Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

અમદાવાદ : ડેંગ્યુના છ દિનમાં ૩૭૨ કેસો સપાટી પર આવ્યા

સાદા મેલેરિયાના ૩૨ અને ચિકનગુનિયાના ૧૨ કેસઃ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ઘણા પગલા : સિરમ સેમ્પલ-લોહીના નમૂનામાં ચકાસણી

અમદાવાદ, તા. ૪: અમદાવાદ શહેરમાં દિવાળી બાદ રોગચાળાના કેસોમાં હજુ પણ વધારો થઇ રહ્યો છે. માત્ર છ દિવસના ગાળામાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ઝાડા ઉલ્ટીના ૨૭મી ઓક્ટોબરથી લઇ બીજી નવેમ્બર વચ્ચેના ગાળામાં ૮૮ કેસો નોંધાયા છે જ્યારે છ દિવસના ગાળામાં જ ડેંગ્યુના ૩૭૨ કેસ સપાટી ઉપર આવતા ખળભળાટ મચી ગયો છે. અગાઉ ૨૦મી ઓક્ટોબર ૨૦૧૯થી ૨૬મી ઓક્ટોબર ૨૦૧૯ વચ્ચે ડેંગ્યુના ૫૮૨ કેસો નોંધાયા હતા જેની સામે છ દિવસના ગાળામાં જ ડેંગ્યુના ઉલ્લેખનીય કેસો નોંધાયા છે. આવી જ રીતે ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૧૭૬૪૩૪ લોહીના નમૂનાની સામે ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં ૧૧૫૦૯૧ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૮૩૦૦ સિરમ સેમ્પલની સામે ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં ૮૪૫૩ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. કમળાના છ દિવસના ગાળામાં ૨૭, ટાઇફોઇડના ૪૮ કેસો સપાટી ઉપર આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ૧૨૨૬૯ ક્લોરિન ટેસ્ટ આ ગાળા દરમિયાન કરવામાં આવ્યા છે. ઉપરાંત ક્લોરિન ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે હજારોની સંખ્યામાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે.

(9:48 pm IST)