Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કલેકટર સર! ઓનલાઇન વોટિંગ થઇ શકે ખરૂ!!

કોફી વીથ કલેકટર કાર્યક્રમમાં યુવા મતદારોએ 'ચા-કોફી'ની ચુસ્કી લગાવતા અઢળક પ્રશ્નો પૂછયા : ચેતેશ્વર પૂજારા પણ હાજરઃ કહ્યું IPLમાંથી ખાસ રજા લઇ મતદાન કરવા આવ્યો છું!!

કોફી વીથ કલેકટર કાર્યક્રમમાં કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને વિખ્યાત ક્રિકેટર- રાજકોટના વન્ડર ( ચેતેશ્વર પૂજારાએ યુવા મતદારોને જવાબો આપી મતદાન કરવા અપીલ કરી તે નજરે પડે છે. બીજી ત્રીજી તસ્વીરમાં કલેકટર સાથે પ્રશ્નોતરી તથા ઇવીએમ-વીવીપેટનું નિર્દેશન યોજાયુ તે જણાય છે.

રાજકોટ, તા. ૧૨: રાજકોટ શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા ટી પોસ્ટ કાફેમાં આજે યોજવામાં આવેલા એક નવતર કાર્યક્રમમાં યુવાનોએ કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને યુવાનોએ ચૂંટણીમાં મતદાર જાગૃતિ અંગે રસપ્રદ સવાલો પૂછ્યા હતા.

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત કોફી વીથ કલેકટર શીર્ષક હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું.

આ કાર્યક્રમમાં સૌથી પ્રથમ પ્રશ્ન એવો પૂછાયો હતો કે મારૂ નામ મતદાર યાદીમાં છે, પણ મતદાર ઓળખકાર્ડ નથી તો બીજા કયા ઓળખપત્રના આધારે મતદાન કરી શકું ? તેનો જવાબ આપતા કલેકટર ડો. ગુપ્તાએ એવું કહ્યું કે ચૂંટણીમાં મતદાન કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૧ ઓળખપત્રો માન્ય રાખવામાં આવ્યા છે. જેમાં મતદાર ઓળખપત્ર ઉપરાંત, પાનકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સરકાર સંસ્થા દ્વારા આપવામાં આવેલું ઓળખપત્ર સહિતના પૂરાવા માન્ય રાખવામાં આવશે. આ ઉપરાંત મતદાર સ્લીપ બીએલઓ દ્વારા ઘરે ઘરે વિતરણ કરવામાં આવનાર છે. જેના આધારે પણ મતદાન કરી શકાશે.

એક વિદ્યાર્થીએ વળી ટેન્ડર મત વિશે પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં જવાબમાં કલેકટરશ્રીએ કહ્યું કે, તમે જયારે મતદાન કરવા માટે જાવ છો અને તમને એમ લાગે કે તમારા મતાધિકારનો ઉપયોગ બીજુ કોઇ કરી ગયું છે ત્યારે, પોતાની ઓળખના પૂરાવા આપીને તમે પીઠાધિકારીને કહે ટેન્ડર વોટ નાખી શકો છે.

રાજકોટની મતદાર યાદીમાં પચાસ ટકાથી પણ વધું મતદારો યુવાન છે, ત્યારે ચૂંટણીમાં યુવાન મતદારોનો ભૂમિકા શું હોઇ શકે ? તેવા એક પ્રશ્નના ઉત્ત્।રમાં ડો. ગુપ્તાએ એ કહ્યું કે, યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીના આ પર્વની ગર્વ સાથે ઉજવણી કરે એ જરૂરી છે. સાથે, એથિકલ વોટિંગ થાય એ પણ જરૂરી છે. યુવાનો પોતાનું નામ જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં જઇ મતદાન કરે અને આ માટે જ મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં યુવાનોને પ્રેરણા આપવા માટે ખાસ ઉપસ્થિત રહેલા ક્રિકેટર શ્રી ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, હું જયારે પ્રથમ વાર મતદાન કરવાનો હતો ત્યારે, આઇપીએલના મેચ હતા અને તેમાં હું રમતો હતો. પણ, મતદાન કરવા માટે મે રજા માંગી હતી અને મને રજા મળી હતી. ખાસ રજા લઇ મતદાન કરવા માટે રાજકોટ આવ્યો હતો. તો આપણી પાસે રજાના દિવસે કાંઇ જ કામ ન હોય છતાં પણ, મતદાન કરતા નથી. તંદુરસ્ત લોકશાહી માટે આપણે આ વૃત્ત્િ। બદલાવી પડશે. એક બાજુ આપણે વ્યવસ્થા તંત્ર સામે ફરિયાદ કરતા થાકતા નથી કે બીજી બાજુ મતદાન પણ કરતા નથી. ત્યારે, જો આપણે મતદાન કરતા હોઇએ તો જ આવી ફરિયાદો કરવી જોઇએ.

એક પ્રશ્નના ઉત્ત્।રમાં શ્રી પૂજારાએ રસપ્રદ વાત કરતા કહ્યું અમે ક્રિકેટ મેચ દરમિયાન પણ, ડ્રેસિંગરૂમમાં મતદાન અને ચૂંટણી ઉપર ચર્ચા કરતા હોઇએ છીએ. તમામ ક્રિકેટરો લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે જનજાગૃતિના કાર્યક્રમો કરતા હોય છે.

તેમણે યુવા મતદારોને ખાસ અપીલ કરી કે આ વખતે આપણે મોટા પ્રમાણમાં મતદાન કરીએ અને મતદાનની ટકાવારીના પાછલા તમામ રેકોર્ડ તૂટી જાય.

યુવાનોનએ ભારે ઉત્સુકતા સાથે ચાની ચુસ્કી લગાવતા લગાવતા ડો. ગુપ્તાને ચૂંટણી પ્રક્રીયા, ઓનલાઇન વોટિંગ, નોટા જેવી બાબતો અંગે પ્રશ્નો પૂછ્યા હતા અને જવાબો મેળવી છાત્રોએ પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. કલેકટરશ્રીએ યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.

રેડએફએમના તત્વાધાનમાં યોજાયેલા કાર્યક્રમનું સંચાલન આરજે ઇતિશાએ કર્યું હતું.

આ વેળાએ નિવાસી અધિક કલેકટર શ્રી પરિમલ પંડ્યા, શ્રીમતી અનુજા ગુપ્તા, શ્રી અરવિંદભાઇ પૂજારા, નાયબ મામલતદાર શ્રી માધવભાઇ મહેતા, શ્રી પ્રીતિ વ્યાસ, શ્રી રાજયગુરુ, શ્રી ભરતભાઇ શીલુ ઉપસ્થિત રહ્યા હતા.

(4:02 pm IST)