Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મુસાફરોને પડશે હાલાકી

અમદાવાદ : ઉત્તર ભારતથી આવતી અને સૌરાષ્ટ્ર - કચ્છ તરફ જતી ૩૩ ટ્રેનો ડાઇવર્ટ : કાલુપુરને બદલે ચાંદલોડિયા જશે

ચાંદલોડિયા સ્ટેશન કાલુપુરથી ૧૦ કિમી દુર છે : પબ્લીક ટ્રાન્સપોર્ટ મોંઘુ પડશે

અમદાવાદ તા. ૧૮ : રાજકોટ, ગાંધીધામ, જામગનર તેમજ ગુજરાતના પશ્વિમ ભાગમાં આવેલા શહેરના રહેવાસીઓ કે જેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે તેમને હવે હાલાકી ભોગવવાનો વારો આવવાનો છે, કારણ કે ત્યાંથી આવતી ટ્રેનોને રેલવે વિભાગે ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેનું અમદાવાદ ડિવીઝન થોડા સમયમાં ઉત્તર ભારતથી આવતી અને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી ૩૩ ટ્રેનોને ચાંદલોડિયા રેલવે સ્ટેશન ડાયવર્ટ કરશે, જે અમદાવાદ બાયપાસ જશે.

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'પાલનપુરથી મધ્ય ગુજરાત તરફ જતી ટ્રેનો ખોડિયાર, ચાંદલોડીયાથી પસાર થઈ આંબલી રોડ જશે. જે બાદ આ ટ્રેનો સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જશે.' જેના કારણે અમદાવાદ આવવા ઈચ્છતા લોકોએ ચાંદલોડીયા રેલવે સ્ટેશન અથવા તો આંબલી રેલવે સ્ટેશન જવું પડશે. જે મુસાફરો આંબલી રોડ ઉતરે છે અને તેને અમદાવાદ રેલવે સ્ટેશનથી બીજી ટ્રેન પકડવાની છે તેણે શહેરમાં જ ૧૩ કિમી જેટલી લાંબી મુસાફરી કરવી પડશે. ચાંદલોડિયા રેલવે સ્ટેશન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ૧૦ કિમી દૂર છે. જયાં પહોંચતા મુસાફરોને ૩૦ મિનિટ જેટલો સમય લાગશે.

ચાંદલોડિયા રેલવે સ્ટેશન શહેરની પાસે હોવા છતાં મુસાફરોએ ટ્રેન પકડવા માટે એએમટીએસ અથવા તો રિક્ષા દ્વારા પહોંચવું પડશે. AMTSનું સ્ટેન્ડ પણ રેલવે સ્ટેશનથી ૧૦૦ મીટર દૂર છે જયાં માત્ર ત્રણ બસોનું જ સ્ટોપેજ છે. આ સિવાય અખબારનગરનું BRTSનું સ્ટોપ પણ બે કિમી દૂર છે.

મહેસાણાની ઝોનલ રેલ યૂઝર્સ કન્સલ્ટેશન કમિટી (ZRUCC)ના સભ્ય શૈલેષ ઉપાધ્યાયે જણાવ્યું કે, 'રેલવે વિભાગના આ નિર્ણયના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મુસાફર કે જેમને રાજધાની એકસપ્રેસ અને શતાબ્દી એકસપ્રેસમાં મુસાફરી કરવાની છે તેમને ખાસ તકલીફ પડશે. કારણ કે મુસાફરીમાં જ ઘણા કલાક જતા રહેશે. રેલવે વિભાગે મુસાફરોને સરળતા રહે તે માટે ટ્રેનોને સાબરમતી રેલવે સ્ટેશન ડાયવર્ટ કરવી જોઈતી હતી.' અમદાવાદ ZRUCCના સભ્ય યોગેશ મિશ્રાએ કહ્યું કે, 'રેલવે વિભાગના આ નિર્ણયથી સૌરાષ્ટ્ર-કચ્છથી આવતા મુસાફરોને તો તકલીફ પડશે જ પરંતુ જેઓ ત્યાંથી અમદાવાદમાં સ્થાયી થયા છે તેમને પણ અસર થશે. સૌરાષ્ટ્રમાંથી આવેલા મોટાભાગના લોકો નિકોલ, નરોડા અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાયી થયા છે, તેમના માટે શહેરના એક છેડાથી બીજા છેડા તરફ જવું અઘરૂ રહેશે.'

ડિવિઝિનલ રેલવે મેનેજર (DRM) દિનેશ કુમારને સાબરમતી અને ચાંદલોડિયા તરફ ટ્રેન ડાયવર્ટ કરવાના તેમના નિર્ણયનો વિરોધ થશે તેવી તેમને આશા હતી જ. તેમણે કહ્યું કે રેલવે મુસાફરોના હિતને ધ્યાનમાં રાખી તેમણે આ નિર્ણય લીધો છે.

ટ્રેનોને ડાયવર્ટ કરવા પાછળનું કારણ જણાવતાં દિનેશ કુમારે કહ્યું કે, 'અમદાવાદ રેલવે સ્ટેશન પર આખો દિવસ ટ્રેનોની અવર-જવર રહે છે. આ રેલવે સ્ટેશન પરથી દિવસની ૧૦૦-૧૨૦ જેટલી ટ્રેનો પસાર થાય છે જે વધારે છે. સાબરમતી રેલવે સ્ટેશન પર ૧૦ ટ્રેનોને ડાયવર્ટ કર્યા બાદ, સૌરાષ્ટ્ર-કચ્છથી આવતી ટ્રેનોને અમદાવાદ પર સ્ટોપ આપ્યા વગર ચાંદલોડિયા રેલવે સ્ટેશન ડાયવર્ટ કરાશે.'

અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતી ટ્રેનોની સંખ્યામાં ઘટાડો કર્યા બાદ રેલવે વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બીજી ટ્રેનોનો વેઈટિંગ ટાઈમ પણ ઘટાડવામાં આવશે. અમદાવાદ રેલવે સ્ટેશનના ૧૨ ટ્રેકમાંથી ૯ ટ્રેક પર દોડતી ટ્રેનોને કારણે વધારે ભીડ રહે છે. ડિવિઝિનલ કોમર્શિયલ મેનેજર અજય પ્રકાશે કહ્યું કે, 'ક્રૂ ચેન્જ કરવા અને એન્જિન માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોને ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી રોકાવું પડે છે. ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર ૧૦ જેટલી ટ્રેનોને ડાયવર્ટ કરવાથી રોજની ૩૦ મિનિટ બચશે.' પશ્ચિમ ગુજરાતથી આવતી તમામ ટ્રેનોને અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રવેશ મળશે કે કેમ તે અંગેનો જવાબ આપતા પ્રકાશે કહ્યું કે, 'અમારા આ નિર્ણયનો કઈ રીતે શ્રેષ્ઠ અમલ કરી શકીએ તેની યોજના અમે બનાવી રહ્યા છીએ અને બધા વિકલ્પો જોઈ રહ્યા છીએ.'

(9:51 am IST)