Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જામનગરમાં ચાલતી ભાગવત સપ્તાહ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એક મંચ પર

યજમાન પરિવાર દ્વારા તમામ દિગ્ગજ નેતાઓનું ચાંદીના કળશ અને ભાગવતજી સ્મૃતિચિન્હ રૂપે અર્પણ કરી સન્માન કરાયું

જામનગર:જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના મંચ પર આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ તેમજ ખોડલધામના ચેરમેન નરેશભાઈ  પટેલ બન્ને એકી સાથે કથા મંચ પર જોવા મળ્યા હતા. જેમની સાથે ઉપસ્થિત અન્ય રાજકીય અગ્રણી અને મહાનુભાવોનું યજમાન પરિવાર દ્વારા ચાંદીના કળશ- ભાગવતજી સહિત સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત અને સન્માન કરાયું હતું.

 જામનગર શહેરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના મંચ પર આજે ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ બંનેની એક સાથેની હાજરી ખૂબ જ સૂચક બની હતી.
તેઓ સભા મંડપમાં પ્રવેશે તે માટે ની લાલ જાજમ બિછાવવામાં આવી હતી, અને બંનેના કથા મંડપમાં પ્રવેશ સમયે યજમાન પરિવાર દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. જેઓ બંને સાથે ચાલીને આવ્યા પછી કથા શ્રવણમાં બેઠા હતા, ત્યાર પછી કથાનું સત્ર પૂર્ણ થયા બાદ પૂજ્ય રમેશભાઈ ઓઝા ના હસ્તે બંનેનું સન્માન કરાયું હતું, અને આશીર્વાદ મેળવ્યા હતા.
 સાથોસાથ યજમાન પરિવાર દ્વારા બંનેને મોટા હાર પહેરાવીને સ્વાગત કરવાની વ્યવસ્થા ગોઠવાઇ હતી,  ત્યાર પછી ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાના વક્તવ્યમાં ભાગવત સપ્તાહના આયોજન અને પૂજ્ય ભાઈશ્રી ના આશીર્વાદ ને લગતી વાત કરીને યજમાન પરિવાર ને માત્ર અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મંચ પરથી કોઈ રાજકીય વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
 ત્યારબાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પણ પોતાના વક્તવ્યમાં અન્ય કોઈ રાજકીય વાતો કરી ન હતી, અને ભાગવત સપ્તાહ ના આયોજન અને પૂજ્ય ભાઈશ્રી ના આશીર્વાદ મેળવવા વિશે જ વાત કરી હતી. કોઈ રાજકીય ચર્ચા કરી ન હતી.
 જેમની સાથે મંચ પર ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, તેમજ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ ના પ્રમુખ રમેશભાઈ મુંગરા તેમજ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા વગેરે પણ જોડાયા હતા. જે તમામનું પણ યજમાન પરિવાર દ્વારા સન્માન કરીને સ્મૃતિચિન્હ ની ભેટ અપાઇ હતી. મંચ પર તમામ ઉપસ્થિત રાજકીય અગ્રણીઓએ પૂજ્ય ભાઈશ્રી ના આશીર્વાદ પણ મેળવ્યા હતા

 

(8:36 pm IST)