રાજકોટ તા. ૧: ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર અને જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ છે તે કોરોના (COVID 19) સંદર્ભે હાલમાં સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. તા. ૧૪-૪-૨૦૨૦ સુધી ચાલનારા લોકડાઉનમાં રાજકોટ - સૌરાષ્ટ્ર પણ બાકાત નથી અને અહીં લોકડાઉનનો જડબેસલાક અમલ થઇ રહ્યો છે.
કોરોના જેવી બિમારીની મહામારી વચ્ચે પણ લોકો માટે અનિવાર્ય અને જીવન જરૂરી લાઇફલાઇન ગણાતી તમામ જાતની એલોપેથીક દવાઓ રાજકોટમાં છુટથી મળી રહે છે. જેને કારણે દર્દીઓને ભારે રાહત જોવા મળે છે. દવા બજારમાં એકપણ રેગ્યુલર મેડીસીનની અછત જોવા મળતી નથી.
ખાસ કરીને લાઇફ ટાઇમ ડીઝીઝ જેવા કે થાઇરોડ, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટડીઝીઝ, કીડની, માનસીક બિમારી (સાયકીયાટ્રી) વિગેરેની નિયમીત લેવાતી દવાઓ માટે લોકોને કયાંય પણ આમતેમ ભટકવું પડતુ નથી. સાથે-સાથે ફેમીલી ડોકટર્સ કે સ્પેશ્યાલીસ્ટસ દ્વારા પ્રીસ્ક્રાઇબ કરાતી કોરોના સિવાયની કોઇપણ બિમારી માટેની દવાઓ પણ માર્કેટમાં ફ્રીલી અવેલેબલ હોવાનું ફુડ એન્ડ ડ્રગના આસિસ્ટન્ટ કમિશ્નર એસ.એસ. વ્યાસ તથા કેમીસ્ટ એસોસિએશન રાજકોટના હોદ્દેદારો , દવાબજારના હોલસેલર્સ અને રીટેઇલર્સ જણાવી રહ્યા છે.
કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્યુ હતુ કે લોકડાઉનમાં લોકોને દવા મેળવવામાં તકલીફ ન પડે તે માટે સંસ્થાના પ્રયત્નો અને સહયોગથી રોજ સવારે ત્રણ હજાર કાર્ટૂન જેટલો દવાનો જથ્થો ટ્રકમાં સવારે રાજકોટ આવે છે. યોગીટાવર , મોટીટાંકી ચોક, રાજકોટ ખાતે દવાના તમામ ટ્રક અનલોડીંગ થાય છે અને ત્યાંથી સંસ્થાની સીધી દેખરેખ હેઠળ દવાનો જથ્થો કંપની પ્રમાણે ખૂદ હોલસેલર્સને જ ફાળવવામાં આવે છે. ડીસ્ટ્રીબ્યુશનના આ ભગીરથ કાર્યમાં કેશુભાઇ ભૂત (અમૃત મેડીકલ એજન્સી), સત્યેનભાઇ પટેલ (સર્વિસ સ્ટોર), હિતેષભાઇ પટેલ (વાત્સલ્ય કેમીકલ) સહિતના મેમ્બર્સ જહેમત ઉઠાવી રહ્યા છે.
દવાબજારમાં કોલ્ડચેઇન ગણાતી પ્રોડકટસ જેવી કે વિવિધ પ્રકારના વેકસીન, ઈન્સ્યુલીન્સ વિગેરેનો પણ હોલસેલર્સ પાસે બફરસ્ટોક હોવાનું જાણવા મળે છે. વિશાળ રેન્જ સાથે સમગ્ર ભારતમાં કવોલિટી સાથેની સૌથી સસ્તી દવાઓ બનાવતી અને વેચતી બ્રાન્ડેડ કંપની યુનિસનની તમમ પ્રોડકટ આદીનાથ ડિસ્ટ્રીબ્યુટર્સ સહિતના તમામ સ્ટોસ્કીસ્ટસ પાસે અવેલેબલ હોવાનું જાણવા મળે છે. લોકડાઉન દરમ્યાન દવાના અભાવે એકપણ દિવસ કોઇપણ રિટેલર્સ - હોલસેલર્સ બંધ નહી રહે તેવો વિશ્વાસ ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ રાજકોટના આસીસ્ટન્ટ કમિશ્નર એસ.એસ. વ્યાસ તથા કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ અને મંત્રીએ વ્યકત કર્યો હતો. સાથે-સાથે લોકોને ખાસ અનુરોધ કર્યો છે કે તેઓ દવા લેતી વખતે સોશ્યલ ડીસ્ટન્સનું અચૂક પાલન કરે.
રાજકોટની સમગ્ર દવાબજારનું રોજનું આશરે દોઢેક કરોડ રૂપિયાનું તથા માસિક ૪૫ કરોડ રૂપિયા જેટલુ તોતીંગ ટર્ન ઓવર છે ત્યારે કુલ આશરે એક હજાર જેટલા દવાના વેપારીઓ (રીટેઇલર્સ-હોલસેલર્સ) એક જ રથના બે પૈડાની માફક હળીમળીને બિઝનેસ કરે અને સમાજ અને રાષ્ટ્ર માટેના કોરોના જેવા હાલના કપરા સમયમાં ઉત્કૃષ્ટ માનવસેવા કરે તે ખૂબ જરૂરી છે . હાલની લોકડાઉનની સ્થિતીમાં એક રીતે જોઇએ તો રાજકોટના દવાના હોલસેલર્સ તમામ રીટેઇલર્સના સહયોગી બન્યા હોવાનું દેખાઇ રહ્રયુ છે.
