Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મોરબી રોડ તિરૂપતિ સોસાયટીના પટેલ સગર્ભા ભારતીબેન નશીતને ડેંગ્યુ ભરખી ગયોઃ અરેરાટી

રાજકોટ તા. ૨૬: રોગચાળાના ભરડા વચ્ચે વધુ એક મહિલાને ડેંગ્યુ ભરખી જતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મોરબી રોડ પરની સોસાયટીમાં રહેતાં સગર્ભા પટેલ પરિણીતાનું ડેંગ્યુથી મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી રોડ પર તિરૂપતિ સોસાયટી-૭માં રહેતાં ભારતીબેન ધવલભાઇ નશીત (ઉ.૨૮)ને કેટલાક દિવસથી તાવ આવતો હોઇ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહિ ગત રાતે તેમણે દમ તોડી દેતાં ગોકુલ હોસ્પિટલમાંથી તબિબે જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર અને રાઇટર મહેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ભારતીબેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં અને હાલમાં તેણી સગર્ભા હતાં. કેટલાક દિવસથી તાવ આવતો હોઇ સારવાર માટે દાખલ કરાયા હતાં. રિપોર્ટ થતાં ડેંગ્યુ હોવાનું સામે આવ્યું હતું. ભારતીબનને ત્રણેક દિવસથી તાવ આવતો હતો. પ્રથમ સંજીવની હોસ્પિટલમાં અને બાદમાં ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ભારતીબેનના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

તેણીના પતિ ધવલનભાઇ નાગજીભાઇ નશીન મેડિકલ સ્ટોર ચલાવે છે. પરિવારજનો ઘરમાં નવા મહેમાનની પધરામણીની રાહમાં હતાં ત્યારે સગર્ભાનું તાવથી મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

શહેરમાં ડેંગ્યુએ અગાઉ પણ અનેકના ભોગ લીધા છે. જેમાં વધુ એકનો ઉમેરો થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. (૧૪.૫)

(11:58 am IST)