Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

શરદી-તાવ-ઝાડા-ઉલ્ટીનો રોગચાળોઃ ૩૦૦ થી વધુ દર્દી નોંધાયા

તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકીંગ અને દવા છંટકાવની કાર્યવાહી

રાજકોટ, તા.૬: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ દેખા દીધી છે. છેલ્લા અઠવાડીયામાં શરદી-તાવ-ઝાડા-ઉલ્ટીનાં ૩૦૦ થી વધુ દર્દીઓ મ્યુનીસીપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાનાં ચોપડે નોંધાયા છે.

મ્યુનીસીપલ કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ છેલ્લાએક અઠવાડીયામાં શરદી-ઉધરસ-તાવનાં ૧૩૯, ઝાડા-ઉલ્ટીનાં ૧૨૨ કેસ અન્ય તાવના ર૯ જેટલાં તથા સીઝનલ  સહીત ૩૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે.

દરમિયાન આરોગ્ય અનેમેલેરીયા વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા ખાદ્ય પદાર્થોનાં નમુનાઓ લેવાની તથા દવા છંટકાવની કાર્યવાહી હાથ ધરાયાનો દાવો કરાયો છે. છેલ્લા અઠવાડીયામાં આરોગ્ય વિભાગ ૧૦૭ સ્થળોએથી ખાદ્ય પદાર્થોના ૨૩ નમુનાઓ લઇ ચેકીંગ હાથ ધરેલ તથા શહેરમાં મચ્છરોનો સર્વે, દવા છંટકાવની કાર્યવાહી મેલેરીયા વિભાગે હાથ ધરી હતી. ઉપરોકત તમામ કામગીરી મ્યુનીસીપલ કમિશ્નર  બંછાનીધી પાનીની સુચના અનુસાર ઇ.ચાર્જ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ઇસ્ટ ઝોન ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય  અધિકારી સેન્ટ્રલ ઝોન ડો. હિરેન વિસાણી, ડેઝીગ્રેટેડ ઓફીસર અમિત પંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરીયા ઇન્સ્પેકટરો ભરતભાઇ વ્યાસ, દિલીપદાન નાંધુ, પીનાકીન પરમાર તથા ફુડ ઇન્સ્પેકટરો ચન્દ્રકાંત ડી.વાઘેલા, હિમાંશુ જી.મોલીયા, કૌશીક જે.સરવૈયા, કેતન એમ.રાઠોડ તેમજ રાજુલ આર. પરમાર દ્વારા કરવામાં આવેલ.

(3:12 pm IST)