Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

આયુષ્યમાન કાર્ડ કૌંભાંડમાં ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરના તબિબ અને મહિલા કર્મચારીને રાજકોટ લાવતી એસઓજી

વણિક સમાજના આગેવાન સહિત ૬ શખ્સો જેલહવાલે થયા બાદ જેની આઇડીનો શૈલેષ ઘીયા ઉપયોગ કરતો હતો તે તબિબની પુછતાછ

રાજકોટ તા. ૨૭: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્યમાન કાર્ડ નિયમ ફી કરતાં વધુ ફી એટલે કે ૩૦ને બદલે રૂ. ૭૦૦ વસુલીને કાઢી આપવાના કોૈભાંડમાં રાજકોટ પ્ર.નગર પોલીસ મથકમાં રાજકોટના વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ-આગેવાન સહિત ૮ સામે ગુનો નોંધાયા બાદ પોલીસે છની ધરપકડ કરી હતી. આ છએય જેલહવાલે થયા છે. દરમિયાન સુરતનો કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ ઘીયા આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે જે આઇડીનો ઉપયોગ કરતો હતો તે ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર-ડો. કેશવકુમાર અને એક મહિલા કર્મચારીની સંડોવણીની શંકાએ આ બંનેને એસઓજીની ટીમે રાજકોટ લાવી પુછતાછ શરૂ કરી છે. હજુ બે સુત્રધાર સુરત અને અમદાવાદના વણિક આગેવાન આ ગુનામાં ફરાર છે.

 સદર બજારની રમેશભાઇ છાંયા સ્કૂલ ખાતે ગેરકાયદેસર રીતે રૂ. ૭૦૦ ઉઘરાવી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટેનો વૈષ્ણવ વણિક સમાજના લોકો માટે  રવિવારે યોજાયો હોઇ તેમાં થતી ગેરરીતિ ઉઘાડી પડતાં સુરત, ભરૂચના ૬ અને રાજકોટના વણિક સમાજના આગેવાન સહિત સહિત ૮ સામે ગુનો નોંધી ૬ની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકીના રાજકોટના વણિક સમાજના આગેવાન સહિત પાંચ જેલહવાલે થયા છે. જ્યારે સુરતના કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ ઘીયાના આજના એક દિવસના રિમાન્ડ મળતાં વિશેષ પુછતાછ થઇ હતી. તેના ગત સાંજે રિમાન્ડ પુરા થતાં તે પણ જેલહવાલે થયો છે. તેની કેફીયતને આધારે શહેર એસઓજીની ટીમ ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરના તબિબ અને એક મહિલા કર્મચારીને પુછતાછ માટે રાજકોટ લાવી છે.

આ કોૈભાંડમાં બે મુખ્ય સુત્રધાર તરીકે સુરત વણિક સમાજના આગેવાન કિશોર ગાંધી અને અમદાવાદના આગેવાન દિલીપ ગાંધીના નામ સામે આવ્યા છે. આ બંને હજુ ફરાર છે. તેનો સંપર્ક રાજકોટ વૈષ્ણવ વણિક સમાજના આગેવાન-પ્રમુખ વિજય ઉર્ફ વિરેન્દ્ર માધાણીએ કરી આર્થિક લાભ મેળવવા માટે કેમ્પનું આયોજન કર્યાનું સામે આવ્યું હતું.

કોૈભાંડનો પર્દાફાશ મ્યુ. કોર્પોરેશન આરોગ્ય સમિતીના જયમિન ઠાકરે કર્યા બાદ આ અંગે પોલીસે જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં ડિસ્ટ્રીકટ કવોલિટી એસ્ટોરન્સ મેડિકલ ઓફિસર તરીકે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી  જન આરોગ્ય યોજનામાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો. પપ્પુકુમારસિંહ રામેશ્વરપ્રસાદ સિંહ (ઉ.૪૮-રહે. પરિમલ સોસાયટી, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ)ની ફરિયાદ પરથી રાજકોટ નાના મવા રોડ શાસ્ત્રીનગર અજમેરા ઇ-૩૮૮માં રહેતાં વિજય ઉર્ફ વિરેન્દ્ર વિપુલભાઇ માધાણી (વણિક) (ઉ.વ.૫૨) તથા રામકૃષ્ણનગર-૮ ભરતસ્મૃતિ ખાતે રહેતાં ધીરેન્દ્રભાઇ દામોદરદાસ ગોરસીયા (વણિક) (ઉ.૬૨)  તથા સુરત કામરેજ જાનવી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૨માં રહેતાં શૈલેષ નવીનભાઇ ઘીયા (ઉ.૨૮) અને તેના કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામે આવેલા ભરૂચ નારાયણનગર-૩, શકિતનાથ સર્કલ પાસે સી-૨૭ ખાતે રહેતાં ભાવીન બાબુભાઇ વાઘેલા (ઉ.૨૩)   તથા ભરૂચ શહેનાઝ નગરી ઇખડ ગામના વસીમ જીવાશા દિવાન (ઉ.૧૯) તથા ભરૂચના જંબુસર બાયપાસ રોડ વેલફેર હોસ્પિટલ સામે મહેફુઝ કોમ્પલેક્ષ ડી-૨૦૧માં રહેતાં શાહીમખાન શરીફખાન પઠાણ (ઉ.૧૯) તથા  તથા સુરતના કિશોર ગાંધી અને અમદાવાદના દિલીપ ગાંધી સામે આઇપીસી ૪૦૯, ૩૪ મુજબ ગુનો નોંધી કિશોર અને દિલીપ સિવાયના  છએયની ધરપકડ કરી હતી. આ છએ છ શખ્સો જેલહવાલે થઇ ગયા છે.

 એસઓજી  પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમના પીએસઆઇ એચ. એમ. રાણા સહિતે છ પૈકીના એક આરોપી શૈલેષ ઘીયાના એક દિવસના રિમાન્ડ મળતાં તેની પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કેે તે આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કોન્ટ્રાકટ ધરાવતી સુરતની કંપની પાસેથી કામ રાખીને જે તે સ્થળે કેમ્પ યોજાયા હોઇ ત્યાં માણસો સાથે પહોંચી કાર્ડ કાઢવાની કામગીરી કરે છે. તેની પાસે આ કામ માટે પોતાને ફાળવાયેલી આઇડી હોવા છતાં ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરને ફાળવાયેલી આઇડીનો રાજકોટ ખાતેના કેમ્પમાં ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હતો. નિયત ફી ૩૦ને બદલે ૭૦૦-૭૦૦ ઉઘરાવી હતી. આ આઇડી ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરની હોઇ ત્યાંના ટીએચઓ (તાલુકા હેલ્થ સેન્ટર)ના ડો. કેશવકુમાર તથા તેની સાથેના મહિલા કર્મચારીની પુછતાછ કરવા એસઓજીની એક ટૂકડી ભરૂચ પહોંચી હતી. આ બંનેને રાજકોટ લઇ આવવામાં આવ્યા છે અને પુછતાછ હાથ ધરવામાં આવી છે.

મુખ્ય સુત્રધાર દિલીપ ગાંધી અને કિશોર ગાંધી હજુ હાથમાં આવ્યા નથી.

(1:13 pm IST)