Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ચાંદીના પટેલ વેપારીની એસીડ પીવાડાવીને હત્યાના ગુનામાં આરોપીના વચગાળાના જામીન રદ

રાજકોટ તા.૨૯: જીયાણા ગામમાં પટેલ યુવાનને એસીડ પીવડાવીને હત્યા કરવાના ગુન્હામાં આરોપી ચનાભાઇ મોહનભાઇ રામાણીની વચગાળાની જામીન અરજી અદાલતે ચાર્જશીટ બાદ રદ કરેલ છે.

આ બનાવની વિગત એવી છે કે જયેશભાઇ છગનભાઇ રામાણી રહેઃ- કબીરવન સોસાયટી, રાજકોટવાળા ચાંદીના દાગીના બનાવવાનો વ્યવસાય કરતા હતા. આ કામમાં મૃત્યુ પામનાર જયેશભાઇ છગનભાઇ રામાણી ઉ.વ.આ.૩૫ આ કામના ત્હોમતદાર કિશોરભાઇ ચનાભાઇને ચાંદીના દાગીનાનો ઉધાર માલ આપેલ હતો. જે પેટે રૂ.૨૬,૦૦,૦૦૦ અંકે રૂપિયા છવ્વીસ લાખ પુરા ગુજરનાર જયેશભાઇ છગનભાઇ રામાણીને કિશોરભાઇ ચનાભાઇ પાસેથી લેવાના હોય જેની ઉઘરાણી ગુજરનાર અવાર નવાર આ કામના આરોપી કિશોર ચનાભાઇ પાસે કરતા હોય જેના અનુસંધાને કિશોર ચનાભાઇ ચાંદીના માલ પેટેના રૂપિયા આપતા ન હોય અને ગુજરનાર તેની વારંવાર ઉઘરાણી કરતા હોય જેના ભાગરૂપે ગત તા.૫-૧૧-૧૮ના રોજ આ કામના આરોપી કિશોરે ગુજરનાર જયેશ છગનભાઇ રામાણીને બોલાવેલ અને ગુજરનાર આરોપીના કહેવા મુજબ જીયાણા ગામે ગયેલ અને ત્યાં આ કામના ત્હોમતદાર કિશોર ચના તથા ચના મોહન, જીતેન્દ્ર ઉર્ફે જતીન ચનાએ તેમના જીયાણા ગામે બંને આરોપી ચનાભાઇ તથા જીતેન્દ્ર ઉર્ફે જતીનએ ગુજરનાર જયેશ છગનભાઇ રામાણીને પકડી રાખીને આ કામના આરોપી કિશોર ચનાએ સલ્ફીકયુરીક એસીડ પીવડાવેલ. જેની સારવાર દરમ્યાન મૃત્યુ નિપજેલ હતું.

ત્યારબાદ આ કામના ત્હોમતદાર ચનાભાઇ મોહનભાઇ રામાણી દ્વારા ચાર્જશીટ બાદ અદાલતમાં વચગાળાની લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તથા ખેતીની જમીન માટે ધીરાણની કાર્યવાહી કરવા માટે જામીન અરજી કરતા સ્પે.પી.પી.નિતેશભાઇ કથીરીયાએ એવી રજુઆત કરેલ કે હાલના ત્હોમતદારો સામે પ્રથમ દર્શનીય કેસ છે બનાવ વખતે તેની હાજરી છે તેમજ પ્રથમથી આઇ.પી.સી.કલમ ૧૨૦(બી) લગાવવામાં આવેલ છે તેમજ ગુજરનારને પી.એમ.રીપોર્ટ મુજબ ૨૩ જેટલી ઇજાઓ છે જેથી આ કેસની હકીકત તેમજ ગુન્હાની ગંભીરતા જોતા અને આ કામમાં સ્પે.પી.પી.ની દલીલો અને નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ રજુ કરેલ.

ત્હોમતદારને વચગાળાના જામીન મળવા પાત્ર ન હોય જેથી જામીન અરજી રદ કરવા અરજ કરેલ જેના આધારે અદાલતે આ કામના ત્હોમતદારની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સ્પે.પી.પી.તરીકે નિતેશ કથીરીયા તથા મુળ ફરીયાદી વતી ભગીરથસિંહ, ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્યાસ એડવોકેટ તરીકે રોકાયેલા છે.

(3:31 pm IST)