Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

સાંપ્રત સમયનું ધર્મક્ષેત્ર બીમારગ્રસ્ત છે, તેને સુધારવું આવશ્યક જ નહીં અનિવાર્ય છે : - ભાઈશ્રી

લોકોના જીવનમાં કથા ઊગે તો વાવી કહેવાય, નહીંતર દાટી ગણાય

 જામનગર:ધર્મનો ઉપયોગ પરમાર્થ માટે થવો જોઈએ, કારણકે ધર્મ જોડવાનું કામ કરે છે. ધર્મક્ષેત્ર રાજકીય રોટલા શેકવાનું સાધન નથી, ધાર્મિક બેવકૂફી સૌથી ખતરનાક છે. સત્તાધિશોને આ વાત સમજાશે ત્યારેજ પ્રજા કલ્યાણના ખરાં કાર્યો થઈ શકશે.
જામનગરની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ચતુર્થી દિને કથાવસ્તુની પીઠીકા બાંધતાં પ્રખર ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, ધર્મગ્રંથો - ધર્મસ્થાનો તેમજ ધર્મગુરુઓનો આદર નહીં થાય તો અંતે નુકસાન સમાજને જ થશે. વ્યાસપીઠ ચિરંજીવી છે. તેનો મહિમા ટકાવી રાખવા માટે આપણો તેમની સાથેનો વ્યવહાર ગરિમાપૂર્ણ હોવો જોઈએ.
 ભાગવતજીમાં આવતી ચક્રવર્તી સમ્રાટ રાજા પરીક્ષિત અને ગુરુ પરમહંસ શૂકદેવજી મહારાજ વચ્ચેના સંવાદોના દ્રષ્ટાંત થકી કથાકારે જણાવ્યું હતું કે, રાજપુરુષ ધર્મનિષ્ઠ હોવો જોઈએ. જે પોતાના મજબૂત ચારિત્ર્યના આધારે સબળ નેતૃત્વ તો કરે, સાથોસાથ સમાજને નિશ્ચિત કલ્યાણકારી દિશા તરફ પણ દોરી જાય.
હાલના સમયમાં મંદિર અને જ્ઞાનયજ્ઞ તરફ લોકોની ભીડ વધી છે, પરંતુ સત્ય પર ભરોસો પણ અકબંધ રાખવો પડશે. ભાગવત કથા ધન કે કીર્તિ કમાવવા માટે નથી, ચારિત્ર્ય નિર્માણ માટે છે. ...અને આ એક અંતિમ આશરો જ બચવા પામ્યો છે. રાજનીતિજ્ઞો, ધર્માચાર્યો તેમજ સમાજના શ્રેષ્ઠિઓ- સુકાનીઓ એ શહેરની મધ્યમાં આવેલા ઊંચા ઘંટાઘર (ટાવર) જેવા છે. જો તેઓ જ ખોટો સમય બતાવશે, તો આખરે સમગ્ર સમાજ દિશાહીન થઈ જશે.
રશિયામાં આવેલી લોકક્રાંતિનો પ્રસંગ વર્ણવી પૂજ્ય ભાઈશ્રીએ વિશેષમાં ઉચ્ચાર્યું હતું કે, રશિયાની ધર્મસત્તાએ જો રાજસત્તાને ચેતવી હોત, દોરવણી આપી હોત, તો તેનું પતન થાત નહીં.
દલિતો- પીડિતો - આદિજાતી તેમજ ખેડૂતોના નામે રાજનીતિ કરનારાઓ તે વર્ગના ઉદ્ધાર માટે કોઈ નક્કર કાર્ય કરતા નથી. સમાજ ઉત્કર્ષ માટે હાથ ધરાતા કોઈપણ કાર્ય આવકારદાયક ગણાય. કૂવા-વાવ-તળાવ નિર્માણ પણ સમર્થનિય છે. એક સંત તો માટીની ફળદ્રુપતા વધારવાના સમર્થનમાં દેશાટન કરી રહ્યા છે.
મંદિરનિર્માણ એ જરુર પુણ્ય કાર્ય ગણાય, પરંતુ સાથે મંદિર અને કથાશ્રવણ તરફ એકત્રિત થતી ભીડને સાચી દિશા નિર્દેશનનું કામ ધર્માચાર્યો - કથાકારોનું છે. કથા માત્ર ઉન્માદ જગાવવા માટે નથી હોતી કે મનોરંજન માટે નથી હોતી. તે સમાજમાં સાત્વિક પરિવર્તન લાવવા માટે હોય છે. વ્યાસપીઠને સમાજની ચિંતા છે.... એટલે તે માતૃત્વભાવથી કડવી ઔષધિ પીવડાવતાં પણ અચકાતી નથી.
ભગવાન પરશુરામ એ અવતારી પુરુષ હતા. તેમને માત્ર બ્રાહ્મણ સમાજના ઇષ્ટદેવ જ ગણવા કે પૃથ્વીને નક્ષત્રિય કરવાના નિર્ણયની સોચ સમાન ગણીશું તો તે અન્યાયી હશે.
પરશુરામના હાથમાં રહેલા સંહારક શસ્ત્ર 'પરશુ' ને પણ ત્રીજી આંખ હતી. પરશુરામજી આવેશ અવતારી, તપસ્વી, ધર્મનિષ્ઠ અને પ્રખર ક્રાંતિકારી હતા. ક્ષત્રિયોના કાળ તરીકે લેખાતા ભગવાન પરશુરામ તો અધર્મી શાસકોનો નાશ કરવા તત્પર હતા. રાજા કે સત્તાધીશોને પણ ધર્મદંડનો ભય હોવો જોઈએ. દંતાલી સ્થિત આશ્રમના ક્રાંતિકારી સંત સચ્ચિદાનંદ સ્વામીએ તો બ્રાહ્મણોને જણાવ્યું છે કે, દુરાચારી સત્તાના પરિવર્તનનું બીડું ઝડપનાર ચાણક્યને પણ પૂજવા જોઈએ.
 જે અશાંત હોય છે તે જ આતંકવાદી બને છે. તેવું જણાવતાં પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું હતું, કે આતંકવાદ સર્જે તે ધર્મ જ ના હોય... લાગે છે કે આતંકવાદીઓ ધર્મને સમજયા જ નથી, હિન્દુ ધર્મમાં ભગવાનના અસંખ્ય અવતાર  થયા છે, એટલું જ નહીં ભગવદ્ ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણએ ખૂદે કહ્યું છે કે... જ્યારે જ્યારે અધર્મનું આચરણ ફેલાશે, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરીશ.
હિંદુ ધર્મ જડ નથી. માત્ર ભૌતિકવાદી વિચારધારા જ સમાજમાં આસૂરીવૃત્તિ અને પશુતા જન્માવે છે. ભગવાનના પ્રત્યેક અવતારનું વિશેષ પ્રયોજન રહ્યું છે અને તેમનામાં કાર્યસિદ્ધિનું સામર્થ્ય પણ હોય છે. ઉપરાંત સંતો-સાધુપુરુષો  પણ પરમહિતકારી બની યોગ્ય સમજનું દિશાસૂચન કરતા રહે છે.
ભાગવત કથામાં આજના ચતુર્થદિનના સત્ર સમાપ્તિની આરતીમાં યજમાન પરિવારે નિમંત્રિત મહાનુભાવોની સાથે સંખ્યાબંધ સગર્ભા મહિલાઓને પણ ખાસ આમંત્રિત કરી તેમના હસ્તે આરતી ઊતરાવી હતી. આ પ્રેરણાત્મક પગલું દરેકે વધાવ્યું હતું.

   
(8:34 pm IST)