Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ગોંડલના ઘોઘાવદર ગામે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી

ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેતાં ૩૫ બાળકો, સો વરસ જૂની સરકારી શાળાના ઘોઘાવદરના શિક્ષકોને ધન્યવાદ

ગોંડલ,તા.૧:ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આજે આંખને ઠારે એવું દ્રશ્ય જોવા મળ્યું હતું ગામની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા ૩૫ બાળકોના વાલીઓએ ચીલો ચાતરીને તેમના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં બેસાડવા માટે રીતસરની લાઈન લગાવી હતી. અને રાજય સરકાર પ્રત્યે પોતાનો વિશ્વાસ સાર્થક કર્યો હતો.

વર્ષ ૧૯૨૦ ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીના હસ્તે સ્થપાયેલી ગોંડલ તાલુકાની ઘોઘાવદર કુમાર શાળાની યશ કલગીમાં આજે નવું એક છોગું ઉમેરાયું છે. ઘોઘાવદરની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા કુલ ૩૫ બાળકોએ સરકારી કુમાર શાળા અને કન્યા શાળામાં આ વર્ષે પ્રવેશ મેળવ્યો છે.આ માટે શાળાના ૧૧ શિક્ષકો ધન્યવાદને પાત્ર છે કે ગામના જાગૃત નાગરિકોએ તેમના બાળકોના ભવિષ્ય અને શિક્ષણ માટે શાળાના શિક્ષકો પર ભરોસો મૂકયો છે.

પ્રતિ વર્ષે યોજાતો શાળા પ્રવેશોત્સવનો રાજયવ્યાપી કાર્યક્રમ કોરોના મહામારીને લીધે આ વર્ષે યોજાઈ શકયો નથી તેમ છતાં અનલોક-૧(એક)ના છેલ્લા દિવસે ઘોઘાવદરની કુમાર શાળા ખાતે આજે ઇતિહાસ રચાયો હતો. એકથી માંડીને ધોરણ-૮ સુધીના કુલ ૩૫ બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો, અને ખુશખુશાલ મુદ્રામાં નવો પ્રવેશ મેળવતા શાળાના બાળકોને ગામના અગ્રણીઓએ શૈક્ષણિક કીટ આપી હરખાતા હૈયે આવકાર્યા હતા.

સરકારી શાળામાં પ્રવેશ મેળવતા બાળકોના વાલીઓએ હોંશભેર જણાવ્યું હતું કે અમારા બાળકોને અમે દેખાદેખીથી મુકત રાખીને સરકારી શાળામાં એટલા માટે પ્રવેશ અપાવ્યો છે કે અહીં અમને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો મારફતે મળતું શિક્ષણ અન્ય ખાનગી શાળા કરતાં ખૂબ જ ઉચ્ચ દરજ્જાનું જોવા મળ્યું છે. અહીંની શાળાના શિક્ષકો નિયમિત પણે ફોલોઅપ લઈને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં ખૂબ જ મહેનત કરે છે. તે જોઈને અમે લોકોએ અમારો નિર્ણય બદલીને બાળકોને સરકારી શાળામાં મૂકયા છે. અને અમે લોકો સ્વેચ્છાએ એવું વચન આપવા બંધાઈ એ છીએ કે અમે અમારા બાળકોને રોજ ઘરે સ્કૂલમાંથી આપેલું લેશન કરાવીશું અને તેમના અભ્યાસમાં રસ લઈને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં ખૂબ મદદ કરીશું.

છેલ્લા ત્રણ મહિનામાં શાળાના શિક્ષકોએ આસપાસના વિસ્તારોમાં સર્વેક્ષણ કરીને સમજાવટથી વાલીઓને સરકારી શાળામાં તેમના બાળકોને ભણાવવા માટે પહેલ કરી હતી જે રંગ લાવી છે.શિક્ષકોની મહેનત અને વાલીઓના વિધેયાત્મક અભિગમને લીધે શાળા સંકુલમાં નવો પ્રવેશ મેળવતા ૩૫ બાળકોના ગુંજારવ થી મહેકી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે માંડ સાડા ત્રણ હજાર જેટલી વસ્તી ધરાવતા ઘોઘાવદર ગામમાંથી અત્યાર સુધી ૦૩ વ્યકિતઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ૦૩ વ્યકિતઓ પીએચડી, ૦૯ વ્યકિતઓ ડોકટર, ૧૦ વ્યકિતઓ એન્જિનિયર ૦૧ પીએસઆઈ, ૦૧ સંસદ સભ્ય તથા ૦૭ વાયરલેસ પોલીસ ઇન્સ્પેકટર બન્યા છે, તેજ સાબિત કરે છે કે ગામલોકો શિક્ષણને કેટલું મહત્વ આપે છે.

આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી અનીલાબેન પંડયા તથા હરસુખલાલ હિરાણીએ શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકોને આવકાર્યા હતા. સી.આર.સી પરાક્રમસિંહ જાડેજાએ બાળકોના વાલીઓને અભ્યાસમાં રસ લેવા પ્રોત્સાહિત કર્યા હતા, શાળામાં પ્રવેશ મેળવતા બાળકોને ઉત્સાહિત કરવા માટે ગામના સરપંચ ભાવનાબેન ગાંઠિયા, તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન ચોવટીયા, ગ્રામ પંચાયતના સભ્ય સુખદેવસિંહ કાઠીયા, અગ્રણી રાજેશભાઈ વસોયા, મોહનભાઈ ડોબરીયા, જીગ્નેશભાઈ ઘેલાણી, વિજયભાઈ ઠુમર, શૈલેષ ભાઈ સોલંકી, વલ્લભભાઈ ડોબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:21 am IST)