Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

'આકરા તાપ'માં ર૯ રોઝાનો 'આકરો તપ' પૂરોઃ ઇદની ઉજવણી

રમઝાન માસની પૂર્ણાહૂતિ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમો દ્વારા મનાવાયેલી 'ઇદુલ ફિત્ર'

ઇદની વિશેષ નમાઝ :.. દેશભરમાં આજે રમઝાન ઇદની ઉજવણી થઇ રહી છે એ સાથે સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં એક સાથે આ પ્રસંગે આજે ઠેર ઠેર ઇદની વિશેષ નમાઝ પઢવામાં આવી હતી એ રીતે રાજકોટમાં ઢેબર રોડ ઉપર આવેલ શહેર ઇદગાહમાં પણ હજારો મુસ્લિમ બિરાદરોએ ઉમટી પડી ખુદાની બંદગી કરી હતી ત્યારની તસ્વીર.  (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬ :..  છેલ્લા એક મહીનાથી ચાલી રહેલ પવિત્ર રમઝાન માસના  ર૯ રોઝા આકરા તાપ, કાળઝાળ ગરમી, ભારે તડકા, બફારા, પરસેવા વચ્ચે મુસ્લિમ સમાજે રાખી પુરા કરતા અને ગઇ સાંજે ચંદ્ર દર્શન થતા આજે પરંપરાગત 'ઇદુલ ફિત્ર' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ર૯ રોઝા ઉપરાંત રાત્રીના મોડે સુધી તરાવીહની નમાઝ નામે ઇબાદત કરી અને સતત પવિત્રતામાં મશગૂલ રહી પુણ્યનું ભાથુ બાંધ્યા બાદ મળેલ આત્મ શુધ્ધિના અવસરરૂપ આજે ઇદની ઉજવણીમાં મુસ્લિમ સમાજ ઓતપ્રોત થઇ ગયો હતો.

ખાસ કરીને ઇદુલફિત્રના દિવસે વિશેષતઃ આજે સવારે મુસ્લિમ સમાજે ઇદની નમાઝ પઢી હતી અને નમાઝ પુર્ણ થયા પછી એક સાથે લાખો હાથ ખુદાના દરબારમાં દુઆ માટે ઉઠયા હતા અને તે પછી શુભેચ્છાઓની આપ-લે થઇ હતી અને હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ અરસ-પરસ મુબારક બાદ પેશ કરતા ચોમેર ભાઇચારાની ભાવના દર્શાઇ હતી.

રાજકોટમાં આજે સવારે ૩ ઇદગાહ, એક દરગાહના મેદાન, એક મદ્રેસા અને ૩૧  મસ્જીદોમાં મળી ૩૬  જેટલા  સ્થળોએ ઇદની વિશેષ નમાઝ પઢવામાં આવી હતી.

એ જ રીતે પોરબંદર, પ્રભાસપાટણ, વેરાવળ, જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, ભાવનગર, સુરેન્દ્રનગર, વાંકાનેર, બેડી, સલાયા, જામનગર સહિતના મુસ્લિમ બહુમતીવાળા શહેરો કે ગામોમાં ઇદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટમાં ઢેબર રોડ ઉપર શહેર ઇદગાહમાં જામ્એ મસ્જીદના ઇમામ મૌલાના સૈયદ મુજાહિદમીંયા કાદરી તથા સદર ઇદગાહમાં સદર જામ્એ મસ્જીદના  હાફીઝહાજી અકરમખાં પઠાણ તથા લાલપરી તળાવ દરગાહે મૌલાના મો. અનવરમીંયા અશરફી તથા રૈયા હઝરત  ગેબનશાહ પીરની દરગાહના મેદાનમાં અબ્દુલ રશીદ બંગાલીની નેતાગીરીમાં લોકો ઇદની નમાઝ પઢવા માટે ઉમટી પડયા હતા.

જયારે રૂખડીયા કોલોનીમાં આવેલ મદ્રેસાએ ગૌષીયામાં મૌલાનાએ ઇદની નમાઝ પઢાવી હતી.

રાજકોટની વિવિધ મસ્જીદોમાં (૧) ઘાંચી મસ્જીદ (સોનીબજાર) મૌલાના કારી તસ્લીમુદ્દીન અઝહરી (ર) સદર જામ્એ મસ્જીદમાં  અમીનબાપુ (૩) ગેબનશાહ દરગાહમાં મૌલાના અબ્બાસ અલી, (૪) નવાબ મસ્જીદ (દાણાપીઠ)માં  હાફિઝ જાવેદ અખ્તર અઝહરી (પ) કરીમપુરા (હાથીખાના)માં મૌલાના મુહંમદ હુસૈન   (૬)  ફારૂકી મસ્જીદ (દુધની ડેરી)માં મૌલાના મો. જફર રઝવી (૭) મદીના મસ્જીદ (લક્ષ્મીનગર)માં સૈયદ અ. ઝરરાર શાહ  (૮) મસ્જીદે ગોષીયા (રઝાનગર)માં મૌલાના અબ્બાસ નુરી (૯) માઉન્ટેડ મસ્જીદ (પોપટપરા)માં મૌલાના પજીરૂલ ઇસ્લામ  (૧૦) નુરાની મસ્જીદ (રઝાનગર) માં મૌલાના બરકત અલી રઝવી (૧૧)  નગીના મસ્જીદ (દાણાપીઠ)માં મૌલાના  બિલાલ અહેમદ બંગાલીએ ઇદની નમાઝ પઢાવી હતી.

