Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

સિરિયામાં હુમલાની અસર હેઠળ શેરબજારમાં ઉતારચઢાવ રહી શકે

સતત ત્રીજા સપ્તાહમાં દલાલસ્ટ્રીટમાં તેજીથી કારોબારીઓ ખુશ : ત્રિમાસિક ગાળાના પરિણામો, ક્રૂડ ઓઇલની કિંમતમાં તીવ્ર વધારો થવાના સંકેત, મોટી કંપનીઓના આંકડાની સીધી અસર બજાર ઉપર રહેવાની વકી

મુંબઇ,તા. ૧૫ : શેરબજારમાં આવતીકાલથી શરૃ થતાં નવા કારોબારી સેશનમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે. મધ્યપૂર્વના દેશોમાં તંગદિલીની અસર પણ જોવા મળી શકે છે. સિરિયા ઉપર અમેરિકા અને તેના સાથી દેશો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ તંગદિલીની અસર બજારમાં જોવા મળશે. આ ઉપરાંત ત્રિમાસિક ગાળાના પરિણામો સહિત ૮ પરિબળો આવતીકાલથી શરૃ થતાં નવા કારોબારી સેશનમાં દલાલ સ્ટ્રીટ પર અસર કરશે. શેરબજારમાં હાલ સારી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, સતત ત્રીજા સપ્તાહમાં તેજી જોવા મળી છે જે સંકેત આપે છે કે, ઉછાળો જારી રહી શકે છે. એક સપ્તાહમાં ૫૬૫ પોઇન્ટનો ઉછાળો સેંસેક્સમાં થતાં તેની સપાટી ૩૪૧૯૨ ઉપર પહોંચી હતી. જ્યારે નિફ્ટી ૧૩૯ પોઇન્ટ ઉછળીને ૧૦૪૮૦ની સપાટીએ રહ્યો હતો. સ્થાનિક માર્કેટમાં શુક્રવારના દિવસે સતત સાતમાં કારોબારી સેશનમાં તેજી જોવા મળી હતી. નવેમ્બર ૨૦૧૭ બાદથી અવિરત તેજી જારી રહી છે. ચાવીરૃપ હાઈલાઇટમાં લેમન ટ્રી હોટલની શેરબજારમાં એન્ટ્રી થઇ ગઇ છે. ઇન્ફોસીસ દ્વારા શુક્રવારના દિવસે નવા સીઈઓ સલીલ પારેખ હેઠળ સંપૂર્ણ ત્રિમાસિકગાળાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. શેરબજારમાં અપેક્ષા મુજબ જ આ તમામ આંકડા રહ્યા છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૧૨મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. કોર્પોરેટ કમાણીના આંકડા હવે જારી કરવામાં આવનાર છે. કેટલીક ઇન્ડેક્સ હેવીવેઇટ કંપનીઓ તેમના ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરશે. એસીસી દ્વારા બુધવારના દિવસે તેના માર્ચ ત્રિમાસિક ગાળાના આંકડા જાહેર કરવામાં આવશે. આવી જ રીતે ઇન્ડસબેંક અને ટીસીએસ ગુરુવારના દિવસે પોતાના આંકડા જારી કરશે. જ્યારે ક્રિસિલ, એચડીએફસી લાઇફ, તાતા સ્પોન્જ, એચડીએફસી બેંક દ્વારા ૨૧મી એપ્રિલના દિવસે આંકડા જારી કરવામાં આવશે. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સિરિયા સામે શનિવારના દિવસે ૧૦૦થી પણ વધારે મિસાઇલો ઝીંકી દેતા ફરી એકવાર તંગદિલી સર્જાઈ ગઈ છે અને નવેસરના યુદ્ધના સંકટના વાદળો દેખાઈ રહ્યા છે. ગયા સપ્તાહમાં રસાયણ હુમલા ડુમામાં કરવામાં આવ્યા હતા જેમાં ૮૦થી વધુના મોત થયા હતા અને ૧૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ રસાયણ હુમલા બાદ અમેરિકાએ હવાઈ હુમલાઓ બોધપાઠ ભણાવવાના હેતુસર કર્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ફરી એકવાર વધારો થઇ શકે છે. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે ક્રૂડની કિંમતો વધી શકે છે. માઇક્રો આંકડા પણ જારી કરવામાં આવનાર છે. આઈએમએફ અને વર્લ્ડ બેંકની બેઠકો આગામી સપ્તાહથી શરૃ થઇ રહી છે જેમાં અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલા ટ્રેડ વોરના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરાશે. ચીનમાં તેના પ્રથમ ત્રિમાસિકગાળાના જીડીપીના આંકડા ૧૭મીએ જારી કરવામાં આવનાર છે. હાલમાં જ રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જો કે, રિટેલ ફુગાવો હજુ પણ આરબીઆઈના મિડિયમ ટાર્ગેટ કરતા ઉંચો છે. આનો મતલબ એ થયો કે, નાણાંકીય પોલિસી સમીક્ષામાં  હજુ વ્યાજદરને યથાવત રાખવામાં આવશે. આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર હવે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જોવા મળશે.એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે.

 

(7:45 pm IST)