Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી - સરદાર સરોવર ડેમની

કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન નિહાળતા વિજયભાઈ

રાજકોટ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી-સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણ કાર્યની મુલાકાત લઇ સંપૂર્ણ વિગતો મેળવી હતી. અહીં નિર્માણ થનારા મ્યુઝિયમની પણ વિગતો તેમની સમક્ષ પ્રેઝેન્ટેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં સરદાર સાહેબના યુવાકાળ દરિમયાનની વિગતોથી લઇને અભ્યાસ, બેરિસ્ટરશીપ, મેન ઓફ એકશન, સત્યાગ્રહમાં તેમનું પદાર્પણ અને આઝાદીની ચળવળથી લઇ ભારતની સ્વતંત્રતા બાદ દેશી રજવાડાઓના વિલિનીકરણથી એક અખંડ ભારતના તેમના યોગદાનની સંપૂર્ણ વિગતો  આ પ્રેઝેન્ટેશનમાં પ્રસ્તુત કરાઇ હતી.મુખ્યમંત્રીશ્રીએ સરદાર સાહેબનું આ સમગ્ર જીવન કવન ચિત્ર અહી આવનારા સૌ માટે પ્રેરણાસ્ત્રોત બનશે તેમ જણાવ્યું હતું.સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષશ્રી એસ.એસ. રાઠોરે મુખ્યમંત્રીશ્રી સમક્ષ બંધના નિર્માણની અને નહેરોના માળખાની પ્રગતિની સંપૂર્ણ વિગતો આપી હતી.તદઅનુસાર બંધનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું છે. જયારે નહેર માળખામાં ૯૦ ટકા - ૧૬.૧૧ લાખ હેકટર અને ૭૨,૦૦૦ કિ.મી.ની લંબાઇના કામો પૂરા થઇ ગયા છે.અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન દ્વારા સબમાઇનોરમાં પાણી પહોંચાડવાના ૨૭૭૮૫ કિ.મી.ના કામો પૂર્ણ થયા છે અને ૧૦.૫૦ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયો છે.મુખ્યમંત્રીશ્રીએ સરદાર સરોવર બંધમાં ઉપલબ્ધ પાણીનો  જથ્થો, નવા પાણીનો આવરો વિગેરેની પણ વિગતો મેળવી હતી.

આ પ્રસંગે મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન સરદાર સરોવર નિગમના વરિષ્ઠ ઇજનેરો તેમજ જિલ્લાના કલેકટર, ડી.ડી.ઓ. ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૧૩)

 

(4:31 pm IST)