અનિવાર્ય સંજોગો હોય તો જ હોસ્પિટલે જવુઃ IMA સુત્રો
-મોટાભાગના ડોકટર્સ ફોન ઉપર જવાબ આપે જ છે
ઈન્ડિયન મેડીકલ એસોસિએશન (IMA)ના સૂત્રોએ આજે અકિલાને જણાવ્યું હતંુ કે હાલની કોરોના સંદર્ભેની પરિસ્થિતીમાં લોકો અમૂક બાબતોનું ખાસ ધ્યાન રાખે તે અતિ જરૂરી છે.
*અનિવાર્ય હોય તો જ દવાખાને કે હોસ્પિટલે બતાવવા જવુ.
* મોટાભાગના જનરલ પ્રેકટીશનર્સ બંધ છે છતાં પણ તેઓ ટેલિફોનિક એડવાઇસ અને ટ્રીટમેન્ટ આપે જ છે. તેઓના દવાખાને પેશન્ટસ બાજુ - બાજુમાં બેઠા હોય તો પણ જોખમ થઇ શકે.
* હાલના સમયમાં સોશ્યલ ડીસ્ટન્સ રાખવું અતિ જરૂરી છે.
* દર્દીઓ સાથે માત્ર એક જ સગાવ્હાલા હોય તેની કાળજી રાખવી.
* પ્લાન્ડ વસ્તુ (લાઇફટાઇમ ડીઝીઝ) સંદર્ભે પણ સોશ્યલ ડીસ્ટન્સ રાખવું.
* ફોન ઉપર વાત કર્યા પછી ડોકટર્સ કહે તો જ હોસ્પિટલે જવું
* તબિયત વધુ ખરાબ જણાય તો સીધા જ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ હોમ (હોસ્પિટલ)( સ્પેશ્યાલીસ્ટ ડોકટર્સ પાસે) માં જ જવુ. અન્ય જગ્યાએ સમય ન બગાડવો.
દવા ન મળતી હોવાની એકપણ ફરીયાદ નથી
ગુજરાત રાજયના ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટના રાજકોટના આસી.કમિશનરશ્રી એસ.એસ.વ્યાસ તથા કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષભાઇ દેસાઇએ આજે અકિલાને જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન નિયમિત આવતી અને લેવાતી એકપણ દવા ન મળતી હોવાની કોઇ ફરીયાદ હજુ સુધી મળી નથી.
જરૂર પ્રમાણે જ દવા લોઃ ખોટો સંગ્રહ ન કરવા અપીલ
ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટના રાજકોટના આસી.કમિશનર તથા કેમીસ્ટ એસો.રાજકોટના પ્રમુખ અને મંત્રીએ લોકોને અપીલ કરી છે કે જરૂરીયાત પ્રમાણે જ દવા લેવી. દવાનો ખોટો સંગ્રહ ન કરવો જોઇએ . તેઓએ જણાવ્યું હતું કે કોઇપણ સંજોગોમાં દવાની અછત નહીં થવા દેવાય. લોકડાઉનની શરૂઆતમાં ગભરાટ વચ્ચે લાઇફ ટાઇમ ડીઝીઝની દવા લેતા ઘણાં લોકોએ એક સાથે બે-ત્રણ મહિનાની દવા લઇ લીધી હતી. કે જેઓ સામાન્ય રીતે એક મહિનાની જ રેગ્યુલર મેડીસીન લેતા હતા.હાલમાં પણ દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
અલગ-અલગ બિમારીઓ માટેની મોસ્ટ રનિંગ લાઇફ ડીઝીઝ મેડીસીન્સ
(૧) કોલ્ડ ચેઇનમાં ડાયાબીટીસ માટેના હયુમન મીક્ષટાર્ડ, હયુમિન્સ્યુલિન, લેન્ટસ ઇન્સ્યુલીન, ઇન્સ્યુમાન ઇન્સ્યુલીન વિગેરે.
(ર) થાઇરોઇડની દવાઓમાં થાયરોક્ષ, થાયરોનોર્મ, એલ્ટ્રોક્ષીન વિગેરે.
(૩) ડાયાબીટસ માટે ગ્લાયનેસ, ગ્લાયસોન એમ એફ, ગ્લાયકોમેટ,ડેઓનિલ , ગ્લીમીસન, ગ્લુકોબે, યુગ્લિમ વિગેરે.
(૪) બ્લડપ્રેશર માટે નિકાર્ડીયા રીટાર્ડ, લોસાર, યુડીપી એટી, એલટીકે એચ, અર્કામીન, ટેનોર્મીન વિગેરે.
(પ) કોલેસ્ટ્રોલ માટે એટોર્વાસ્ટેટીન, મેકટોર, રોઝુકોર, એઝટોર, ડેપલેટ, ઇકોસ્પ્રીન
(૬) ન્યુરો (માનસિક બિમારી) માટે ફ્રીઝીયમ એમેઝીયો, કલોબાટોર, કલોબા, ગાબાપીન, ટેગ્રેટોલ વિગેરે તથા વાલ્પારીન (તાણ-આંચકી)
(૭) હાર્ટ ડીઝીઝ (હૃદય) માટે સેકટ્રલ, ટેનોર્મીન, કેર્લોન, ઇન્ડીરાલ, લોપ્રેશર, ઝીયાક, ડીલ્ઝેમ, એએસએ, ઝેબેટા, કોરગાર્ડ, સોર્બીટ્રેટ, પાયોગ્લીટ વિગેરે.