Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જડેશ્વર પાર્કમાં શેરીમાંથી નીકળવા પ્રશ્ને અનિલ મકવાણા પર ૪ શખ્સોનો હુમલો

પાડોશી મનસુખ તેની પત્નિ કિરણ, છગન તથા પ્રભા સામે ગુનો

રાજકોટ, તા. ૩૧ : શહેરના વેલનાથપરામાં જડેશ્વર પાર્કમાં રહેતા કોળી યુવાનને શેરીમાં નીકળવા પ્રશ્ને બે મહિલા સહિત ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વેલનાથપરા જડેશ્વર પાર્ક શેરી નં. પમા રહેતા અનિલ રાજેશભાઇ મકવાણા (ઉ.વ.રર) એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જડેશ્વર પાર્ક શેરી નં.પમાં રહેતા મનસુખ તેની પત્ની કિરણ તથા છગન તેની પત્ની પ્રભાના નામ આપ્યા છે. અનિલે ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે ગઇકાલે બપોરે શેરીમાંથી ચાલીને જતો હતો ત્યારે ઘર પાસે રહેતા મનસુખે ઘર પાસેથી નીકળવાની ના પાડી બોલાચાલી ઝઘડો કર્યો હતો. બાદ ઝપાઝપીમાં અનિલનું ચંપલ ખોવાય ગયેલ  હોઇ તેથી રાત્રે અનિલ ફરી ત્યાં ચંપલ લેવા જતા મનસુખ તેની પત્ની કિરણ તથા છગન અને તેની પત્ની પ્રભાએ ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર મારી પોતાને માથામાં તથા હાથ અને પગમાં ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં અને અનિલને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે આજીડેમ પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડા તથા કૌરોન્દ્રસિંહએ તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)