Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોના કેસ વધતા લોકડાઉન-કર્ફયુની જાહેરાત થવાની ચિંતામાં રાજકોટની પાન-બીડીના હોલસેલની દુકાનોમાં ગ્રાહકોની લાંબી લાઇનો લાગી

અમદાવાદઃ ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 20 શહેરમાં રાત્રી કર્ફ્યુની જાહેરાત કરી હતી. આ રાત્રી કર્ફ્યુ રાત્રીના 8 કલાકથી સવારે 6 કલાક સુધી લાગુ રહેશે. જોકે કર્ફ્યુની જાહેરાત પહેલા સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગવાની અફવા ફેલાઈ હતી અને તેના પગલે રાજ્યના અનેક શહેરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના એવો ફફડાટ હતો કે રાજકોટમાં તો વ્યવસનીઓએ પાન બીડીની હોલસેલની દુકાનો બહાર લાંબી લાઈનો લગાવી દીધી હતી.

નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ ગુજરાત સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં બે ત્રણ દિવસનું લોકડાઉન અથવા કર્ફ્યુની જરૂરત છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટે સરકારને આ ટકોર કરી હતી. ત્યાર બાદથી જ સમગ્ર રાજ્યમાં લોકાડઉન લાગુ થવાની અફવા ફેલાઈ હતી અને લોકો કરિયાણુ, શાકભાજી લેવા દોડાદોડી કરી રહ્યા હતા. જોકે આ લોકડાઉનની અફવામાં વ્યસનીઓ પણ પાન બીડી લેવા લાઈનોમાં ઉભી ગયા ગતા. ગત લોકડાઉનનાં વ્યસનીઓને પડેલી મુશ્કેલીને જોતાં આગામી સમયમાં જો લોકડાઉન જાહેર કરવામાં આવે તો અત્યારથી જ વ્યસનનો સ્ટોક કરી લેવા માટે બંધાણીઓએ પડાપડી કરી દીધી હતી.

રાજકોટ જિલ્લાના ધોરાજી સ્ટેશનના રોડ પર આવેલા પાન-બીડીની હોલસેલ દુકાનો બહાર લોકોએ લાંબી લાઈનો લગાવી દીધી હતી. રાજ્યમાં લોકડાઉન લાગશે તેવી ધારણાએ બંધાણીઓ પાન અને બીડી સહિતની વસ્તુઓ લેવા માટે દોટ મૂકી હતી. જેને કારણે પાન અને બીડીની દુકાનો બહાર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.

એટલું જ નહીં રાજકોટમાં મોલની બહાર પણ જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકોએ પડાપડી કરી મૂકી હતી. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં લોકોએ મોલ અને પાન મસાલા બીડી માટે રીતસરની લાઈનો લગાવી દીધી હતી. જેને કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ગુજરાત સરકારે માત્ર કર્ફ્યુની જાહેરાત કરી અને લોકડાઉન ન લગાવતા લોકોને થોડી રાહત થઈ હતી.

(5:25 pm IST)