Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજકોટ એરપોર્ટ સલાહકાર સમિતિની યોજાયેલ મિટીંગમાં ચેમ્બરના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ ઉપસ્થિત રહી એરલાઇન્સને લગતા પ્રશ્નોની રજુઆત કરી

રાજકોટ એરપોર્ટ સલાહકાર સમિતિનું કરાયેલ ગઠનમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવની નિમણુંક કરવામાં આવેલ હતી. જેની પ્રથમ બેઠક તાજેતરમાં માનનીય સાંસદ સભ્યશ્રી મોહનભાઇ કુંડારીયા તથા નવ નિયુકત એરપોર્ટ ડાયરેકટશ્રી દિગંત બોરાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતી. જેમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ ઉપસ્થિત રહી એરલાઇન્સને લગતા વિવિધ મુદ્દાસર પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ હતી. જેમાં ખાસ કરીને રાજકોટ MSME નું હબ હોય તથા તમામ ઔદ્યોગિક, વાણિજિયક, ખેત વિષયક તથા સેવા પ્રદાન ક્ષેત્રે અગ્રેસરની ભુમિકા ભજવે છે. રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને પાર્સલ વાયા અમદાવાદથી મોકલવું પડે છે જેથી ડાયરેકટ રાજકોટથી જ પાર્સલ મોકલી શકાય તે માટે તાત્કાલીક એર કાર્ગો સર્વિસ પણ શરૂ કરવી. રાજકોટ એરપોર્ટના રન-વેની લંબાઇ વધી ગયેલ છે અને રાત્રી પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ થઇ ગયેલ છે ત્યારે રાજકોટ-મુંબઇ, રાજકોટ-દિલ્હી તથા રાજકોટ-બેંગ્લોર માટે ઇન્ડીગો એરલાઇન્સની ડેઇલી ફલાઇટ વહેલી તકે શરૂ કરવા ભારપુર્વક રજુઆત કરાયેલ. તેમજ રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો આસ્થાના પ્રતિક સમાન નાથદ્વારા ધામે અવાર-નવાર જતા હોવાથી રાજકોટ-દિલ્હી વાયા ઉદયપુર તથા રાજકોટ-બેંગ્લોર વાયા મુંબઇ માટે પણ ડેઇલી ફલાઇટ શરૂ કરવા જણાવેલ. આમ રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને આવનારા સમયમાં વધુ સારી એરલાઇન્સ સુવિધા મળી રહે તેવા પ્રયાસ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મિટીંગમાં રજુઆત કરવામાં આવેલ હતી.

(2:38 pm IST)