Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

અમદાવાદ સહિત ગુજરાતમાં ૧૬૪થી વધુ રથયાત્રા નિકળશે

રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં રથયાત્રા-શોભાયાત્રાઃ મોટી જનમેદનીવાળી અને સંવેદનશીલ રથયાત્રા પર ખાસ ધ્યાન કેન્દ્રિત હશે : ૧૭ એસઆરપી કંપનીઓ સ્ટેન્ડબાય

અમદાવાદ,તા.૯ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા શ્રદ્ધાપૂર્વક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સુસજ્જ છે. તા. ૧૪મી જુલાઈના રોજ રાજ્યભરમાં યોજાનાર રથયાત્રા-શોભાયાત્રા સંદર્ભે આજે ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેર સહિત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળે છે. આ માટે મુખ્યમંત્રી વિજય રૃપાણીના સીધા માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગે વિશેષ કાળજી લઈને પૂરતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કર્યું છે. રથયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાસ પગલાં લેવાયા છે. અમદાવાદ સહિત જિલ્લાઓમાં યોજાનાર રથયાત્રાનું રાજ્યકક્ષાએથી સતત મોનીટરીંગ કરાશે. જાડેજાએ ઉમેર્યું કે, ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની ૧૧૭, અન્ય દેવી-દેવતાઓની ૪૭ મળી કુલ ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રા નીકળશે. જેમાં ૧૫ જિલ્લામાં મોટી જનમેદનીવાળી ૧૮ સંવેદનશીલ રથયાત્રાઓ છે. આ માટે ખાસ ધ્યાન કેન્દ્રીય કરાયું છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે એસપી, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની નિયુક્ત કરીને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અન્ને ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં કુલ ૧૧ જેટલી રથયાત્રા નીકળનાર છે તે અંગે ૧ આઈજી, ડીઆઈજી, ૧ એસપી, ૧૫ ડીવાયએસપી, ૩૬ પીઆઈ, ૧૧૦ પીએસઆઈ, કક્ષાના અધિકારીને જવાબદારી સોંપાઈ છે. એજ રીતે આણંદ જિલ્લામાં ૧૫ રથયાત્રા સંદર્ભે ૧ આઈજી, ડીઆઈજી, ૧ એસપી, ૬ ડીવાયએસપી, ૧૯ પીઆઈ, ૬૬ પીએસઆઈ તથા વડોદરા શહેરમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે ૧૦ પીઆઈ અને ૨૦ પીએસઆઈ કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં ૧૭ જેટલી એસઆરપીએફની કંપનીઓ સ્ટેન્ડબાય રહેશે જે આકસ્મિક સંજોગોમાં રાજ્યના પોલીસ વડા દ્વારા ફાળવવામાં આવશે.

આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમએસ ડાગુર, ગૃહ વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, રાજ્યનાડીજીપી શીવાનંદ ઝા, એડીશનલ ડીજીપી વીએમ પારઘી,સીઆઈડી ઈન્ટેલીજન્સના ઈન્ચાર્જ ડીજીપી આરબી બ્રહ્મભટ્ટે ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી જરૃરી પરામર્શ કર્યો હતો.

 

(9:24 pm IST)