Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

નિઝામુદ્દીન મરકઝ સભામાંથી પરત આવેલા આંધ્રપ્રદેશના ૪૩ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા દોડધામ

નવી દિલ્હી: નિઝામુદ્દીન મરકઝ સભામાં ભાગ લીધા બાદ 43 લોકો આંધ્ર પ્રદેશ પાછા ફર્યા હતાં. આ બધાના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે. આંધ્ર પ્રદેશ મુખ્યમંત્રી કાર્યાલયે આ જાણકારી આપી છે. મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું કે પ્રદેશથી 43 લોકો નિઝામુદ્દીન મરકઝ સભામાં ભાગ લઈને પાછા ફર્યા હતાં. આ તમામના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યાં અને બધાના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

અત્રે જણાવવાનું કે આ સમગ્ર નિઝામુદ્દીન મરકઝ મામલાએ કોરોના સામે લડાઈ લડી રહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઊંઘ હરામ કરી નાખી છે. આ કાર્યક્રમમાં ભાગ લઈને પાછા ફરેલા લોકો અનેક રાજ્યોમાં ગયાં. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના અહેમદનગરથી આ કાર્યક્રમમાં 34 લોકો સામેલ થયા હતાં. પોલીસે આ તમામ લોકોને મંગળવાર સાંજે પકડીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતાં. તમામના બ્લડ સેમ્પલ કોરોના વાયરસની તપાસ માટે મોકલાયા હતાં જેમાંથી 2 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે.

નાંદેડથી પણ 13 લોકોએ નિઝામુદ્દીનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દિલ્હી પોલીસે નાંદેડ પોલીસને જાણકારી આપી છે. નાંદેડ પોલીસને 13માંથી એક વ્યક્તિ અંગે જાણકારી મળી ગઈ છે. તે નાંદેડના હિમાયત નગરનો રહીશ છે. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસ બાકીના 12 લોકોની શોધ કરી રહી છે.

આ બાજુ બિહારના ડીજીપીએ કહ્યું કે બિહારના 86 લોકો અને 57 વિદેશી જે દિલ્હીની મરકઝ સભામાં સામેલ થયા હતાં તે તમામ પર નજર રાખવામાં આવી રહી છે. 48 લોકોને પહેલેથી ક્વોરન્ટાઈનમાં રાખેલા છે. 86 બિહાર રહીશોમાંથી કેટલાક રાજ્યમાં નથી. તે તમામ લોકો અંગે દેશના અન્ય રાજ્યો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.

આ બાજુ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ નિઝામુદ્દીન મરકઝ પર જાણકારી આપતા કહ્યું કે સવારે 4 વાગ્યા સુધી કાર્યવાહી થઈ છે. 2361 લોકોને નિઝામુદ્દીન મરકઝમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે અને 617 લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે. જે લોકોને ઊધરસ અને શરદીની ફરિયાદ હતી તેમને તત્કાળ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે. બાકીના લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે.

આ મામલાની તપાસને લઈને સિસોદિયાએ કહ્યું કે સાઈબર સેલ તેમના નંબરોની પણ તપાસ કરશે કે આ દરમિયાન તેઓ કોને કોને મળ્યા હતાં. આ સાથે જ તેમણે કહ્યું કે હું આ મરકઝમાં સામેલ તમામ લોકોને કહેવા માંગુ છું કે તેઓ સામે આવે. જો છૂપાવી રાખશો તો તમારા વિરુદ્ધ મોટી કાર્યવાહી થશે. રસ્તાઓ પર ભીડ જમા થવી, રાષ્ટ્રીય આફત કાયદા હેઠળ અપરાધ ગણાશે અને આવા લોકો વિરુદા્ધ કડક કાર્યવાહી થશે.

(4:32 pm IST)