Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ધર્મક્ષેત્રમાં પરમાત્માના કામ માટે આવનારા લોકોના ચહેરા હંમેશા ખીલેલા જ દેખાતા હોય છેઃ પૂ.નમ્રમુનિ

રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ- સી.એમ.પૌષધશાળાનો નૂતનીકરણ દ્વાર ઉદ્દઘાટન અવસર ભવ્યતાથી સંપન્નઃ ૭૫ સંત- સતીજી અને હજારો ભાવિકોની ઉપસ્થિતિ

રાજકોટ,તા.૧૮: આગામી વર્ષાકાળ વ્યતીત કરવા અર્થે રાજકોટની ધરાને ધન્ય અને પાવન કરી રહેલાં રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ - સી.એમ. પૌષધશાળાના નૂતનીકરણ દ્વાર ઉદ્દઘાટનનો અવસર હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભકિત-ઉલ્લાસ સાથે ભવ્યતાથી સંપન્ન થયો હતો.

ગુજરાત રત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા. આદિ-૬ સંતો તેમજ જશ-ઉત્તમ-પ્રાણ પરિવારના સાધ્વીરત્નાઓની સાથે ગોંડલ સંઘાણી તેમજ શ્રમણ સંઘીય પૂજય શ્રી અમિતજયોતિજી મ. આદિ ૭૫ થી વધારે સાધ્વીવૃંદ તેમજ રાજકોટના શ્રી સંઘ શ્રેષ્ઠિવર્યો અને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં વહેલી સવારના-૬કલાકે સંત-સતીજીના સ્વાગત વધામણા કરતી ભવ્ય શોભાયાત્રા માનસરોવર એપાર્ટમેન્ટથી વાજતે ગાજતે પ્રારંભ કરવામાં આવી હતી.

મસ્તકે મંગલ કલશ ધારી બહેનો, જયકાર ગુંજવતા ભાવિકો અને ચતુર્વિધ સંઘનીલ ઉપસ્થિતિમાં રજવાડી ઠાઠ સાથેની આ શોભાયાત્રા સર્વત્ર દિવ્યતાનું પ્રસારણ કરતી શ્રી રોયલપાર્ક સ્થા. જૈન સંઘ પહોંચી હતી. જયાં રાષ્ટ્રસંત પૂજયશ્રીના નાભિના નાદથી પ્રગટતાં શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના ગુંજારવ, આદ્ય ગુરૂવર્યોના જયકાર અને નમસ્કાર મંત્રના પઠન સાથે હસ્તિરત્ન અંબાડી પર બિરાજમાન  ચંદ્રકાંતભાઈ શેઠના હસ્તે શ્રી સંઘના નૂતનીકરણ દ્વારનું અનાવરણ કરવામાં આવ્યું હતું તથા સમગ્ર શેઠ પરિવારે લાભ લીધો હતો.

શ્રી સંઘના દ્વાર ઉદ્દઘાટન અને૨૧ દિવસીય આગમ વાંચના પ્રારંભના આ બે મંગલમય અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રીએ બ્રહ્મનાદે લયબદ્ઘ સ્વરૂપે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની વિશિષ્ટ જપ સાધના કરાવ્યાં બાદ દરેક સંત-સતીજીઓ અને ઉપસ્થિત ભાવિકોએ એક લયમાં આગમગાથાનું પઠન કરતાં અનેરા દ્રશ્યનું સર્જન થયું હતું.

આ અવસરે ઉપકારી ગુરુદેવ તપસમ્રાટ પૂજય શ્રી રતિલાલજી મહારાજ સાહેબને સ્મૃતિ પટ પર લાવીને રાષ્ટ્રસંત પૂજયશ્રીએ શ્રી સંઘને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, મોટા ભાગના સર્જન પામતાં ઉપાશ્રયોમાં ઉપાસકોની અછતના કારણે જયાં તાળા, બાવા-જાળા અને માત્ર કાગડાઓ દેખાતાં હોય એવા સમયે સી.એમ. પૌષધશાળાને ભાવિમાં ન કદી તાળા લાગે ન કદી બાવા-જાળા થાય કેમકે પરમાત્માનો દરબાર કદી ખાલી ન હો. હંમેશા ભર્યો-ભર્યો રહેતો હોય છે. પરમાત્માના આ ધર્મક્ષેત્રમાં માત્ર નામ માટે આવનારા લોકોના ચહેરા કદીક ચડેલાં તો કદિક ઉતરેલાં દેખાતાં હોય છે પરંતુ પરમાત્માના કામ માટે આવનારા લોકોના ચહેરા હંમેશા ખીલેલાં જ દેખાતાં હોય છે. ધર્મક્ષેત્ર તે મૂરઝાએલી આત્મદશાને ખીલવવા માટેનું સ્થાન હોય છે.

