Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અમદાવાદના રાયખડમાં 85 વર્ષના દાદીએ કોરોનાને મ્હાત આપી :ઘરમાં રહીને વગર સારવારે જંગ જીત્યો

બન્ને પગમાં ફેકચર અને બલ્ડ પ્રેશર સહિતની અનેક બીમારી હોવા છતા કોરોનાને હરાવ્યો : જોકે પુત્રનું કોરોનાથી મૃત્યુ

અમદાવાદ: શહેરના રાયખડ વિસ્તારમાં રહેતા 85 વર્ષના દાદીએ કોરોના સામે જંગ જીત્યો છે, ઘરમાં રહીને વગર સારવારે જ મ્હાત આપી હતી. 85 વર્ષના દાદીને અનેક તકલીફો હતી છતા તેમણે કોરોના સામે ડર્યા વગર જ લડત આપી અને હરાવ્યો હતો. 85 વર્ષના દાદી કોરોના સામે લડતા દર્દીઓ માટે પ્રેરણા બન્યા છે.

 આ અંગેની વિગત મુજબ રાયખડ વિસ્તારમાં રહેતા 85 વર્ષના યાસ્મીન બેન જેઓને બન્ને પગમાં ફેકચર અને બલ્ડ પ્રેશર સહિતની અનેક બીમારી હોવા છતા કોરોના સામે જંગ જીત્યા છે. જોકે, કોરોના પોઝિટિવ આવતા તેમણે ઘરે જ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. અમદાવાદના રાયખડ વિસ્તારમાં રહેતા યાસ્મીન બેન ઉંમરભાઈ શેખનું અગાઉ 6 મહિના પહેલા લપસી જતા તેમના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર પગ લપસતા તેઓ પડી જતા તેમના બીજા પગમાં પણ ફ્રેક્ચર થયુ હતું. જો કે, તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે સૌ પ્રથમ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પોઝિટિવ આવ્યા હતા. જેથી તેઓને ઘરે પાછા લઈ જવામાં આવ્યા હતા અને ઘરે જ આયુર્વેદિક ઈલાજ કરવામાં આવતો હતો. જેથી આજે 18 દિવસ બાદ તેઓ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ગયા હતા

85 વર્ષના યાસ્મીન બેન છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના બન્ને પગમાં ફેકચર હોવાથી તેઓ પથારીમાં જ છે. પોતાની માતાની આવી પરિસ્થિતિ જોતા તેમના પુત્ર અને તમામ ઘરવાળાઓ દિવસ રાત સેવા કરતા હતા. તેમના પુત્ર મોંહમદ સલીમ ઉમરભાઈ શેખને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જયા તેઓનું સારવાર દરમિયાન નિધન થતા પરિવાર પર આભ ફાટી નિકળ્યો હતો. આ બનાવની જાણ તેમની માતાને કરતા તેઓને ભારે શોક લાગ્યો હતો અને તે શોકમાં હાલ તેઓ ગરકાવ થઈ ગયા છે અને તેમના દિકરાને યાદ કરતા રહે છે.

(5:44 pm IST)