે. સારંગપુરની આજૂબાજુ બોટાદ અને બરવાળા પંથકના અનેક ગામોનાં હરિભકતોએ બહારગામથી પધારનાર ભકતોની વ્યવસ્થા માટે પોતાના ઘર આપ્યા છે વળી કેટલાય હરિભકતોએ પોતાના વાહનો સમૈયાની સેવામા આપ્યા છે.

મૂળ અમેરિકાના વતની અને સાઈકોલોજીસ્ટ થયેલા એવા પૂ.વત્સલમૂર્તિ સ્વામી શૌચાલય સફાઈની સેવા કરે છે. GEBમાં ઉચ્ચપદવી અને સારો પગાર ધરાવતા એક હરિભકત સમૈયા દરમિયાન ડ્રાઈવર તરીકે સેવા કરે છે. સાથે સાથે ૧૫થી વધુ M.D., MBBS ડોકટરો સમૈયા દરમિયાન મેડિકલ સેવા માટે ઉપસ્થિત છે. આવા તો હજારો સુશિક્ષિત સંતો-ભકતો તન, મન, ધનથી સમર્પિત થઈને નાનામાં નાની સેવા નિર્માનીપણે કરી રહ્યા છે.

આમ, પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને પ.પૂ. મહંતસ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈ સૌ સંતો ભકતો અવિરતપણે સેવામાં જોડાયા છે.

(11:27 am IST)