Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

પાણીની મોટરની પીન કાઢવા જતાં વિજકરંટથી ૧૩ વર્ષની નાઝીયાનું મોત

ગોકુલધામ પાસે આરએમસી કવાર્ટરમાં બનાવઃ પરિવારજનોમાં માતમ

રાજકોટ તા. ૨૧: ગોકુલધામ પાસે ડાલીબાઇ આરએમસી કવાર્ટરમાં પાણીની મોટરની પીન કાઢતી વખતે વિજકરંટ લાગતાં બાળાનું મોત નિપજ્યું હતું.

નાઝીયા શકીલભાઇ મન્સુરી (ઉ.વ.૧૩)ને ગઇકાલે સાંજે ઘરે વિજકરંટ લાગતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. નાઝીયા એક ભાઇથી નાની હતી. તેના પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. લાડકી દિકરીના મોતથી અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગરમાં જાણ કરતાં એએઅસાઇ ગીતાબેન પંડ્યા અને ઘનશ્યામસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

બેભાન હાલતમાં એકતા સોસાયટીના મહિલાનું મોત

જામનગર રોડ પર પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતાં રસિલાબેન વસંતભાઇ વાઘેલા (ઉ.વ.૫૦) ઘરે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામમાં જાણ કરી હતી.

લાલપરીના કાળુભાઇનું પણ બેભાન હાલતમાં મોત

જ્યારે બીજા બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી રામ મંદિર નજીક રહેતાંકાળુભાઇ જયંતિભાઇ જાખેલીયા (ઉ.વ.૪૦) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. આ અંગે બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી.

(11:32 am IST)