જયારે (૧ર) ઝૂલેખાં નૂર મસ્જીદ (બાબરીયા કોલોની) માં મૌલાના અકીલ અહેમદ  (૧૩) ઉસ્માની મસ્જીદ (બજરંગવાડી) માં મૌલાના હાજી સાબિર હુસેન (૧૪) મસ્જીદે રઝા (નહેરૂનગર) માં મૌલાના સૈયદ હાજી મહેબુબમીયા કાદરી (૧પ) હુસેની મસ્જીદ (ભગવતીપરા) માં મૌલાના મો. નૈયર મુતુર્ઝા નૂરી (૧૬) મતવા મસ્જીદ (સરધાર નાકા) માં હાફિઝ તાલીબુદદીન કદીરી  (૧૭) નૂરે મુહંમદી મસ્જીદ (ઘાંચીવાડ) માં મૌલાના સૈયદ અસગરઅલી બાપુની નેતાગીરીમાં મુસ્લિમ ભાઇઓએ નમાઝ પઢી હતી.

આ ઉપરાંત (૧૮) અલ-કા'બા મસ્જીદ (હાથીખાના) માં મૌલાના મુખ્તાર અહેમદ રઝવી (૧૯) યતીમખાના (કરણપરા) માં મૌલાના શાહીદ રઝા (ર૦) નૂરી મસ્જીદ (જામટાવર) માં મૌલાના મીરહસન અકબરી  (ર૧),  સિદીકી મસ્જીદમાં મૌલાના અલી અકબર રઝવી (રર) ફાતેમા મસ્જીદ (ભગવતીપરા)માં મૌલાના  મુહંમદ તાલિબ  (ર૩) મસ્જીદે આયેશા (હાઇવે) માં મૌલાના નિઝામી (ર૪) શહેર જુમ્આ મસ્જીદમાં મૌલાના સૈયદ અલ્તાફમીંયા (રપ) મસ્જીદે હવ્વા  (નહેરૂનગર) માં મૌલાના દિલ મુહંમદ બંગાલી (૨૬) મસ્જીદે ગુલઝારે મુસ્તુફા (ગંજીવાડ) માં મૌલાના સૈયદ હાજી મુહંમદમીયા મટારી (ર૭) હૈદરી મસ્જીદ (ખોડીયાર પરા) માં મૌલાના સૈયદ નઝીર મિંયા (ર૮) સંજરી મસ્જીદ (પોલીસ હેડ કવાર્ટસ) માં મૌલાના બશીરૂદદીન (ર૯) ગુલઝારે મદીના મસ્જીદ (ભીસ્તીવાડ)માં મૌલાના મો. યુસુફ રઝવી (૩૦) ફાતેમા મસ્જીદ  (ગોપાલનગર) માં મૌલાના સૈયદ હશમત રઝા (૩૧) મસ્જીદે નસીમ (અંકુર સોસાયટી) માં સૈયદ સિકંદરબાપુ રઝવીએ  ઇદની નમાઝ પઢાવી હતી.

ગોંડલ હાઇવે ઉપર આવેલ કોઠારીયા  વિસ્તારમાં મસ્જીદે નૂરી (નૂરાનીપરા) માં મૌલાના સૈયદ આરીફબાપુ, મસ્જીદે અહેમદ (રસૂલપરા)માં મૌલાના હાજી મો. દાનિશ આલમ તથા મોહંમદી બાગની મસ્જીદે મખ્દુમે અશરફમાં મૌલાના સૈયદ મો. અકીલમીંયા, મસ્જીદે માહિન (કોઠારીયા ગામ) માં મૌલાના સૈયદ અ. ગફફુરબાપુ મટારી અને વેરાવળ (શાપર) માં આવેલ મસ્જીદે ગૌષે આ'ઝમમાં ત્યાંના મૌલાના  દ્વારા ઇદની નમાઝ પઢવામાં આવી હતી.

ઇદના પવિત્ર દિવસે ફાતેહ સૌરાષ્ટ્ર હઝરત મૌલાના મુહમ્મદ ઇસ્હાક હશમતી અને ફખ્રે રાજકોટ હઝરત મૌલાના મો. નૈયર રઝા નૂરી (અલૈહીર્રહમા) માટે ગંજીવાડામાં ઇસાલે, સવાબ કરી તેઓની જરૂરીયાત મહેસુસ કરતા તે બન્નેને અંજલી અર્પીત  કરાઇ હતી. જયારે કુતુબેશહર સૈયદીના સરકાર ગેબનશાહ પીર અને મખ્દુમે સૌરાષ્ટ્ર હઝરત તુર્કીબાવા (અલેહીર્રહમા) ની દરગાહ તથા કબ્રસ્તાનોમાં શ્રાધ્ધતર્પણ માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.

બીજી તરફ આકરો તાપ સહન કરીને રમઝાનના રોઝા મોટેરા જ નહીં પણ નાના નાના બાળકો અને યુવાનોએ પણ છોડયા ન હતા અને ૨૯ રોઝા સરળતાથી પૂરા કર્યા પછી ગઇ સાંજે ઇદનો ચંદ્ર બહાર આવી જતા રોઝાદારો ઉત્સાહમાં આવી ગયા હતા અને જેના લીધે આજે ઇદની ભારે ચહલ - પહલ જોવા મળી હતી.

રાજકોટ શહેરના રેસકોર્ષ આજી પાર્ક સહિતના જાહેર સ્થળોએ પણ મુસ્લિમ સમાજના પરિવારો બાળકોને લઇ ઇદનો હર્ષ વ્યકત કરવા ઉમટી પડયા હતા જેના લીધે આજે આખો દિ' ઇદનો ઉત્સાહ ઉલ્લાસ ચોમેર છવાઇ જવા પામ્યો હતો.

બીજી તરફ કાલે રવિવાર હોઇ ને જાહેર રજાનો લાભ મળી જતા કર્મચારીઓને ઇદનો ઉત્સાહ બેવડાઇ ગયો છે. (પ-૧૦)

(4:27 pm IST)