News of Saturday, 12th May 2018
નવી દિલ્હીઃ બરાબર 20 વર્ષ પહેલા ભારતે પોખરણમાં ઉપરાછાપરી 5 ન્યુક્લિયર ટેસ્ટ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. ભારતે પોતાની જાતે જ વિકસાવેલી પરમાણુ તાકાત દુનિયાભરની મહાશક્તિઓ માટે પણ અચંભીત કરનારી હતી. હવે બે દશકા બાદ ભારતે ફરી એકવાર દુનિયાને પોતાની સૈન્ય તાકાત દેખાડવા તૈયારી કરી છે. આ વખતે ભારત પોતાનું પહેલું ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ અગ્નિ-5 લોંચ કરી રહ્યું છે. જેને દેશના પરમાણુ શસ્ત્રોનો હવાલો સંભાળતા સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ(SFC)ને સોંપવામાં આવશે.
સંરક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું કે, ‘5000 કિમી રેંજ ધરાવતી આ મિસાઇલની તમામ સિસ્ટમ અગ્નિ-5 યૂનિટને સોંપી દેવામાં આવી છે. આ ઇંટરબેલાસ્ટિક મિસાઇલની ખાસીયત એ છે કે તેની પ્રહાર ક્ષમતામાં સમગ્ર ચીન અને તેની સાથે યૂરોપ અને આફ્રીકાનો પણ કેટલોક ભાગ આવી જાય છે.’
ડિફેન્સ વિભાગ સાથે જોડાયેલ એક ઉચ્ચ સૂત્રે કહ્યું કે, ‘અગ્નિ-5નું બીજી ટ્રાયલ ટૂંકમા જ કરવામાં આવશે. તેના માટેની પૂર્ણ તૈયારી થઈ ગઈ છે. આ મિસાઇલની પહેલી ટ્રાયલ આ જ વર્ષે 18 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. એપ્રિલ 2012થી અત્યાર સુધી 4 ડેવલોપમેન્ટ ટ્રાયલ થઈ ચૂક્યા છે. જો પહેલા ટેસ્ટની જેમ આ ટેસ્ટમાં પણ અગ્નિ-5 સફળ રહી તો આ મિસાઇલને સ્ટ્રેટેજિક બેઝ ખાતે શિફ્ટ કરવામાં આવશે.’
SFC પાસે પહેલાથી જ ત્રણ સ્તરીય કેટલાય શક્તિશાળી અને ખતનાક મિસાઇલ યુનિટ છે. જેમાં પૃથ્વી-2(350 KM), અગ્ની-1(700 KM), અગ્ની-3(3000 km) જેવી મિસાઇલ સામેલ છે. આ સાથે જ વાયુસેનાના સુખોઈ-30 MKI અને મિરાજ-2000 પણ ન્યુક્લિયર બોમ્બ પ્રહાર કરવા માટે સક્ષમ છે. આ સાથે જ ન્યુક્લિયર પાવરના ત્રીજા સ્તરે ન્યુક્લિયર બેલાસ્ટિક મિસાઇલ સબમરીન પણ સામેલ કરવામાં આવી રહી છે.
ભારતની મુખ્ય ચિંતા હાલ ન્યુક્લિયર સબમરીન ક્ષેત્રે સંપૂર્ણ તાકતવર બનવાની છે. સબમરીનને ન્યુક્લિયર સ્ટ્રાઇક માટે સૌથી બેસ્ટ અને શક્તિશાળી પ્લેટફોર્મ ગણવામાં આવે છે. ભારત જેવા દેશ જેમની ન્યુક્લિયર પોલીસી ફર્સ્ટ યુઝ નથી તેમના માટે આ એક ખૂબ મહત્વનું પાસુ છે.