Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ૭૧મો વન મહોત્સવ યોજાયો

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજન : જુદા-જુદા વિસ્તારમાં રોગ પ્રતિકારકતા વર્ધક રોપાઓનું વિતરણ : લોકોને વધુ વૃક્ષોના વાવેતરની અપીલ

 ગીર સોમનાથ, તા. ૦૬ : સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહીરની ઉપસ્થિતિમા ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટર સોમનાથ ખાતે ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ૭૧ મો વન મહોત્સવ યોજાયો હતો. પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.મંત્રી વાસણ આહિર જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારની ગાઈડ લાઈન મુજબ ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો. ૭૧ મા વન મહોત્સવની શુભકામના પાઠવી વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે સમગ્ર દેશને એક નવી દિશા આપી છે. કર્મચારીઓ કર્મયોગી બની ફરજ બજાવી રહ્યા છે. વન મહોત્સવ નિમિતે લોકો વૃક્ષોનું રોપણ કરી તેનું જતન કરવાની ખાસ જરૂરીયાત છે.રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશી જોટવાએ કહ્યું હતું કે, વૃક્ષ આપણને આયુર્વેદિક રીતે નવી જીંદગી આપે છે. વન સરંક્ષક વિજય રાણાએ જણાવ્યું હતું કે, લોકોએ વધુમાંવધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવું જોઈએ.

            મંત્રીએ આરોગ્ય રથને લીલીઝંડી આપી હતી. આરોગ્ય રથ દ્રારા જુદા-જુદા વિસ્તારમાં રોગ પ્રતિકારકતા વર્ધક રોપાઓનું વિતરણ કરવામાં આવશે. સામાજીક વનીકરણ વિભાગ દ્રારા આયોજીત વનમહોત્સવમાં લીમડો, પારસપીપળો, આંબળા, શરૂ, રૂદ્રાક્ષ, ચંદન સહિતના ૨૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ૪૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવેલ છે. પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરા, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, ડાયાભાઈ જાલોંધરા, કલેકટર અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી  ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, નાયબ વન સરંક્ષક શોભીતા અગ્રવાલ, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ્રી જે.ડી.પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મદદનીશ વન સંરક્ષક ઉષ્મા નાણાવટીએ અને આભારવિધી આરએફઓડીએમ મકવાણાએ કરી હતી.

(9:45 pm IST)