Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ઇદની રાતે માલિયાસણના વૃધ્ધા ખતીજાબેન ઘાંચીનું 'હિટ એન્ડ રન'ની ઘટનામાં મોત

જામનગરથી ઇદ કરવા આવેલી દિકરી માટે નાસ્તો લઇને કુવાડવા સ્મશાન સામે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે ટ્રકનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ ઘટના સ્થળે જ મોતઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૬: કુવાડવા રોડ પર માલિયાસણ નજીક સ્મશાન સામેના રોડ પર ઇદની રાત્રે 'હિટ એન્ડ રન'ના બનાવમાં રસ્તો ઓળંગી રહેલા મુસ્લિમ વૃધ્ધા ટ્રકની ઠોકરે ચડી જતાં મોત નિપજતાં સ્વજનોમાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ કુવાડવા રહેતાં ખતીજાબેન રહિમભાઇ લુલાણીયા (ઉ.૬૦) નામના ઘાંચી વૃધ્ધા રાત્રે પોણા દસેક વાગ્યે ગામના સ્મશાન સામેના રોડ પર રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે ઠોકરે ચડાવતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને પોલીસને જાણ કરી હતી. કુવાડવાના પીએસઆઇ વી. પી. આહિર અને સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ખતીજાબેનના પુત્ર અલ્તાફ રહિમભાઇ લુલાણીયા (ઉ.૩૦-રહે. માલિયાસણ)ની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ભાગી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

મૃત્યુ પામનારના પતિ હયાત નથી. સંતાનમાં બે પુત્રો અલ્તાફભાઇ અને ઇદ્રીશભાઇ તથા એક દિકરી  રશીદાબેન છે. જામનગરથી દિકરી ઇદ કરવા આવી હોઇ તેના માટે માતા ખતીજાબેન નાસ્તો લેવા ગયા હતાં. રસ્તો ઓળંગતી વખતે ટ્રક રૂપી કાળ ભેટી ગયો હતો. ઇદના તહેવારની રાતે જ આ બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(10:30 am IST)