Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૧૫૪૬ લાખના ૪૮૧ વિકાસ કામો મંજૂર

પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર, તા.૯ :  જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ૨૦૧૯-૨૦ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રૂપિયા ૧૫૪૬.૪૦ લાખના ૪૮૧ વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું.

 પ્રભારી મંત્રીશ્રી બાવળીયાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી – પદાધિકારીશ્રીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારી માટેના કામો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ અને ગટર જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપવા જણાવ્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશએ આયોજન મંડળમાં મંજુર થયેલ કામો સત્વરે હાથ ધરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. 

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી એન.જી. પટેલે ૨૦૧૯-૨૦ના વર્ષનું વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળમાં રજૂ કર્યું હતું.

જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં સાંસદ ર્ડા. મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્યો સર્વશ્રી ધનજીભાઇ પટેલ, સોમાભાઇ પટેલ, ઋત્વિકભાઇ મકવાણા, નૌશાદભાઇ સોલંકી, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ધોરીયા, જીલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશકુમાર રાજયગુરૂ, જિલ્લાની નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:02 pm IST)