Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મહિકામાં ગાયોને ચણામાં ચરાવવાની ના પાડતા ગભરૂભાઈ જોગરાણા પર ત્રણ શખ્સોનો હુમલો

રણુ ઓળકીયા, રત્ના ઓળકીયા અને ગેલા જોગરાણા સામે ગુનો

રાજકોટ, તા. ૧ :. ભાવનગર રોડ પર મહિકા ગામ પાસે ખેતરમાં ગાયોને ચણામાં ચરાવવાની ના પાડતા ભરવાડ યુવાન પર ત્રણ ભરવાડ શખ્સોએ લાકડી વડે હુમલો કરતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ માંડા ડુંગર ભીમરાવનગર શેરી નં. ૯મા રહેતા ગભરૂભાઈ અમરાભાઈ જોગરાણા (ઉ.વ. ૪૫) ગઈકાલે મહિકા ગામ તરફ જતા રોડ પર માતૃ પ્રેમ પાર્ટી પ્લોટની પાછળ પોતાના ખેતરે હતા ત્યારે માંડા ડુંગર પાસે ભીમરાવનગરમાં રહેતો રેવા રણુ ઓળકીયા કપાસના ભેરણમાં ગાયો ચરાવતો હોય જે ગાયો ચણામાં ચરવા જતા ગભરૂભાઈએ રેવાને પોતાની ગાયોને ચણામાં ન ચરાવવા કહેતા રેવાએ તેના પિતા રણુ ગાંડુભાઈ જોગરાણાને વાત કરતા રણુ, રત્ના હામાભાઈ ઓળકીયા તથા ગેલા ધુળાભાઈ જોગરાણાએ આવી ગભરૂભાઈને ગાળો આપી લાકડી વતી માર માર્યો હતો અને તેને કાન પર લાકડી લાગતા કાનમાં પહેરેલી ૩૦ હજારની સોનાની ભુંગળી પાડી દીધી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય ભાગી ગયા હતા. આ બનાવ અંગે ગભરૂભાઈ જોગરાણાએ આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. મનહરસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(3:26 pm IST)