Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ટુંકી મુદ્દતના પાક ધિરાણની રકમ ભરવાની અવધિ વધી

કિસાનોના સહાયરુપે સરકારનો મોટો નિર્ણય થયો : વધારાના સમય માટે કેન્દ્ર ખેડૂતોને ત્રણ, ગુજરાત ૪ ટકા વ્યાજ આપશે : ગુજરાત સરકાર પર ૧૬૦ કરોડનો બોજ

અમદાવાદ,તા.૧  : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે કિસાનોના હિતને વરેલી રાજય સરકાર કપરા સમયમાં કાયમ માટે ખેડૂતોના પડખે ઉભી રહી છે. પ્રવર્તમાન કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોના તૈયાર પાકનું વેચાણ હાલ બંધ છે. તેથી ખેડૂતો રોકડ રકમના અભાવના કારણે બેંકમાંથી લીધેલ ધિરાણ પરત ભરી શકતા નથી. અને બેંકો દ્વારા ખેડૂતોને નોટીસ મળે છે. તેને મદદરૂપ થવા માટે ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો દ્વારા જે ટુંકી મુદ્દતનું ધિરાણ લીધુ હતુ તે ભરપાઇ કરવાની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૦ હતી તે લંબાવીને હવે તા.૩૧.૦૫.૨૦૨૦ કરાઇ છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા ખેડૂત અગ્રણીઓ, કિસાન સંઘ, ધારાસભ્યઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી, કૃષિ મંત્રી આરસી ફળદુ અને મારી સમક્ષ આ મુદ્દત વધારવા માટે રજુઆત કરી હતી. તે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેને મંજૂરી મળતાં આજે રાજ્ય સરકારે આ મુદ્દત બે માસ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરરસી મહામારીને પરિણામે ઉદ્યોગ-ધંધા-વેપાર અને માર્કેટ યાર્ડો બંધ છે ત્યારે ખેડૂતો પોતાનો પાક વેચી શકતા નથી

                    ત્યારે રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો પાસેથી જે ટુંકી મુદ્દતનું ધિરાણ લીધુ હતુ તે ૩૧ માર્ચ સુધી ભરપાઇ કરે તો જ ફરીથી એ જ મંડળીઓ પુનઃ ધીરાણ આપતી હોય છે. ખેડૂતોને રાબેતામુજબ ધિરાણ મળી રહે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યના ખેડૂતોને ૭ ટકાના દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય તે માટે ભારત સરકાર ૩ ટકા અને રાજ્ય સરકાર ૪ ટકા વ્યાજ રાહતની રકમ સહકારી ધિરાણ માળખામાં આપે છે. કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં હાલની લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો સમયસર પાક ધિરાણની રકમ ભરપાઇ ન કરી શકે તે સ્વાભાવિક છે. એટલું જ નહિ, આ વધારાના સમય માટે પણ ખેડૂતોને અપાતી ૭ ટકા વ્યાજ રાહત યથાવત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ભારત સરકારની જેમ જ ગુજરાત સરકાર પણ ખેડૂતોને આ વધારાના સમય માટે ૪ ટકા વ્યાજ રાહત આપશે. રાજ્યના ર૪,ર૧,૧૪૯ જેટલા ખેડૂતોને વ્યાજ રાહતનો લાભ મળશે અને રાજ્ય આ વ્યાજ રાહતની વધારાની સમયમર્યાદાના ૧૬૦ કરોડનો વધુ બોજ વહન કરીને ખેડૂતોની પડખે ઊભી રહેશે.

(8:44 pm IST)