Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

એસસી એક્ટ અંગે વટહુકમ લાવવાની કેન્દ્રની વિચારણા

મૂળબૂત જોગવાઈઓ ફરી સ્થાપિત કરવાનો હેતુ : દલિત સમુદાયમાં પ્રવર્તી રહેલ નારાજગી દૂર કરવા માટે સરકાર સંસદના ચોમાસુ સત્રમાં વિશેષ બિલ લાવી શકે

નવીદિલ્હી, તા. ૧૫ : એસસી અને એસટી સમુદાયના લોકો સામે અત્યાચાર કરનાર આરોપીઓની ધરપકડના સંદર્ભમાં તથા જામીનના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે હાલમાં જ ચુકાદો આપ્યા બાદ તથા જોગવાઈમાં નજીવા ફેરફાર કર્યા બાદ દલિત સમુદાયની નારાજગી વચ્ચે કેન્દ્ર સરકાર જુદા જુદા વિકલ્પો ઉપર વિચારણા કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ એસસી-એસટી એક્ટના ચુકાદાના સંદર્ભમાં કેન્દ્ર સરકાર વટહુકમ સહિતના પાસાઓ ઉપર વિચારી રહી છે. સરકાર માને છે કે, એસસી-એસટી એક્ટની મૂળભૂત જોગવાઈઓને ફરી લાગૂ કરવા માટે કેન્દ્ર સરકાર વટહુકમ લાવી શકે છે. જુદા જુદા સ્તર પર સરકારની અંદર ચાલી રહેલી ચર્ચાઓ ઉપર નજર રાખનાર સુત્રોએ કહ્યું છે કે, મૂળભૂત જોગવાઈઓને ફરી લાગૂ કરવા વટહુકમ લાવવાનો કોઇપણ નિર્ણય હાલમાં દલિત સમુદાયમાં ફેલાઈ રહેલી નારાજગીને દૂર કરવામાં મદદરુપ બની શકે છે. સંસદનું ચોમાસુ સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવી શકે છે. જુલાઈમાં યોજાનાર આ સત્રમાં એક ખાસ બિલ રજૂ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાયત ધારા ૧૯૮૯માં સુધારા કરી શકાય છે. આ સુધારા મારફતે દલિત સમુદાયના લોકોને વિશ્વાસમાં લઇ શકાય છે. સરકાર પાસે જે વિકલ્પો રહેલા છે તેમાં વટહુકમ લાવવા, અગાઉના કાયદામાં સુધારા કરવા બિલ રજૂ કરવાના વિકલ્પ સામેલ છે. જાણકાર લોકોનું કહેવું છે કે, જો વટહુકમ લાવવામાં આવશે તો તેને પણ સંસદ દ્વારા બિલમાં ફેરવીને પસાર કરવાની જરૂર રહેશે. આ બે કવાયતોના પરિણામ મૂળભૂત જોગવાઈઓને ફરી સ્થાપિત કરવાના છે પરંતુ વટહુકમથી તરત પરિણામના લાભ મળી શકે છે. લોકોમાં નારાજગીને તરત જ દૂર કરી શકાય છે. બીજી એપ્રિલના દિવસે દલિત સમુદાયના લોકોએ ભારત બંધની હાકલ કરી હતી. આ ગાળા દરમિયાન મોટા પાયે હિંસા ભડકી ઉઠી હતી. જેમાં ૧૩થી વધુ લોકોના મોત થયા હતા. ૨૦મી માર્ચના દિવસે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામેના વિરોધમાં દલિત સમુદાયના લોકોએ ભારત બંધની હાંકલ કરી હતી. ભારત બંધ દરમિયન રાજસથાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વ્યાપક હિંસા થઇ હતી. દલિત સમુદાયના અધિકારોના રક્ષણ માટે સરકાર નિષ્ફળ રહી છે તેવા આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પોતે કહી ચુક્યા છે કે, તેમની સરકાર એસસી અને એસટી પર અત્યાચારને રોકવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. કોઇપણ જોગવાઈ નાબૂદ કરવામાં આવશે નહીં. મોદીએ એવી ખાતરી પણ આપી હતી કે, અમને મજબૂત કરવા માટે બનાવવામાં આવેલા કાયદાને સુપ્રીમ કોર્ટ દ્વારા અસર થાય તેવી કોઇ જોગવાઇને તક આપવામાં આવશે નહીં. બીજી બાજુસુત્રોનું કહેવું છે કે, હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી ઉપર સુનાવણીને લઇને હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે, કોઇપણ પ્રકારના મામલામાં તરત ધરપકડ થઇ શકશે નહીં.

(7:49 pm IST)