Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મોરબી પાલિકાનો સપાટો : મંજુરી વિના બાંધકામ કરતા ૭૦ આસામીઓને નોટીસ : ત્રણ દિવસમાં મંજુરી નહિ લઈ લ્યે તો બાંધકામ પર મરાશે સીલ

        મોરબી : નગરપાલિકા હદ વિસ્તારમાં મંજુરી વિના આધેધડ બાંધકામ કરવામાં આવી રહ્યા છે ત્યારે પાલિકાએ મંજુરી વિનાના બાંધકામ સામે લાલ આંખ કરી છે. આજે શહેરનાં વિવિધ વિસ્તારમાં ચાલતા ૭૦ બાંધકામ કરનારા આસામીઓને નગરપાલિકા દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.

        રાજ્ય સરકાર દ્વારા કોમન જીડીસીઆર લાગુ કર્યા બાદ બાંધકામ મંજુરી ઓનલાઈન કરી સરળ બનાવવામાં આવી છે, તેમજ રેરાના અમલીકરણ બાદ બાંધકામ મંજુરી ફરજીયાત હોવા છતાં બિલ્ડરો પોતાની મનમાની ચલાવતા હોય છે ત્યારે મંજુરી વિના બાંધકામ રોકવા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા થોડા દિવસો પૂર્વે ત્રણ ટીમો બનાવી નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું હોય અને આજે શહેરના વિવિધ વિસ્તારમાં ત્રણ ટીમોએ સપાટો બોલાવ્યો હતો અને આ સાથેજ ૭૦ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. 

બાંધકામની મંજુરી નહિ લેનાર આસામીઓને નોટીસ ફટકારી છે, તેમજ મંજુરી લેવા તાકીદ કરવામાં આવી છે. છતાં પણ મંજુરી લેવામાં નહિ આવે તો ત્રણ દિવસ બાદ મિલકત સીઝ કરવામાં આવશે તેમ પણ ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું. તો પાલિકાની ટીમ હરકતમાં આવી મંજુરી વિનાના બાંધકામ સામે લાલ આંખ કરી છે ત્યારે બિલ્ડર લોબી અને મંજુરી વિના બાંધકામ કરનારમાં ફફડાટ ફેલાયો છે.

(6:52 pm IST)