આ અવસરે પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબે ૧૯૯૭ના સામુહિક ચાતુર્માસને સ્મૃતિ પટ પર લાવીને આગામી ૨૦૧૮ ના ૭૫ સંત-સતીજીઓના સામુહિક ચાતુર્માસને હળી-મળીને દીપાવવાની વાત કરતાં હર્ષનાદ છવાયો હતો.

ડો. પૂજય શ્રી આરતીબાઈ મ. એ પણ રામ વિનાની અયોધ્યાના દ્રષ્ટાંત દ્વારા તપસમ્રાટ પૂજય ગુરૂદેવશ્રી વિનાના ચાતુર્માસની વાત કરીને ગુરૂની અનુપસ્થિતિનો ખેદ વ્યકત કરવા સાથે સમગ્ર રાજકોટના ભાવિકોને આગામી ચાતુર્માસ દરમ્યાન સ્વયંની વિચારધારાનો ત્યાગ કરીને રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીની કલ્યાણકારી વિચારધારાનો સ્વીકાર કરી લેવાનો ભાવભર્યો અનુરોધ કર્યો હતો.

આ અવસરે જૈનશાળાના બાળકો અને મહિલામંડળના બહેનો દ્વારા આત્મ અવગુણોને રોગ સ્વરૂપ, શ્રી સંઘને ભવરોગ નિવારણ નિઃશુલ્ક ચિકિત્સાલય સ્વરૂપ અને સંત-સતીજીઓને વિશેષજ્ઞ તબીબ સ્વરૂપ દર્શાવતી સુંદર અને પ્રેરણાત્મક પ્રસ્તુતિ કરતાં સહુ આનંદિત બન્યાં હતાં.

આ અવસરે સમગ્ર રાજકોટના શ્રી સ્થા. જૈન સંઘના પ્રતિનિધિઓ, અનેક મહિલા મંડળો, અર્હમ યુવા સેવા ગ્રુપ, લુક એન લર્ન તેમજ વિવિધ મિશનના સભ્યોની સાથે રાજકોટ નવનિયુકતના મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા,  સ્ટે. ચેરમેન ઉદયભાઈ કાનગડ, અજયભાઈ પરમાર, જયવંતભાઈ તેમજ દર્શિતાબેન જેવી રાજકિય હસ્તિઓ પણ વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. પરાગભાઈ શાહ, ઈશ્વરભાઈ દોશી,  નટુભાઈ શેઠ, પ્રવીણભાઈ પારેખ તેમજ મયુરભાઈ શાહના હસ્તે તેમજ મહિલા મંડળના સભ્યોના હસ્તે તે દરેક રાજકિય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

એની સાથે જ, સંત-સતીજીઓ પ્રત્યેની વૈયાવચ્ચની ઉમદા ભાવના, શાસન સેવા તેમજ દાન-ધર્મની ઉદારભાવના ધરાવતાં વૈયાવચ્ચરત્ન ચંદ્રકાંતભાઈ શેઠનું દ્વાર ઉદ્દદ્યાટનના સ્મૃતિ પ્રતિક સ્વરૂપ અદ્દભૂત ફ્રેમ દ્વારા બીનાબેન આચાર્ય,  પરાગભાઈ શાહ, ઈશ્વરભાઈ તેમજ પ્રવીણભાઈ કોઠારીના હસ્તે સન્માન કરવામાં આવતાં હર્ષ હર્ષ છવાયો હતો.

ઉપસ્થિત સર્વ ભાવિકો માટે આયોજિત નૌકારશીના દાતા શ્રી હરકિશનભાઈ માણેક કામદાર પરિવારનું સન્માન બીનાબેન આચાર્ય અને દર્શિતાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા આગામી ચાતુર્માસ પ્રવેશના અવસરે સર્વ માટે નૌકારશીનો લાભ લઈ અનુદાન અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન વીણાબેન શેઠ અને કુ.ઉર્જા પારેખે કરેલ.

(4:04 pm IST)