Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ગુજરાતમાં કોરોનાના આઠ નવા કેસ સપાટી પર : સંખ્યા ૮૬ થઇ

અમદાવાદમાં એક જ દિવસમાં વધુ છ કેસ નોંધાતા ભાગદોડ વધી : રાજ્યભરમાં ૧૫૮૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું જે પૈકી ૧૫૦૧ સેમ્પલ નેગેટિવ રહ્યા : નિઝામુદ્દીન ગયેલ અંદાજિત ૧૫૦૦ની યાદી સરકારને સુપરત કરાઈ

અમદાવાદ,તા.૧ : ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે અને આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે. આજે અમદાવાદમાં નવા છ કેસ સાથે આઠથી વધુ નવા પોઝિટિવ કેસો સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ કેસોની સંખ્યા ઝડપથી વધીને ૮૬ ઉપર પહોંચી છે. કેટલાક સેમ્પલોના ટેસ્ટ પરિણામ  આવ્યા નથી. બીજી બાજુ નિઝામુદ્દીન વિસ્તારની મુલાકાત લઇને આવેલા લોકોની યાદી પણ કેન્દ્ર સરકાર તરફથી આપી દેવામાં આવી છે. આશરે ૧૫૦૦ વ્યક્તિની યાદી સોંપવામાં આવી છે. આ લોકોનું ટ્રેકિંગ શરૂ કરાયું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન છે જેનો રાજ્યમાં સરસ રીતે અમલ થઈ રહ્યો છે ત્યારે નાગરિકો પણ સ્વયં સંયમ રાખીને ચુસ્ત અમલ કરે એ જરૂરી છે. એ આપણા સૌની જવાબદારી અને સૌની ફરજ છે, તો જ સંક્રમણની સાંકળને આપણે આગળ વધતી અટકાવી શકીશું.

                   આજે રાજ્યમાં કોરોના વાયરસની અપડેટ વિગતો આપતા ડો.રવિએ કહ્યું કે, રાજ્યમાં આજે નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે. જે તમામે તમામ અમદાવાદના છે. જેમાં ચાંદખેડા, બોડકદેવ, રાયપુર, શાહપુર, કાલુપુર અને બાપુનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં કુલ ૮૬ પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદના ૩૧, ગાંધીનગર ૧૧, રાજકોટ ૧૦, કચ્છ ૦૧, ભાવનગર ૬, પોરબંદર ૩, ગીરસોમનાથ ૩, મહેસાણા ૧, વડોદરા ૯, સુરત ૧૨નો સમાવેશ થાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૫૮૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે જેમાં ૧૫૦૧ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને ૮૬ કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે ત્રણ કેસનો રિપોર્ટ પેન્ડિંગ છે. જે ૮૬ કેસ પોઝિટિવ આવ્યા છે તેમાં ૬૭ કેસ સ્ટેબલ, ૩ વેન્ટિલેટર ઉપર અને ૬ દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. ડોક્ટર રવિએ કહ્યું કે, આજે જે નવા આઠ કેસ પોઝિટિવ આવ્યા છે એમાં અમદાવાદના પાંચ પુરુષ અને ત્રણ સ્ત્રીનો સમાવેશ થાય છે જે તમામ લોકલ ટ્રાન્સમિશનને પરિણામે પોઝિટિવ થયા છે. તેમણે કહ્યું કે, કવોરન્ટાઈનમાં રહેલ વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ હેલ્પલાઇન કાર્યરત છે. જેમાં ૩૬૬ કોલ મળ્યા છે તે પૈકી ૧૯૨ કોલ મેન્ટલ હેલ્થને લગતા અને ૧૭૩ કોલ શારીરિક હેલ્થને લગતા છે.

                જે તમામને યોગ્ય માર્ગદર્શન અને જરૂર જણાય ત્યાં સારવાર આપવામાં આવી છે. ડૉ.રવિએ ઉમેર્યું કે, આ પરિસ્થિતીમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલી સુચનાને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતે આવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી તા.૩૧/૦૩/૨૦૨૦ સુધીમાં ૯૭ થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકોને ૧૨૩ યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે. તે ઉપરાંત બાવન બાળકોને દવાઓ આપવામાં આવી છે. તેમણે ઉમર્યું કે, રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ આરોગ્ય કમિશ્નરશ્રી ની કચેરીથી કરવામાં આવી રહ્યું છે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે. ડો.રવિ કહ્યું કે, દિલ્હીમાં નિઝામુદીન વિસ્તારમાં એકઠા થયેલ વ્યકિતઓમાં જોવા મળેલ પોઝિટીવ કેસોને ધ્યાને લઇ ભારત સરકારે આ સમયગાળા દરમ્યાન તે વિસ્તારની મુલાકાત લીધેલ અંદાજીત ૧૫૦૦ વ્યકિતઓની યાદી રાજય સરકારને સુપ્રત કરી છે. જેના આધારે આવા તમામ વ્યકિતઓનું  રાજય સરકારે  ટ્રેકીંગ ચાલુ કરેલ છે. આવા વ્યકિતઓ તેમજ તેઓના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલ વ્યકિતઓમાં રોગના લક્ષણો છે કે કેમ તેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

              રાજય સરકારની હેલ્પલાઇન નંબર -૧૦૪ ઉપર નિયમિત રીતે વ્યકિતઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહયા છે. તેની માહિતી આપતા ઉમેર્યું કે, અત્યાર સુધી ૨૮,૦૦૦ થી વધુ આવા કોલ આવેલ છે જયારે હેલ્પલાઇન ઉપર વ્યકિતઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી ૪૯૬ જેટલા વ્યકિતઓને આ રીતે સારવાર પુરી પાડવામાં આવી છે. વેન્ટીલેટર કેર તાલીમ સંદર્ભે વિગતો આપતા ડો.રવિ જણાવ્યું કે, રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૩૦/૦૩/૨૦૨૦ સુધીમાં ૭૩૮ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.  વધુમાં તા.૦૧/૦૪/૨૦૨૦ થી રાજયના ર૮ બીજા સેન્ટરો ખાતે આ તાલીમ શરૂ કરી ૧૪૦૦ જેટલા આરોગ્યકર્મીઓને વેન્ટીલેટર કેરની તાલીમ આપવામાં આવશે. એટલું જ નહિ, ૨૩૬૭ તબીબો, ૧૩૦૦ જેટલા આયુષ, ૨૬૦ ફીજીયોથેરાપીસ્ટ, ૨૬૬ ડેન્ટલ સર્જન અને ૫૦૦૦ જેટલા સ્ટાફ નર્સને કોવિડ-૧૯ ને લગતી આનુષંગિક તાલીમ આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા.૧ : ગુજરાતમાં કોરોના વાયરસના વધુ ૮ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૮૬ થઇ છે.

શહેર................................................................ કેસ

અમદાવાદ....................................................... ૩૧

વડોદરા........................................................... ૦૯

સુરત............................................................... ૧૨

રાજકોટ............................................................ ૧૦

ગાંધીનગર....................................................... ૧૧

કચ્છ................................................................ ૦૧

ભાવનગર........................................................ ૦૬

મહેસાણા.......................................................... ૦૧

ગીરસોમનાથ................................................... ૦૩

પોરબંદરમાં .................................................... ૦૩

ગુજરાતમાં કુલ કેસ      ૮૬

(8:41 pm IST)