Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

મહેશ્વરી સોસાયટીમાં જંગલેશ્વરના સાહિલ સંધીની ધમાલઃ મોહનભાઇ પીપળીયાને માર મારી ડેલામાં ધોકા પછાડયા

જંગલેશ્વરના જાહીદભાઇ અને સુલેમાનભાઇની ડેલીમાં અને વાહનોમાં ધોકો મારી નુકશાન કર્યુ

રાજકોટ, તા.૨૧: કોઠારીયા રોડ પર જંગલેશ્વર મહેશ્વરી સોસાયટીમાં જંગલેશ્વરના શખ્સે રાત્રે ધમાલ મચાવી દેકારો બોલાવી બે વેપારીને માર મારી અન્ય ત્રણ વ્યકિતના ડેલામાં અને શેરીમાં પડેલા વાહનોમાં ધોકા મારી નુકશાન કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર મહેશ્વરી સોસાયટી શેરી નં.૧માં રહેતા મીત કીરીટભાઇ પીપળીયા (ઉ.વ.૨૪) એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે વેપાર કરે છે. ગઇ રાત્રે પોતે ઘરે સુતો હતો ત્યારે અચાનક શેરીમાં દેકારો થવા લાગેલ અને ધોકા પછાડવાનો અવાજ આવતા પોતે બહાર નીકળેલ તે દરમ્યાન જંગલેશ્વરમાં રહેતો સાહીલ સંધી શેરીમાં પડેલા વાહનોમાં ધોકા મારી નુકશાની કરતો હતો. તે દરમ્યાન શેરીમાં રહેતા મોહનભાઇ પીપળીયા તેને સમજાવવા જતા તેની સાથે બોલાચાલી કરી તેને વાસાના ભાગે ધોકો મારેલ દેકારો સાંભળી શેરીમાં પાડોશીઓ ભેગા થતા બધાને જોર-જોરથી ગાળો આપવા લાગેલ અને શેરીમાં રહેતા દિનેશભાઇ વીરજીભાઇની ગાડીમાં ધોકો મારી નુકશાની કરેલ બાદ લોકો ભેગા થવા લાગતા આ સાહિલે પોતાન તથા શેરીમાં રહેતા લોકોને 'ઘર બહાર નીકળયા તો તમને બધાને હું મારી નાખીશ' તેવી ધમકી આપી ઘર પાસેથી જતો રહેલ અને જંગલેશ્વર શેરી નં.૩૪માં ગયો હતો ત્યાં પણ શેરીમાં ગાળો બોલી જાહીદભાઇ કાસમભાઇ અને સુલેમાનભાઇ વલી મહંમદભાઇ સુમરાની ડેલીમાં ધોકા મારી નુકશાન કર્યુ હતું. આથી પોતે તથા પાડોશી દિનેશભાઇ જાહીદભાઇ અને સુલેમાનભાઇ ભકિતનગર પોલીસ મથકે પહોંચી સાહીલ સંધી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ.ડી.એ.ધાંધલ્યા સહિતના સ્ટાફે સાહીલ સંધીને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

(2:41 pm IST)